ETV Bharat / state

Sardar Patel Birth Anniversary: 149મી જન્મ જયંતિએ પણ સરદાર છે દમદાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 31, 2023, 7:00 AM IST

આઝાદી બાદ દેશને એક તાંતણે બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલની 31, ઓક્ટોબરે 149મી જન્મ જયંતિ છે. આજે આઝાદીના 76 વર્ષ બાદ દેશવાસી ભારતના આર્કિટેક્ટ સરદાર પટેલને દિલથી નમન કરે છે. આપણા સરદાર પટેલ અંગે જાણીએ કેટલીક મહત્વની વાતો...

Sardar Patel 149th Birth Anniversary : 149મી જન્મ જયંતિએ પણ સરદાર છે દમદાર
Sardar Patel 149th Birth Anniversary : 149મી જન્મ જયંતિએ પણ સરદાર છે દમદાર

અમદાવાદ : સરદાર એક વ્યક્તિત્વ અનેક એમ કહેવું જરા પણ અતિશયોક્તિભર્યું નથી. 31, ઓક્ટોબર - 1875ના રોજ પાટીદાર પરિવારમાં જન્મેલા વલ્લભભાઈ પટેલ ખરાં અર્થમાં ભારત નિર્માતા બની રહ્યા. રાજકીય, ખેડૂત અને સામાજિક નેતા સરદાર પટેલે આજીવન મહાત્મા ગાંધીના સાથી રહ્યા. અનેક વિરોધ હોવા છતાં સરદાર પટેેલે ગાંધીજીનો સાથ ક્યારેય ન છોડ્યો. સ્વતંત્ર સંગ્રામમાં અગ્રણી, બારડોલી અને ખેડાના ખેડૂત સત્યાગ્રહના સારથી અને અખંડ ભારતના શિલ્પી તરીકે વલ્લભભાઇ પટેલને તમામ દેશવાસીઓ સરદાર તરીકે ઓળખે છે.

દેશના ઇતિહાસમાં પ્રબળ પ્રદાન : દેશની અખંડતા અને એકતા માટે દ્રઢ મનોબળ દાખવનાર સરદાર પટેલને ઈતિહાસ લોખંડી પુરુષ તરીકે પણ ઓળખે છે. મૂળે વકીલ સરદાર પટેલ અમદાવાદ કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ દરમિયાન ગાંધીજીથી પ્રભાવિત બની અંગ્રેજો સામે સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય બન્યા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન સરદાર પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પણ બન્યા હતા. 1942ની હિંદ છોડો લડતમાં સરદાર પટેલે સક્રિય ભૂમિકા ભજવી હતી. સરદાર પટેલ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને પ્રથમ કેન્દ્રીય ગૃહમંત્રી હતાં.

ભારત નિર્માતા સરદાર પટેલ : ભારતની આઝાદી સમયે હિંદુ-મુસ્લિમ તોફાનો અને ભારત-પાકિસ્તાનના ભાગલાથી સમગ્ર ઉપખંડમાં હિંસાનું વાતાવરણ હતુ. આ સમયે દેશમાં એકતા અને શાંતિની સ્થાપના કરવામાં સરદાર પટેલની ઐતિહાસિક ભૂમિકા રહી હતી. વિશેષ તો દેશના રજવાડાને સંગઠિત કરી ભારતના નિર્માણ માટે સરદાર પટેલે પાયાની ભૂમિકા ભજવી હતી. હૈદરાબાદ અને જૂનાગઢ રાજ્યોએ જ્યારે ભારત સાથે જોડાવા માટે નનૈયા ભણ્યો ત્યારે સરદાર પટેલની કૂનેહ અને ત્વરિત નિર્ણય શક્તિ ભારતને એકસૂત્રતામાં બાંધ્યો. દેશના 565 રજવાડા-રિયાસતોને એક સૂત્રતાના ઘાગે બાંધી આજના ભારતનું નિર્માણનો શ્રેય સરદાર પટેલને જાય છે. આ સાથે પાકિસ્તાનના પંજાબથી આવતા હિંદુ નિરાશ્રિતોને આશ્રય આપવા માટે સરદાર પટેલે સિમાચિન્હ કાર્ય કર્યું છે. સરદાર પટેલે દેશને વ્યવસ્થિત રીતે સંચાલન કરવા માટે ઓલ ઇન્ડિયા સર્વિસ કે જે ભારતીય સનદી સેવા તરીકે ઓળખાય છે તેની રચના પણ કરી છે.

સરદાર પટેલ અંગેની પ્રવર્તતી માન્યતાઓ અને ગેર-માન્યતાઓ અંગેનું ખંડન ત્યારે જ થશે જ્યારે તેમનો દસ્તાવેજી સાચો ઇતિહાસ લખાશે. આજે પણ લાખો પાના તેમના અંગે વણખેડાયેલા પડ્યા છે. એ જ્યારે દેશવાસીઓ સમક્ષ સામે આવશે ત્યારે આપોઆપ સરદાર પટેલ અંગે પ્રવર્તમાન માન્યતાઓ અને ગેર-માન્યતાઓનું ખંડન થઈ જશે...પ્રો. રિઝવાન કાદરી, ઇતિહાસકાર

વલ્લભભાઈ જ્યારે ગાંધીજીને મળ્યા, ને દેશને સરદાર મળ્યા : અમદવાદની ભદ્ર કોર્ટ ખાતે વકીલાત કરતા વલ્લભભાઈ પટેલ ગાંધીજીના સત્યાગ્રહ અને લડત અંગે મજાક કરતા. વલ્લભભાઇ તેમના સાથીઓને કહેતા કે, જો ગાંધીજીને સત્યાગ્રહની લડતમાં જોડાવાનું કહીશ તો ગાંધીજી પૂછશે કે તમને ઘઉંમાથી કાંકરા વીણતા આવડે છે. અરે ભાઇ કોઇને ઘઉંથી કાંકરા વીણતા આવડે તો શું દેશને આઝાદી મળશે ? વલ્લભભાઈ ચંપારણ્ય સત્યાગ્રહમાં ગાંધીજીથી પ્રભાવિત થયા. સાથે ગાંધીજીની સરળ ભાષા સાથે અને સત્યાગ્રહની ભારતીય પદ્ધતિના અમલના અને તેમની નીડરતાના કારણે વલ્લભભાઇ પટેલ ગાંધીજીથી પ્રભાવિત થયા હતા. વલ્લભભાઇ પટેલે 1917માં બોરસદ સત્યાગ્રહ દરમિયાન પૂર્ણ સ્વરાજની હાકલ કરી. 1917માં વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીને ગોધરા ખાતે મળ્યા અને દેશને સરદાર મળ્યાં.

દાંડી યાત્રામાં સરદારની મહત્વની પણ ઓછી જાણીતી ભૂમિકા : 1930માં યોજાયેલી અમદાવાદથી દાંડી સુધીની દાંડીયાત્રામાં સરદાર પટેલની મહત્વની ભૂમિકા હતી. જે બાબતે દેશવાસીમાં ઓછી જાણકારી છે. દાંડી યાત્રાના મહત્વના આયોજક એવાં સરદાર પટેલની દાંડી સત્યાગ્રહના આરંભે જ આણંદના રાસ ગામથી ધરપકડ કરવામાં આવી હતી. પણ દાંડી યાત્રાના મહત્વના નિર્ણયો સરદાર પટેલે લીધા હતા. જેનાથી મહાત્મા ગાંધીની દાંડી યાત્રા સફળ બની અને દેશભરમાં આઝાદી માટે સત્યાગ્રહની લડત વધુ સક્રિય બની હતી.

દેશના સરદાર સાથે અન્યાયની પરંપરા, છતાં સરદાર એટલે સરદાર : દેશને એકસૂત્રતમાં બાંધનાર સરદાર પટેલને આઝાદી બાદ દેશના પ્રથમ વડાપ્રધાન બનાવવા જોઇએ એવી માંગ હતી. પણ સરદાર પટેલ દેશના પ્રથમ વડાપ્રધાન બની ન શક્યા એ વાતનું દુઃખ આજે પણ દેશવાસીઓમાં છે. સરદાર પટેલ સાથેના અન્યાયનો આરંભ 1946માં થયેલ કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણીથી થયો હતો. આ ચૂંટણીમાં જવાહરલાલ નહેરૂની તરફેણમાં સરદાર પટેલે કોંગ્રેસ પ્રમુખ પદ માટેની ઉમેદવારી પાછી ખેંચી હતી. સ્વાભાવિક રીતે જે કોંગ્રેસના પ્રમુખ હોય એ આઝાદ ભારતના પ્રથમ સરકારના નેતા બનવાના હતા. આ સ્થિતિમાં 16 રાજ્યોના પ્રતિનિધિઓ પૈકી 13 રાજ્યોના પ્રતિનિધિઓએ સરદારના નામને સૂચવ્યું હોવા છતાં સરદાર પટેલે ગાંધીજીની ઇચ્છાને માન આપી દેશના પ્રથમ વડાપ્રધાન બનવાનો મોકો જતો કર્યો.

1991માં એનાયત થયો ભારત રત્ન : અહીંથી સરદાર પટેલ સાથે અન્યાયનો આરંભ થયો હતો. સરદાર પટેલના કાશ્મીર અંગેના નિર્ણયો હોય, કે કોમી તોફાનોને શાંત રાખવા અંગેના નિર્ણયો હોય, સોમનાથ મંદિરના પુનઃ નિર્માણની પ્રક્રિયા હોય કે પાકિસ્તાનના આઝાદી સમયે હુમલાની ઘટના હોય આ તમામ મુદ્દે નહેરુ સરકારે ક્યાં તો સરદાર પટેલની ઉપેક્ષા કરી હતી તો ક્યાંક સરદાર પટેલ સાથે અન્યાય કર્યો હતો. ભારત રત્ન જેવું મહત્વનું સન્માન પણ સરદાર પટેલને 1991માં મરણોપરાંત મળ્યું છે. દેશના એરપોર્ટ કે મોટી સંસ્થા સાથે સરદાર પટેલનું નામ ઓછું જોડાયું છે.

સરદારના નામે રાજનીતિ : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમને સરદાર ડેમ નામ અપાયુ તો વિશ્વની સૌથી મોટી પ્રતિમા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદારના નામને ચિરંજીવી બનાવે છે. પણ હાલની સરકાર સરદારના નામે રાજનીતિ કરે છે, ત્યારે અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ અને અમદાવાદના મોટેરા સ્થિત સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને સરદાર પટેલના નામને ભૂંસી પણ નાખ્યું છે. કોંગ્રેસ હોય કે ભાજપ સરદાર પટેલના નામે વોટબેંક પોલિટિક્સ કરે છે. પણ વિરાટ વ્યક્તિત્વ ધરાવતા સરદાર પટેલના દેશ નિર્માણના યોગદાનને કોઈ રાજકીય પક્ષ નાનું કરી શકે એમ નથી. એટલે જ કહેવાય છે, સરદાર એટલે સરદાર....

  1. સરદાર વલ્લભભાઈ પટેલનું 72માં ગણતંત્ર દિવસે વિશેષ સંસ્મરણ
  2. કાશ્મીરના ઇતિહાસ અને 370 કલમ વિશે સંપૂર્ણ માહિતી
  3. જૂનાગઢની આઝાદીમાં સરદાર પટેલનું વિશેષ અને આગવું યોગદાન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.