ગાંધીનગર મ.ન.પા. ઈલેક્શન: ભાજપ માટે પ્રતિષ્ઠાની, કોંગ્રેસ માટે પ્રતિષ્ઠા પાછી મેળવવાની તો AAP માટે દાખલો બેસાડવાની જંગ

author img

By

Published : Sep 6, 2021, 4:08 PM IST

ગાંધીનગર મ.ન.પા. ઈલેક્શન

ગાંધીનગર મ.ન.પા.ની ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જ જાહેર થશે. આ પહેલા એપ્રિલ મહિનામાં ચૂંટણી કોરોનાના કારણે સ્થગિત રાખવામાં આવી હતી. ત્યારે આ ત્રિપાંખિયા જંગમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રચાર અભિયાન માટે તારીખો જાહેર થયા પહેલા જ સક્રિય બની છે. AAP જુદા જુદા વોર્ડમાં ફરીને લોકો સાથે જનસંપર્ક કરી વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરી રહી છે, તો કોંગ્રેસ દ્વારા આંતરિક મિટિંગો અને ડોર ટૂ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા એક જ વોર્ડમાં 400થી 500 કાર્યકર્તાઓને ચૂંટણી પ્રચારમાં ઉતરવા આદેશ કરી દેવામાં આવ્યા છે. ત્રણે પાર્ટીઓ જુદી-જુદી સ્ટ્રેટેજી સાથે ચૂંટણી પ્રચાર આગામી સમયમાં કરશે.

  • ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી ટૂંક સમયમાં જ જાહેર થશે
  • ભાજપ અને કોંગ્રેસે અત્યારથી જ લોક સંપર્ક શરૂ કર્યો
  • કોરોનાના કારણે ચૂંટણી સ્થગિત રાખવામાં આવી હતી

ગાંધીનગર : મ.ન.પા.ની ચૂંટણી ફક્ત એટલા માટે જ મહત્વની નથી કે, તે રાજ્યનું પાટનગર છે પરંતુ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો મત વિસ્તાર પણ ગાંધીનગર છે. જેથી ભાજપ એડી ચોટીનું જોર ચૂંટણી જીતવાને લઈને પહેલાથી જ લગાવી રહ્યું છે. કેમ કે, ભાજપ માટે આ ચૂંટણી સત્તા કરતાં વધુ પ્રતિષ્ઠાનો મુદ્દો છે. તો આમ આદમી પાર્ટી સુરતમાં કોર્પોરેશનની ચૂંટણીમાં 27 સીટ જીત્યા બાદ પાટનગરમાં પોતાનો પગ પેસારો કરવા માટે સજ્જ બની છે. કોંગ્રેસ માટે આ ત્રિપાંખિયા જંગમાં અન્ય સ્થાનિક ચૂંટણીમાં મળેલી હાર બાદ ફરી માથું ઉંચકી શકે અને ગુમાવેલી પ્રતિષ્ઠા પાછી મેળવવાની આ તક છે, પરંતુ AAP દ્વારા સુરતમાં જે કમાલ કરવામાં આવ્યો છે. એ જ કમાલના આશય સાથે ગાંધીનગરમાં એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.

જાણો શું કહ્યું AAPના નેતા પ્રવીણ રામે?

આમ આદમી પાર્ટીનું મૂળ ફોકસ અમિત શાહના મત વિસ્તારમાં ઉતરીને જીત મેળવવાનું

આમ આદમી પાર્ટી પહેલીવાર ગાંધીનગરમાં ચૂંટણી લડી રહી છે. તેમનો આ કોર્પોરેશનમાં ચૂંટણી લડવાનો આશય અમિત શાહના મતવિસ્તારમાં ઉતરી કોર્પોરેશનની ચૂંટણીમાં જીત મેળવવાનો છે. એ આશય સાથે જ કોરોનાની બીજી લહેર પહેલા જ આમ આદમી પાર્ટીએ પોતાનો પ્રચાર અભિયાન શરૂ કરી દીધો હતો. આપ પાર્ટી પાસે નવા ચહેરાઓ છે. જે હેતુથી તેમને શરૂઆતના દિવસોમાં જ લોક સંપર્ક કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં એક્ટિવ રહી પ્રચાર કરવાનું કાર્ય આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ દિલ્હીથી પણ કેટલાક નેતાઓ સ્થાનિક કક્ષાએ ગાંધીનગરમાં ચૂંટણી પ્રચારમાં ઉતરે તેવી સંભાવનાઓ પણ છે, પરંતુ AAPનું માનવું છે કે, અમારી હરિફાઇ ભાજપ સાથે છે. અત્યાર સુધી લોકો પાસે કોઈ ઓપ્શન ન હોવાથી તેઓ કોંગ્રેસને મત આપતા હતા, પરંતુ હકીકત એ પણ છે કે, ગાંધીનગર રાજ્યનું પાટનગર છે અને અમિત શાહનો મત વિસ્તાર પણ છે. જે હેતુથી આમ આદમી પાર્ટીના મોટા નેતાઓનું પણ પ્રથમ ફોકસ ગાંધીનગર છે.

AAP કોંગ્રેસની જેમ ભાજપમાં જોડાઈને સોદેબાજીનું કામ ક્યારેય નહીં કરે : પ્રવીણ રામ

આમ આદમી પાર્ટી દ્વારા દરરોજ સાંજે 5 વાગ્યા પછી ડોર ટૂ ડોર મિટીંગો કરી લોકો સાથે જન સંપર્ક કરી પ્રચાર કરવાનું કામ થઇ રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ છેલ્લા કેટલાક દિવસથી ગાંધીનગરમાં લોકો સાથે જનસંપર્ક કરી રહ્યા છે. જેમને તમામ વોર્ડમાં ચૂંટણીને લઈને બે બે બેઠકો કરી છે. તેઓ ચૂંટણી દરમિયાન પણ ગાંધીનગરમાં રહી પ્રચાર અભિયાનને આગળ વધારશે. આ દરમિયાન તેમણે ETV Bharat સાથેની વાત કરતાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીનો ઉમેદવાર સોદેબાજી નહીં કરે. આ પહેલાં ગાંધીનગરની જનતાએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડ્યા અને તેઓ ભાજપમાં જતા રહ્યા તે પ્રકારનું કામ અમે નહીં કરીએ. ગાંધીનગર મતવિસ્તાર અમિત શાહનો હોવાથી ભાજપ દ્વારા જરૂરથી જીતવાના પ્રયાસો કરાશે, પરંતુ અત્યાર સુધી ગાંધીનગરની જનતા પાસે કોઈ ઓપ્શન નહોતો. એટલા માટે કોંગ્રેસને મત આપતા હતા અને તે નેતાઓ ભાજપમાં જોડાઈ જતા હતા. પરંતુ હવેથી એવું નહીં થાય કેમ કે લોકોમાં પણ રોષ છે જે નેતાઓને જીતાડીએ છીએ તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં બેસી જાય છે.

ભાજપે પેજ સમિતિ બનાવવાનું કામ શરૂ કર્યું

ભાજપ દ્વારા એક એક વોર્ડમાં 500થી લઇને 1000 કાર્યકર્તાઓ તૈયાર કરી દેવામાં આવ્યા છે. આ કાર્યકર્તાઓને અત્યારથી જ આંતરિક રીતે ચૂંટણી પ્રચાર કરવાનું સૂચન ભાજપ દ્વારા આપી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત ભાજપ દ્વારા પેજ સમિતિની રચના કરવાનું પણ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના મત વિસ્તાર હોવાથી ભાજપ માટે આ ચૂંટણી જીતવી પ્રતિષ્ઠાનો વિષય બની ગયો છે. જેથી કેન્દ્ર સરકાર તરફથી પણ ભાજપને ચૂંટણી જીતવા દબાણ થઈ રહ્યું હશે. જો કે તેને લઇને ભાજપમાં મિટિંગોનો ડોર શરૂ કરી દેવાયો છે. કાર્યકર્તાઓ પણ ઘરે ઘરે જઈને અત્યારથી જ લોક સંપર્ક વધારી રહ્યા છે. કોરોનામાં થયેલી કામગીરીને લઈને લોકોમાં રોષ છે. જેથી ભાજપએ ઘણી મહેનત કરવી પડશે. જે હેતુથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉતારવા પડી રહ્યા છે.

કોંગ્રેસને આ મુદ્દાઓનો લાભ વોટ બેન્ક તરીકે મળી શકે છે

શરૂઆતમાં જ કોર્પોરેશનની ચૂંટણી થતી હતી. ત્યારે જાતિવાદના વોટ કોંગ્રેસને ફાળે જતાં હતા, પરંતુ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવવાનો સિલસિલો આગળ ચાલુ રહેતા વોટ બેન્ક બંને પક્ષોમાં વહેંચાઇ ગઇ હતી. પરંતુ હજુ પણ થોડા ઘણા અંશે આ ફાયદો થઇ શકે છે. જેથી કોંગ્રેસે પણ અત્યારે ડોર ટુ ડોર પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. ગાંધીનગરમાં ગવર્મેન્ટ એમ્પ્લોઇનો ડી.એ. મામલે વિરોધ તેમજ અન્ય માંગો તેમજ તેમના અનેક પ્રશ્નો અને કોરોનામાં સરકારના કામને જોઈ લોકોમાં રોષ છે. જેને ધ્યાને લેતા કોંગ્રેસને વોટ બેન્કનો ફાયદો થઈ શકે છે. આ ઉપરાંત અત્યારે ગાંધીનગર કોર્પોરેશનમાં બે લાખ ડસ્ટબિન આપવા માટે 2 કરોડ 80 લાખ રૂપિયા ફાળવવામાં મામલે ઇનકાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોર્પોરેશનમાં સફાઈ કર્મચારીઓનો મુદ્દો કે જેમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જ લોકોને લેવામાં આવે છે. આ ઉપરાંત કોર્પોરેશનમાં થયેલા અને કેટલાક કરોડોના કૌભાંડોને જોતા અન્ય પક્ષ તરફી વોટબેન્ક તેમને ફળીભૂત થઇ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.