ગાંધીનગર મ.ન.પા. ઈલેેક્શન: ભાજપે પોતાની નવી ટીમના 12 ખેલાડીઓ પ્રચાર માટે ઉતાર્યા

author img

By

Published : Sep 24, 2021, 3:50 PM IST

Gandhinagar Municipal Corporation Election

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર-પ્રસાર શરૂ કરવામાં આવ્યા છે. પાટનગરમાં ભાજપ માટે આમ આદમી પાર્ટી (AAP) એ પ્રબળ પડકાર હોવાથી ભાજપે પોતાના નવા પ્રધાનમંડળમાંથી 12 પ્રધાનોને ચૂંટણીલક્ષી કામગીરી સોંપી છે.

  • ગાંધીનગર મ.ન.પા.ની ચૂંટણી માટે મતદાન 3 ઓક્ટોબરે યોજાશે
  • ભાજપ દ્વારા 12 નવા પ્રધાનોને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપાઈ
  • ગાંધીનગરમાં AAPના પગપેસારાને કારણે પગલું લેવાયું હોવાની ચર્ચા

ગાંધીનગર: ભાજપ માટે સત્તા જાળવી રાખવાની જંગ સમાન ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે ભાજપે નવા પ્રધાનમંડળના 12 ચહેરાઓ મેદાનમાં ઉતાર્યા છે. ગાંધીનગર મ.ન.પા.ની ચૂંટણીમાં ભાજપની નજર તમામ 11 વોર્ડની 44 બેઠકો પર છે. એવામાં આમ આદમી પાર્ટી દ્વારા પણ પોતાના સ્ટાર પ્રચારકોને પ્રચારમાં ઉતારી દેતા ભાજપે નવા પ્રધાનોને મેદાનમાં ઉતાર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગાંધીનગરની ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ જાણવા માટે Click Here

ભાજપે પેજ સમિતિ બનાવવાનું કામ શરૂ કર્યું

ભાજપ દ્વારા એક એક વોર્ડમાં 500થી લઇને 1000 કાર્યકર્તાઓ તૈયાર કરી દેવામાં આવ્યા છે. આ કાર્યકર્તાઓને અત્યારથી જ આંતરિક રીતે ચૂંટણી પ્રચાર કરવાનું સૂચન ભાજપ દ્વારા આપી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત ભાજપ દ્વારા પેજ સમિતિની રચના કરવાનું પણ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના મત વિસ્તાર હોવાથી ભાજપ માટે આ ચૂંટણી જીતવી પ્રતિષ્ઠાનો વિષય બની ગયો છે. જેથી કેન્દ્ર સરકાર તરફથી પણ ભાજપને ચૂંટણી જીતવા દબાણ થઈ રહ્યું હશે. જો કે તેને લઇને ભાજપમાં મિટિંગોનો ડોર શરૂ કરી દેવાયો છે. કાર્યકર્તાઓ પણ ઘરે ઘરે જઈને અત્યારથી જ લોક સંપર્ક વધારી રહ્યા છે. કોરોનામાં થયેલી કામગીરીને લઈને લોકોમાં રોષ છે. જેથી ભાજપએ ઘણી મહેનત કરવી પડશે. જે હેતુથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉતારવા પડી રહ્યા છે.

આ પ્રધાનોને સોંપવામાં આવી જવાબદારી
વોર્ડ નં. 01જીતુ વાઘાણી
વોર્ડ નં. 02કિરીટસિંહ રાણા
વોર્ડ નં. 03ઋષિકેશ પટેલ
વોર્ડ નં. 04અર્જુનસિંહ ચૌહાણ
વોર્ડ નં. 05હર્ષ સંઘવી
વોર્ડ નં. 06પ્રદીપ પરમાર
વોર્ડ નં. 07પૂર્ણેશ મોદી
વોર્ડ નં. 08જગદીશ પંચાલ
વોર્ડ નં. 09અરવિંદ રૈયાણી
વોર્ડ નં. 10કનુ દેસાઈ
વોર્ડ નં. 11મુકેશ પટેલ અને રાઘવજી પટેલ

પ્રવીણ રામ, ઇસુદાન ગઢવીને સહિતના AAPના નેતા પ્રચારમાં ઉતર્યા

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીને માત્ર 10 જ દિવસનો સમય રહ્યો છે. ત્યારે ભાજપ તરફથી અપેક્ષા પ્રમાણેનો પ્રચાર કોર્પોરેશનની ચૂંટણીને લઈને ગાંધીનગરમાં જોવા નથી મળ્યો. ત્યારે પ્રચારમાં નવા પ્રધાનમંડળમાં શામેલ કરાયેલા 12 પ્રધાનને વોર્ડ દીઠ જવાબદારી સોંપાતા ચહલ પહલ જોવા મળી શકે છે. કેમ કે, આમ આદમી પાર્ટી દ્વારા કોર્પોરેશનની ચૂંટણી સ્થગિત રહ્યાના થોડા દિવસ બાદ પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. જેમાં પ્રવિણ રામ, ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ ગાંધીનગરમાં ચૂંટણી પ્રચાર માટે આવી પહોંચ્યા છે. જોકે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કોર્પોરેશનની ચૂંટણીમાં ઇન્ચાર્જ તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. જેથી ખરા ખરીનો જંગ જોવા મળશે.

AAP કોંગ્રેસની જેમ ભાજપમાં જોડાઈને સોદેબાજીનું કામ ક્યારેય નહીં કરે : પ્રવીણ રામ

આમ આદમી પાર્ટી દ્વારા દરરોજ સાંજે 5 વાગ્યા પછી ડોર ટૂ ડોર મિટીંગો કરી લોકો સાથે જન સંપર્ક કરી પ્રચાર કરવાનું કામ થઇ રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ છેલ્લા કેટલાક દિવસથી ગાંધીનગરમાં લોકો સાથે જનસંપર્ક કરી રહ્યા છે. જેમને તમામ વોર્ડમાં ચૂંટણીને લઈને બે બે બેઠકો કરી છે. તેઓ ચૂંટણી દરમિયાન પણ ગાંધીનગરમાં રહી પ્રચાર અભિયાનને આગળ વધારશે. આ દરમિયાન તેમણે ETV Bharat સાથેની વાત કરતાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીનો ઉમેદવાર સોદેબાજી નહીં કરે. આ પહેલાં ગાંધીનગરની જનતાએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડ્યા અને તેઓ ભાજપમાં જતા રહ્યા તે પ્રકારનું કામ અમે નહીં કરીએ. ગાંધીનગર મતવિસ્તાર અમિત શાહનો હોવાથી ભાજપ દ્વારા જરૂરથી જીતવાના પ્રયાસો કરાશે, પરંતુ અત્યાર સુધી ગાંધીનગરની જનતા પાસે કોઈ ઓપ્શન નહોતો. એટલા માટે કોંગ્રેસને મત આપતા હતા અને તે નેતાઓ ભાજપમાં જોડાઈ જતા હતા. પરંતુ હવેથી એવું નહીં થાય કેમ કે લોકોમાં પણ રોષ છે જે નેતાઓને જીતાડીએ છીએ તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં બેસી જાય છે.

ગાંધીનગર મ.ન.પા.નો વિગતવાર ચૂંટણી કાર્યક્રમ
ચૂંટણી જાહેરાતની તારીખ6 સપ્ટેમ્બર
જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ13 સપ્ટેમ્બર
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ18 સપ્ટેમ્બર
ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ20 સપ્ટેમ્બર
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ21 સપ્ટેમ્બર
મતદાનની તારીખ3 ઓક્ટોબર
પુનઃમતદાનની તારીખ4 ઓક્ટોબર
મતગણતરીની તારીખ5 ઓક્ટોબર
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ8 ઓક્ટોબર

ચૂંટણીમાં અગાઉના ઉમેદવારીપત્રો માન્ય, ઉમેદવારના મૃત્યુના કિસ્સામાં જ નવો ઉમેદવાર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવારોનું અવસાન નિપજ્યું હતું. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, પ્રથમ નોટિફિકેશન પ્રમાણે જે ઉમેદવારોએ અગાઉ ઉમેદવારી નોંધાવી છે. તે યથાવત રહેશે અને જે વોર્ડમાં રાજકીય પક્ષના ઉમેદવારોનું આકસ્મિક મૃત્યુ થયું હોય તેવી ઘટનામાં જ બીજો ઉમેદવાર જાહેર કરી શકાશે.

તમામ મતદાન મથકોમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરાશે

રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર સંજય પ્રસાદ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને તમામ મતદાન મથકો ઉપર કોઈ પ્રોટોકોલ પ્રમાણે કાર્ય કરવાની સૂચના ચૂંટણી અધિકારી અને ચૂંટણી સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને આપવામાં આવી છે. જ્યારે તમામ મતદાન મથકોમાં થર્મલ ગન, સેનેટાઈઝર, અને ફેસ શિલ્ડ જેવી તમામ વ્યવસ્થા રાખવામાં આવશે.

આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ ચૂંટણી જાહેર

ગાંધીનગર કોર્પોરેશન તથા અન્ય નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની પેટા ચૂંટણી કોરોનાની બીજી લહેર દરમિયાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે 3 ઓક્ટોબરના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ જ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા સર કરી શકશે ટીમ ભૂપેન્દ્ર ? જાણો તમામ સમીકરણ…

આ પણ વાંચો: ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી માટે દરેક પ્રધાનોને વોર્ડ પ્રમાણે જવાબદારી સોંપવામાં આવશે

આ પણ વાંચો: ગાંધીનગર મ.ન.પા. ઈલેક્શન: ભાજપ માટે પ્રતિષ્ઠાની, કોંગ્રેસ માટે પ્રતિષ્ઠા પાછી મેળવવાની તો AAP માટે દાખલો બેસાડવાની જંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.