દક્ષિણ ગુજરાતના વલસાડ સિવાય તમામ જિલ્લામાં સરેરાશ કરતા ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે, 01/06/2019 થી 25/07/2019 સુધીમાં સરેરાશ ગુજરાતમાં 319.2 mm વરસાદ નોંધાયો છે. જેની સામે આ વખતે માત્ર 184.7 mm વરસાદ નોંધાયો છે. એટલે કે, 42 ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો છે. ત્યારે સંઘપ્રદેશ દમણમાં સરેરાશ 777.9 mm વરસાદની સામે આ વખતે 1101.4 mm વરસાદ નોંધાયો છે. એમાંય દમણ શહેરમાં અત્યાર સુધીમાં 1624.5 mm વરસાદ વરસતાં આંકડો 62 ટકા ઉપર પહોંચ્યો છે. દાદરા નગર હવેલીમાં 1000.6 mm સરેરાશ વરસાદ સામે આ વર્ષે 1485.8 mm એટલે કે 48 ટકા થી વધુ વરસાદ નોંધાયો છે.
મહેસાણામાં 56 ટકા, પાટણમાં 50 ટકા અને ગાંધીનગરમાં 55 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં તો વરસાદની સરેરાશ સામે 30 થી 82 ટકા ઓછો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું પ્રસર્યુ છે. ગુજરાત પર ઘેરાયેલાં આ દુષ્કાળના વાદળોમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ જગતના તાત ચિંતામાં મુકાયા છે. જો કે, હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે, વરુણદેવ આ દિવસોમાં પોતાનું હેત વરસાવે જેથી ગુજરાત પાણીની સમસ્યાથી બહાર આવી શકે.
હાલમાં બે દિવસથી વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પડેલા વરસાદની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં બુધવારના સાંજના 6 વાગ્યાથી ગુરુવારના સવારના 10 વાગ્યા સુધીમાં ઉમરગામમાં 30mm, કપરાડામાં 104 mm, ધરમપુર માં 84 mm, પારડીમાં 54mm, વલસાડમાં 48mm, વાપીમાં 42mm એજ રીતે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સેલવાસમાં 26 કલાકમાં 71mm અને ખાનવેલમાં 24 કલાકમાં 111 mm વરસાદ નોંધાયો છે. ત્યારે જિલ્લાના મહત્વના ડેમ કહેવાતા મધુબન ડેમની જળ સપાટી હાલ 73.64 મીટરે પહોંચી છે. મધુબન ડેમમાં 72,484 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ડેમના 8 દરવાજા 2 મીટર સુધી ખોલી 67,070 ક્યુસેક પાણીને દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.