અમદાવાદ : ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે ચંદ્રયાન 3ના સફળ અને ઐતિહાસિક લેન્ડિંગ ઇસરો, અમદાવાદ ખાતેથી નિહાળ્યું હતું અને ઇસરોના વિજ્ઞાનીઓ અને અધિકારીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. મુખ્યપ્રધાને ચંદ્રયાન 3ના લેન્ડરના ચંદ્રની સપાટી પર સફળ સોફ્ટલેન્ડિંગ પછી સૌને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનો સ્પેસ રિસર્ચ પ્રોગ્રામ વધુ દૃઢ અને મક્કમ થયો છે. વડાપ્રધાનના દૃષ્ટિવંત નેતૃત્વમાં ઇસરોએ નવા આયામો સર કર્યા છે.
મુખ્યપ્રધાનએ શુભેચ્છાઓ પાઠવી : વિક્રમ સારાભાઈએ શરૂ કરાવેલો ભારતનો સ્પેસ પ્રોગ્રામ આજે અવકાશની અનંત સીમાઓને આંબી રહ્યો છે. અવકાશ ક્ષેત્રે ભારત એક પછી એક સિદ્ધિ મેળવી હરણફાળ ભરી રહ્યું છે. દેશમાં તમામ ક્ષેત્રે થઈ રહેલો વિકાસથી દેશના નાગરિકોમાં સરકાર પરનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે. વડાપ્રધાન દ્વારા તાજેતરમાં બોપલ અમદાવાદ ખાતે ઇન-સ્પેસના હેડક્વાર્ટરના લોકાર્પણ પ્રસંગને યાદ કરીને મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ઇન-સ્પેસ હેડક્વાર્ટર થકી વડાપ્રધાને અવકાશી શોધ-સંશોધનનાં દ્વાર પ્રાઇવેટ પ્લેયર્સ માટે પણ ખોલી આપ્યાં છે. હવે ઉદ્યોગકારો, ટેકનોક્રેટસ, સ્ટાર્ટ-અપ સ્થાપનારા યુવાનો પણ અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રે શોધ-સંશોધન કરવાનું સપનું સાકાર કરી શકશે.
ઇસરો ખાતે પ્રસારણ લાઇવ નિહાળ્યું : ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઈસરો માનવ જાતના ભલા માટે, દેશવાસીઓના લાભ માટે અંતરિક્ષ ક્ષેત્રે કાર્ય કરતું આવ્યું છે અને આ અમૃતકાળમાં ઇસરો પણ વિશ્વમાં પોતાની સિદ્ધિઓની ધજા પતાકા લહેરાવશે એવો પૂર્ણ વિશ્વાસ છે. ચંદ્રયાન-3નું સફળ સોફ્ટ લેન્ડિંગ પ્રસારણ નિહાળ્યાં પછી મુખ્યપ્રધાને ઈસરો કેમ્પસ ખાતે પ્લાસિવ લેબ અને અન્ય ઉપક્રમોની મુલાકાત લીધી હતી. ચંદ્રયાન 3ના સફળ સોફ્ટ લેન્ડિંગનું લાઈવ પ્રસારણ નિહાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પ્રોત્સાહક વર્ચ્યુઅલ ઉદબોધન પણ મુખ્યપ્રધાને ઇસરોના અધિકારીઓ, કર્મચારીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓ સાથે સાંભળ્યું હતું.