ETV Bharat / state

Gujarat High Court News : અતુલ ચગ આત્મહત્યા કેસને લઇ હાઇકોર્ટની વેરાવળ પોલીસ સામે લાલ આંખ, જે રજૂઆત હોય સોગંદનામું કરો

author img

By

Published : Mar 28, 2023, 8:31 PM IST

ગીર સોમનાથ જિલ્લાના ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં હાઇકોર્ટે વેરાવળ પોલીસની આકરી ઝાટકણી કાઢી હતી. પોલીસ અધિકારીઓને સરકારી વકીલ પણ મળશે નહીં એવો હાઇકોર્ટે નિર્દેશ આપ્યો હતો. આ સાથે 11 એપ્રિલ સુધીમાં સોગંદનામુ રજૂ કરવા માટે આદેશ કર્યો છે.

Gujarat High Court News : અતુલ ચગ આત્મહત્યા કેસને લઇ હાઇકોર્ટની વેરાવળ પોલીસ સામે લાલ આંખ, જે રજૂઆત હોય સોગંદનામું કરો
Gujarat High Court News : અતુલ ચગ આત્મહત્યા કેસને લઇ હાઇકોર્ટની વેરાવળ પોલીસ સામે લાલ આંખ, જે રજૂઆત હોય સોગંદનામું કરો

અમદાવાદ : ગીર સોમનાથના પ્રખ્યાત ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. આ કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટ દ્વારા વેરાવળ પોલીસની ખૂબ જ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે પોલીસને સવાલ કર્યા હતા કે હજુ સુધી કેમ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. પોલીસ ફરિયાદ ન નોંધવા પર હાઇકોર્ટે પોલીસ પાસેથી જવાબ માંગ્યો હતો.

સરકારે કર્યો પોલીસ અધિકારીઓનો બચાવ : અતુલ ચગ આત્મહત્યા કેસ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આ કેસમાં પ્રાથમિક રીતે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો બનતો નથી એવી વાત કોર્ટ સમક્ષ પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા મૂકવામાં આવી હતી અને વેરાવળ પોલીસ અધિકારીઓનો બચાવ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો Dr Atul Chag Suicide Case : સાંસદ રાજેશ ચુડાસમાએ અતુલ ચગ આત્મહત્યા મુદ્દે પહેલીવાર ખુલાસો કર્યો, ચગના વકીલે પ્રશ્ન ઉઠાવ્યો

એફઆઇઆર નથી નોંધી તો નિષ્કર્ષ કેવો : જોકે અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, એફઆઇઆર જ નોંધવામાં આવી નથી તો પ્રાથમિક તપાસમાં જ નિષ્કર્ષ પર આવી શકાય નહીં. યોગ્ય રીતે એફઆઇઆર નોંધાય અને પછી તપાસ કરવામાં આવે અને પછી કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચી શકાય છે એવી રજૂઆત કરી હતી.

પોલીસ અધિકારીઓની ઝાટકણી : આ કેસની સુનાવણી દરમિયાન વેરાવળ પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં. જોકે કોર્ટની કામગીરીમાં પોલીસ દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવતા કોર્ટે પોલીસને હુકમ કર્યો હતો કે કોઈપણ પોલીસ અધિકારી અદાલતના કામમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. આ સાથે જ કોર્ટના હુકમના તિરસ્કારના બદલ આરોપી વેરાવળ પોલીસ અધિકારીઓને સરકારી વકીલ પણ મળશે નહીં. કોર્ટે આકરા શબ્દોમાં પોલીસ અધિકારીઓની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓને પોતાના બચાવમાં જે પણ રજૂઆત કરવી હોય તે સોગંદનામું કરીને કોર્ટમાંં રજૂઆત કરે. પોલીસ અધિકારીઓએ પોતાના ખર્ચે પોતાના માટે વકીલ રાખવા પડશે એવો પણ કોર્ટે નિર્દેશ કર્યો હતો. 11 એપ્રિલ સુધીમાં સોગંદનામુ રજૂ કરવા માટે આદેશ કર્યો છે.

આ પણ વાંચો Doctor Atul Chag Suicide Case: ડોક્ટરના પરિવારે HCમાં કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની અરજીની પ્રક્રિયા શરૂ કરી

શું છે સમગ્ર મામલો? : આ સમગ્ર કેસની વિગત જોઈએ તો વેરાવળના ખ્યાતનામ તબીબ ડોક્ટર અતુલ ચગ દ્વારા થોડા સમય પહેલા આત્મહત્યા કરવામાં આવી હતી. ડોક્ટર દ્વારા આત્મહત્યા કરતા પૂર્વે મરણ નોંધ લખવામાં આવી હતી. જેમાં રાજકીય લોકોના મોટા નામ સામે આવ્યા હતા. અતુલ ચગે પોતાની નોટમાં ભાજપ સાંસદ રાજેશ ચૂડાસમાનું નામ લખ્યું હતું. આ સમગ્ર મામલે વેરાવળ પોલીસ કોઈ રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી ન કરતા હોવાનો પણ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પોલીસ દ્વારા હજુ સુધી એફઆઇઆર પણ નોંધવામાં આવી નથી એવું પણ પરિવાર દ્વારા કહેવામાં આવ્યું હતું. નોંધનીય છે કે 11 એપ્રિલે પોલીસ અધિકારીઓ દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવશે ત્યારે આ કેસ મદે વધુ મહત્વના ખુલાસા થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.