Gujarat Election 2022 : ઘાટલોડિયા વિધાનસભા બેઠક કે જેમણે ગુજરાતને આપ્યા બે મુખ્યપ્રધાન, જાણો તેમની વિશેષતા

author img

By

Published : Mar 31, 2022, 1:56 PM IST

Updated : Mar 31, 2022, 5:24 PM IST

Gujarat Election 2022
Gujarat Election 2022 ()

ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) યોજાવા જઈ રહી છે. આ તકે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપશે. આ માહિતીથી જાણી શકાશે કે, ગુજરાતની કઈ વિધાનસભા બેઠકોનું શું મહત્વ છે ? કઈ બેઠક પરથી કોણ VIP ઉમેદવાર આવે છે ? શેના કારણે આ વિધાનસભા બેઠકને ઓળખવામાં આવે છે? આ તમામ માહિતી આપને ઈટીવી ભારતની સીરિઝમાં જાણવા મળશે. તો જાણો ઘાટોલીડિયા સીટ (Ghatlodia assembly seat ) વિશે, જેણે ગુજરાતને આપ્યા બે મુખ્યપ્રધાન...

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)ઓ ચાલુ વર્ષના અંતે યોજાવાની છે. વર્તમાન સંજોગોને જોતા ચૂંટણીઓ વહેલી યોજાય તેવી પણ સંભાવના રહેલી છે. ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો છે. સૌથી મોટા શહેર અમદાવાદ પાસે વિધાનસભાની 17 બેઠકો અને અમદાવાદ જિલ્લાની 04 બેઠકો મળીને વિધાનસભાની કુલ 21 બેઠકો (assembly seat of Ahmadabad) અમદાવાદમાં આવેલી છે.

ઘાટલોડીયા બેઠકની ડેમોગ્રાફી: અમદાવાદ શહેરની ઘાટલોડીયા વિધાનસભા બેઠકમાં પાટીદારોની વસ્તી વધુ છે. આથી મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસે વિધાનસભાની 2012 અને 2017ની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2017)માં પાટીદાર ઉમેદવારો ઉતર્યા હતા. આ ઉપરાંત અહીં રબારી-ભરવાડ, ઠાકોર જેવી જ્ઞાતિ પણ જોવા મળે છે. ઘાટલોડિયા વિસ્તારમાં 53 ટકા પુરુષો અને 47 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 83 ટકા છે. જેમાં પુરુષો અને મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 85 અને 80 ટકા છે. 2017ની વિધાનસભાની ચૂંટણી પ્રમાણે અહીં કુલ 03,52,340 જેટલા મતદારો હતા.

2018 પ્રમાણેના કુલ મતદારો 3,57,367 સામે આવ્યા હતા. જેમાં, 1,83,823 પુરુષ મતદારો અને 1,73,542 સ્ત્રી મતદારો નોંધાયા હતા.

અમદાવાદ શહેરની ઘાટલોડિયા વિધાનસભા બેઠકમાં મતદાતા
અમદાવાદ શહેરની ઘાટલોડિયા વિધાનસભા બેઠકમાં મતદાતા

આ પણ વાંચો: જે પોતે સક્ષમ ના હોય તે બીજાને હાયર કરે : જીતુ વાઘાણી

2008માં અસ્તિત્વમાં આવેલી ઘાટલોડિયા બેઠક: 2008માં ઘાટલોડીયા વિધાનસભા બેઠક (Ghatlodia assembly seat ) અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર અંતર્ગત આવે છે. એટલે વર્તમાનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું મતક્ષેત્ર છે. ઘાટલોડિયા પશ્ચિમ અમદાવાદમાં આવેલ વિકસિત વિસ્તાર ગણાય છે. ઘાટલોડિયા વિસ્તારમાં પ્રભાત ચોક, રન્નાપાર્ક, સાયોના સીટી, ચાણક્યપુરી ઘાટલોડિયા ગામ વગેરે આવેલા છે. જ્યારે ઘાટલોડિયા વિધાનસભા બેઠકમાં અમદાવાદ શહેરના ત્રાગડ, ઘાટલોડિયા અને મેમનગર ગામનો સમાવેશ થાય છે. અમદાવાદ જિલ્લાના લપકામણ, લીલાપુર, ખોડીયાર નગર, છારોડી, જગતપુર, હેબતપુર, શીલજ, ચેનપુર, ઘુમા, સોલા, બોડકદેવ, આંબલી, ગોતા, થલતેજ અને બોપલનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: આવનાર સમયમાં રસ્તા પર ઉતરી કોંગ્રેસ આંદોલન કરશે..!

અત્યારસુધીની ચૂંટણીઓના પરિણામ: આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં બે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ છે. જેમાં 2012માં તે સમયના ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને આજના વડાપ્રધાનના વિશ્વાસુ એવા આનંદીબેન પટેલ ભાજપ પક્ષ તરફથી ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા. જેમનો કોંગ્રેસના ઉમેદવાર રમેશ પટેલ સામે 1,10,395 વોટથી ભવ્ય વિજય થયો હતો. ત્યારબાદ 2017ની ચૂંટણીમાં ભુપેન્દ્ર પટેલ કોંગ્રેસના શશીકાંત પટેલને પણ 1.15 લાખ કરતા વધુ મતોથી જીતીને કોંગ્રેસને કારમો પરાજય આપ્યો હતો. એટલે કે જ્યારથી આ બેઠક બની છે, તે ભાજપના કબ્જામાં છે. 2012ની ચૂંટણીમાં ભાજપનું વોટ શેરિંગ 74.61 ટકા રહ્યું હતું. જે 2017માં ઘટીને 72.5 ટકા નોંધાયું હતું. આ ઉપરાંત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ આ વિસ્તારમાં પલડુ ભાજપના પક્ષે જ ભારે રહ્યું છે.

ગુજરાતમાં વિધાનસભા 2017 ચૂંટણીનું પરિણામ
ગુજરાતમાં વિધાનસભા 2017 ચૂંટણીનું પરિણામ

આ પણ વાંચો: ભાજપની આદિવાસી વોટબેંકને અસર ન થાય તે માટે સરકારે તાપી રિવર લિંક યોજના સ્થગિત કરી છે? જાણો સત્ય

વિકસિત વિસ્તારમાં ગણતરી: ઘાટલોડિયા વિસ્તારની સમૃદ્ધ નગર વિસ્તારમાં ગણતરી કરાય છે. આ વિસ્તારમાં મોટા પાયે ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો રહે છે. આ વિસ્તારમાં રહેતા લોકો શાંતિ અને સમૃદ્ધિમાં માનનારા છે. જે સરકાર તેમને આ તકો પૂરી પાડશે તેમને તેઓ વોટ આપશે. આ વિસ્તારમાં સરકારી ટ્રાન્સપોર્ટેશન, શાળાઓ, બેંક, હોસ્પિટલ, માર્કેટ, આર.સી.સી.રોડ, પાણી, સ્વચ્છતા, અર્બન હેલ્થ સેન્ટર વગેરે વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે.

બેઠકની ખાસિયત: ઘાટલોડિયા બેઠકે ગુજરાતને બે મુખ્ય પ્રધાન (two chief ministers to Gujarat) આપ્યા છે. બંને મુખ્ય પ્રધાન ભારતીય જનતા પાર્ટીથી રહ્યા છે. સૌપ્રથમ 2014માં લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા તેમનું પદ આનંદીબેન પટેલે સંભાળ્યું હતું, પરંતુ 2016માં પાટીદાર અનામત આંદોલને તેમની ખુરશી છીનવી લીધી હતી. પાટીદાર અનામત આંદોલનનું મુખ્ય સેન્ટર પણ ઘાટલોડિયા જ રહ્યું હતું. વિજય રૂપાણીના રાજીનામા બાદ મુખ્યપ્રધાનનું પદ સાંભળનાર વર્તમાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ ઘાટલોડિયા બેઠક પરથી જ ચૂંટાઈને આવ્યા છે.

ઘાટલોડિયા બેઠકની ખાસિયત
ઘાટલોડિયા બેઠકની ખાસિયત

આ વિસ્તારના લોકોની માંગ: આ વિસ્તારમાં મધ્યમ, ઉચ્ચ મધ્યમ વર્ગ અને તવંગર વર્ગ રહે છે. આ વિસ્તારના લોકોની મુખ્ય માંગ શાંતિ અને સલામતીની છે. કારણ કે, અહીં દરેક તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. લોકોને સલામતીનો અહેસાસ થવો જરૂરી છે.

ઘાટલોડિયા બેઠક પર લોકોની માંગ
ઘાટલોડિયા બેઠક પર લોકોની માંગ
Last Updated :Mar 31, 2022, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.