ગુજરાત વિધાનસભા સર કરી શકશે ટીમ ભૂપેન્દ્ર ? જાણો તમામ સમીકરણ…

author img

By

Published : Sep 23, 2021, 4:19 PM IST

gujarat assembly election 2022

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel )ની નવી ટીમે શપથગ્રહણ કરી લીધા છે અને ખાતાની ફાળવણી પણ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, બે પ્રધાન કિરીટસિંહ રાણા અને રાઘવજી પટેલ સિનિયર નેતા છે અને તેઓ અગાઉની સરકારોમાં પ્રધાનપદે રહી ચૂક્યા છે. અન્યથા આખી ટીમ નવી છે. નવી ટીમના નેતૃત્વમાં આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( GUJARAT ASSEMBLY ELECTION 2022 ) કેવી રીતે જીતાશે ? તે વિષયને લઈને ETV Bharatનો વિશેષ અહેવાલ…

  • ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ કેટલી છે સજ્જ ?
  • વિધાનસભાની ચૂંટણી જીતવી નવો પડકાર હશે
  • સિનિયર નેતામાં કચવાટ છતાં કોઈ બોલી શકતું નથી

અમદાવાદ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel ) સહિત કુલ 10 કેબિનટ પ્રધાન, 5 સ્વતંત્ર હવાલો ધરાવતાં પ્રધાન અને 9 રાજ્યકક્ષાના પ્રધાન સાથેના પ્રધાનમંડળે ગત 16 સપ્ટેમ્બરના રોજ શપથ ગ્રહણ કર્યા હતા. આ બાદ નવી સરકારની પ્રથમ કેબિનેટની બેઠકમાં ખાતાની ફાળવણી થઈ હતી.

નવી ટીમ સરકાર ચલાવવાના અનુભવથી દુર

નવા મુખ્યપ્રધાનની નવી ટીમ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કામ કરશે. ડીસેમ્બર 2022માં આવનારી ચૂંટણી( GUJARAT ASSEMBLY ELECTION 2022 )ના હવે 14 મહિનાનો સમય બાકી છે પણ હવે સવાલ એ છે કે, નવી ટીમને સરકાર ચલાવવાનો કોઈ જ અનુભવ નથી, તેમણે સરકારી અધિકારીઓ અને સચિવોના ભરોસે અને વિશ્વાસે ચાલવું પડશે. બીજી તરફ નવી ટીમે હવે પ્રજાલક્ષી કામ કરવા પડશે, પ્રજા વચ્ચે રહેવું પડશે, પ્રજાના પ્રશ્નોને સાંભળવા પડશે, પ્રજાને પસંદ પડે તેવા પગલા પણ લેવા પડશે, લોકપ્રિય બજેટ આપવું પડશે, આ બધુ જો નવી ટીમ અપનાવે અને તેને અમલમાં મુકે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝળહળતી સફળતા મેળવી શકાય તેમ છે.

પાટીલની ‘નો રિપીટ થીયરી’ સફળ થશે?

રાજકારણમાં કાંઈ શાશ્વત નથી હોતું. તેમ રાતોરાત રૂપાણી સરકારનો સત્તા પલટો થઈ ગયો અને ભૂપેન્દ્ર પટેલની સરકાર આવી ગઈ. આ બાબતે ભાજપ મોવડી મંડળે જોરદાર દાવ રમ્યા છે, ‘નો રિપીટ થિયરી’ ને અમલમાં મુકીને તે કેટલી સફળ થશે તે હાલ કહેવું મુશ્કેલ છે, પરંતુ મોદી અને શાહની જોડીએ પાટીલનો સાથ લઈને ગુજરાતમાં ધરમૂળથી ફેરફાર કર્યો છે. સમગ્ર ટીમ બદલી નાંખવી, તે કાંઈ નાની સુની વાત નથી. બહુ મોટું ઓપરેશન પાર પાડ્યું છે.

હવે શું કરશે સિનિયર પ્રધાનો ? રૂપાણીની ઉજવણીનું શું ?

હાલ તો સિનિયર નેતાઓ ઘરભેગા થઈ ગયા છે. રૂપાણી કેબિનેટના પ્રધાનો કયાંય નથી, તેઓ હવે શું કરશે ? બધા એક જ સવાલ પુછે છે. વિજય રૂપાણી, નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, સૌરભ પટેલ જેવા ખૂબ સિનિયર નેતાઓ શું કરશે ? સંગઠનમાં કામ કેવી રીતે કરશે ? તેમની પાસે હાલ કોઈ જ હોદ્દો નથી, પ્રજા પાસે કેવી રીતે જશે ? તેઓને રાતોરાત નીચે ઉતારી દેવાયા છે, તેઓ તેમના મત વિસ્તારમાં જઈને શું કરશે ? મત વિસ્તારના લોકોને શું કહેશે ? આવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ બાબતે પ્રજા પુછી રહી છે કે, રૂપાણી સરકાર યોગ્ય ન હતી, કામ નહોતી કરતી અને નિષ્ફળ હતી તો પછી 5 વર્ષની ઉજવણી શા માટે કરી ? પ્રજાના પૈસાનો વેડફાટ કેમ કર્યો ?

સિનિયર નેતામાં કચવાટ છે, પણ કોઈ બોલી શકતું નથી!

કોઈનામાં વિરોધ કરવાની શક્તિ જ નથી, કોઈ ભાજપ મોવડીમંડળ વિરુદ્ધ બોલવા તૈયાર નથી. બધા જ અંદરોઅંદર મનોમન કચવાટ અનુભવે છે, પણ કોઈ બોલી શકે તેમ નથી. રાતોરાત હાથમાંથી સત્તા જતી રહી છે, છતાં ઘણા સિનિયર નેતાઓ હસતા મોઢે ફરી રહ્યા હતા. સચિવાલયમાંથી ઓફિસ ખાલી કરવી અને પ્રધાનોનું આવાસ ખાલી કરવું એ મોભાનો ત્યાગ બહુ મોટું અઘરું કામ છે અને એ સિનિયર નેતાઓએ કરવું પડ્યું હતું.

શંકરસિંહ વાઘેલાનું એક ટ્વિટ પોરસ ચઢાવે તેવું છે

શંકરસિંહ વાઘેલાએ પ્રધાનોના શપથ ગ્રહણના દિવસે એક ટ્વિટ કરીને જૂની ટીમને લલકારવા માટે પોરસ ચઢાવ્યું હતુ. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે ‘આજની રાજનીતિ મહાભારતથી ઓછી નથી. આદર્શ અને સ્વાભિમાન પર જ્યારે આંચ આવે ત્યારે પોતાના જ પરિવારના કૌરવો સામે લડવું યોગ્ય ધર્મ અને કર્મ છે. આ ધર્મ યુદ્ધ ફક્ત સ્વાભિમાનની રક્ષા માટે નથી, પણ સમગ્ર પ્રદેશના કલ્યાણ માટે છે. જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ આવશે ત્યારે અર્જુને નિસંકોચ યુદ્ધ કરવું જ પડશે.’ આ ટ્વીટ વાંચીને કોને પોરસ ચઢે છે તે હવે પછીનો સમય કહેશે ? કોણ બળવો કરવા આગળ આવે છે. રાજકારણમાં બધુ જ શક્ય છે, અગાઉ આપણે બધાએ જોયું છે કે, આખી પાર્ટીઓ બદલાઈ જાય છે. બીજા પક્ષની સરકાર પણ રચાઈ જાય છે. એક બેઠક માટે બહુમતી મેળવી શકાતી નથી અને મેળવીને સત્તા પર પણ આવી જવાય છે. આ તો રાજનીતિ છે.

રૂપાણી સરકારની નિષ્ફળતાની ગાથા

વિજય રૂપાણી સરકાર કોરોનાની બીજી લહેરમાં આરોગ્ય ક્ષેત્રે કથળેલી સ્થિતિને મેનેજ ન કરી શકી અને સિવિલ હોસ્પિટલમાં મિસ મેનેજમેન્ટ, 108ની 24થી 48 કલાક સુધીનું વેઈટિંગ, રેમડેસિવિર ઈન્જેક્શનના કાળાબજાર, ખાનગી હોસ્ટિપટલોએ પ્રજાને લૂંટી છે, આ બધા કિસ્સામાં પ્રજા રૂપાણી સરકારની કામગીરીને લઈને રોષે ભરાયેલી હતી. જો કે, આ ડેમેજ કન્ટ્રોલને ખાળવા માટે જ નવા મુખ્યપ્રધાન અને નવી જ ટીમ બનાવી દીધી છે. લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવાનો આખો પ્લાન હોય તેમ દેખાઈ રહ્યું છે. બીજી તરફ રૂપાણી સરકારના સિનિયર પ્રધાનો પ્રજાલક્ષી કામ કરતાં ન હતા, પ્રજા વચ્ચે રહેવું અને પ્રજાની મુશ્કેલીઓને સાંભળવી, તે થતું ન હતું. રૂપાણી અને નીતિન પટેલ વચ્ચે મનમેળ ન હતો તેમજ રૂપાણી અને પાટીલ વચ્ચે મનમેળ ન હતો. આવી રીતે સરકાર ચાલતી હતી. આ બધા ઈનપુટ ભાજપ મોવડીમંડળ સમક્ષ ગયા હતા અને તેમણે નક્કી કરી નાંખ્યું કે સિનિયરોની બાદબાકી કરો અને નવી ટીમ ઉભી કરો.

ભૂપેન્દ્ર પટેલની ટીમ કે સી. આર. પાટીલની ટીમ ?

ગુજરાત વિધાનસભાની ડીસેમ્બર 2022માં ચૂંટણી આવી રહી છે, ત્યારે ભાજપે ખૂબ મોટો દાવ ખેલ્યો છે. આ સામે આમ આદમી પાર્ટી જોરદાર રીતે તૈયારી કરીને ચૂંટણીના મેદાનમાં ઝંપલાવવા માટે કમર કસી રહી છે. તેને જરાય હળવાશથી લેવાની જરૂર નથી, પરંતુ ભાજપે આખી નવી ટીમ ઉભી કરીને નવેસરથી દાવ ખેલવા માટે ચોસર પાથરી છે. હવે ભૂપેન્દ્ર પટેલ રમશે કે સી. આર. પાટીલ રમશે. આનો કહેવાનો અર્થ એ છે કે, આ ભૂપેન્દ્ર પટેલની ટીમ કહેવાશે કે પાટીલની ટીમ કહેવાશે ?

ભરત પંચાલ બ્યૂરો ચીફ, ETV Bharat ગુજરાત...

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.