- ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિ કાંડ
- અગ્નિ કાંડને બે માસ પૂર્ણ થવાને આરે
- આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા ન મળ્યું
રાજકોટ: શહેરમાં ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિ કાંડ સર્જાયો હતો. જેના 2 મહિના પૂર્ણ થશે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા અગ્નિ કાંડ મામલાની તપાસ નિવૃત્ત જસ્ટિસ મહેતા કમિટીને સોંપવામાં આવી છે. આજે મંગળવારે નિવૃત્ત જજ મહેતા તેમજ કમિટીના સભ્યો સાથે પોલીસ વિભાગ, ફાયર વિભાગ તેમજ જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે સર્કિટ હાઉસ ખાતે બેઠક થવાની છે. ઉલ્લેખનીય છે કે, ઘટનાનો 2 મહિના જેટલો સમય 26 જાન્યુઆરીના રોજ પૂર્ણ થઇ જશે. આમ છતાં હજુ સુધી આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
અગ્નિ કાંડ મામલાની તપાસ નિવૃત્ત જસ્ટિસ મહેતા કમિટીને સોંપાઈ
ઉદય શિવાનંદ હોસ્પિટલમાં અગ્નિ કાંડ સર્જાયો હતો તેને બે મહિના પૂર્ણ થવા આવ્યા છે, ત્યારે આજે મંગળવારે જસ્ટિસ મહેતા અને તેમની કમિટી રાજકોટની મુલાકાતે આવી પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, 27 નવેમ્બરના રોજ ઉદય શિવાનંદ હોસ્પિટલના ICU વિભાગમાં આગજનીનો બનાવ સામે આવ્યો હતો. જેમાં પ્રથમ પાંચ દર્દીઓના મોત નિપજયા હતા, ત્યાર બાદ સારવાર દરમિયાન એક દર્દીનું મોત નિપજતા દર્દીઓના મોતનો કુલ આંક 6 થયો હતો.
રાજકોટ પોલીસે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. જે ટીમ દ્વારા પાંચ નામાંકિત તબીબો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.