ETV Bharat / city

ગુજરાત રાજ્યમાં શિક્ષક દિવસની ઉજવણી, શિક્ષકોએ હવે કરવું પડશે 8 કલાક કામ - શિક્ષણપ્રધાનની જાહેરાત

author img

By

Published : Sep 5, 2021, 10:58 PM IST

ગુજરાત રાજ્યમાં શિક્ષક દિવસની ઉજવણી
ગુજરાત રાજ્યમાં શિક્ષક દિવસની ઉજવણી

પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ દિન નિમિત્તે અમદાવાદના બોડકદેવ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ હોલમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ રાખવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યપ્રધાન ઉપસ્થિત રહ્યા હતા.

  • વિદ્યાર્થીને જ્ઞાન અને ઇન્સાન બનાવી એ જ સાચી વિદ્યા: રાજ્યપાલ
  • શિક્ષકો માત્ર સરકારી કર્મચારી નથી રાષ્ટ્રના ઘડવૈયા છે: મુખ્યપ્રધાન
  • શિક્ષણની ગુણવત્તામાં સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર છે: શિક્ષણપ્રધાન

અમદાવાદ- શિક્ષણ દિન નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહને સંબોધતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, વિદ્યાર્થીને જ્ઞાન અને માણસ બનાવે એ જ સાચી વિદ્યા છે. બાળકના શારીરિક જન્મમાં માતા-પિતાની ભૂમિકા હોય છે, પણ તેના માણસના ઘડતરમાં શિક્ષકની જ મહત્વની ભૂમિકા રહેલી છે. ભારતીય વિચાર પરંપરા સમૃદ્ધ હતી અને તેથી જ અનેક વિદેશી આક્રમણો થતાં ભારતીય સંસ્કૃતિ પર તેની કોઈ અસર જોવા મળી નથી, પણ અંગ્રેજોએ ભારતમાં સ્થાયી સિદ્ધાસન માટે સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન કર્યું. જેના પગલે ભારતીય માનસિકતા દીનહીન બની હતી.

ગુજરાત રાજ્યમાં શિક્ષક દિવસની ઉજવણી
ગુજરાત રાજ્યમાં શિક્ષક દિવસની ઉજવણી

અંગ્રેજો જાણતા હતા કે, ભારતમાં શાસન કરવા માટે શિક્ષણ વ્યવસ્થાને બદલવી પડશે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વધુમાં કહ્યું હતું કે, અંગ્રેજો જાણતા હતા કે, ભારતમાં શાસન કરવા માટે શિક્ષણ વ્યવસ્થાને બદલવી પડશે. અન્યથા તે શાસન કરી શકે નહીં. આ અંગ્રેજ શાસનકાળની જૂની પુરાણી શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન જાણવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમલી બનાવેલી નવી શિક્ષણ નીતિની પણ તેમણે પ્રશંસા કરી હતી. ભારતમાંથી અંગ્રેજો ગયા પણ અંગ્રેજી રહેણીકરણી અને ખાણી-પીણીનો ઉપયોગ આજે પણ થઇ રહ્યો છે.

દારૂબંધી અંગેના નીતિન પટેલના નિવેદનને રાજ્યપાલે આપ્યું સમર્થન

ભારતીય ગુરુકુળ પરંપરાનો ઉલ્લેખ કરતાં તેમણે વધુમાં કહ્યું કે, ભારતમાં સમૃદ્ધ ગુરુ-શિષ્ય પરંપરા હતી અને આ સમૃદ્ધ પરંપરાના કારણે સમાજ ઉન્નત દીક્ષિત હતો. ભારતીય ગુરુકુળમાં વિદ્યાર્થી કેન્દ્ર સ્થાને હતો, ભૌતિક સુવિધાઓ નહીં. ગુજરાતના વિકાસનો શ્રેય રાજ્યની સભ્યતા અને સંસ્કૃતિને જાય છે અને ગુજરાત સરકારે દારૂબંધીના કાનૂન માટે અભિનંદન પાઠવ્યા હતા. નીતિન પટેલ દ્વારા દારુબંધીને લઈને જે નિવેદન આપવામાં આવ્યું હતું, તેને સમર્થન પણ રાજ્યપાલે આપ્યું. તેમને જણાવ્યું છે કે, ગુજરાતમાં જે રીતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે, દારુબંધીને લઈને કડકાઇ દાખવવામાં આવશે, જેને રાજ્યપાલે બિરદાવી છે. ગુજરાત સરકારને દારૂબંધીના કાનૂન માટે અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત રાજ્યમાં શિક્ષક દિવસની ઉજવણી
ગુજરાત રાજ્યમાં શિક્ષક દિવસની ઉજવણી

જૈન ગુરુકુળને રાજ્યપાલે બિરદાવી

શિક્ષક દિવસે અમદાવાદ સ્થિત સાબરમતી વિસ્તારમાં આવેલા જૈન ગુરુકુળને રાજ્યપાલે બિરદાવી તેમને જણાવ્યું કે, અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા જૈન ગુરુકુળમાં પૌરાણિક ગ્રંથો અને પ્રાચીન ગ્રંથોને આધારિત ગણિત શિખવાડવામાં આવી રહ્યું છે. આજે એક શિક્ષક કેલ્ક્યુલેટર લઈને બેસે જેની સામે એક નાનો બાળક સામાન્ય અવસ્થામાં બેસે અને બન્નેને કોઈ પણ મોટામાં મોટો ગુણાકાર, ભાગાકાર અથવા સરવાળો આપવામાં આવે તો જૈન ગુરુકુળમાં અભ્યાસ કરતો બાળક કેલ્ક્યુલેટર કરતાં પણ વધુ ઝડપી પોતાની અવસ્થામાં ગણતરી કરીને આપી શકતો હોય છે. જે પૌરાણિક ગણિતના આધારે આપવામાં આવતી આ શિક્ષા ખૂબ જ જરૂરી બની છે.

મુખ્યપ્રધાન રૂપાણીએ શિક્ષકોને રાષ્ટ્રીય ઘડવૈયા ગણાવ્યા

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, શિક્ષક એ માત્ર સરકારી કર્મચારી નથી, પણ એ રાષ્ટ્રીય ઘડવૈયા છે. તેમને ઉદાહરણ આપતાં કહ્યું કે, આપણે શાળામાં બાળકને પૂછીએ છીએ કે તે મોટો થઈને શું બનવા માંગે છે, ત્યારે બાળક તરત જ ત્રણ વસ્તુઓના જવાબ આપતો હોય છે. જેમાં પ્રથમ શિક્ષક, બીજા સ્થાને ડોક્ટર અને ત્રીજા સ્થાને પોલીસ બનવાનું ઇચ્છતો હોય છે. બાળક શિક્ષકની વેબસાઇટ પર પસંદગી ઉતારે છે કારણ કે, તેનો આદર્શ શિક્ષક હોય છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, વ્યક્તિ ગમે તે પદ પર પહોંચે પણ તે પોતાના શિક્ષકોને કદી ભૂલતો નથી. કારણ કે તે જાણે છે કે, તેના ઘડતરમાં શિક્ષકોનું અમૂલ્ય યોગદાન રહેલું છે. શિક્ષકની ભૂમિકાને કારણે જ આપણે તેમને ઈશ્વર તુલ્ય ગણીએ છે.

કોઈપણ રાષ્ટ્રના વિકાસનો પાયો શિક્ષણ છે - મુખ્યપ્રધાન

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વાલીઓ અને શિક્ષકોને શિક્ષણ પ્રત્યેનો અભિગમ બદલવા માટે અનુરોધ કરતાં કહ્યું કે, કોઈપણ રાષ્ટ્રના વિકાસનો પાયો શિક્ષણ છે અને આ પાયાના શિક્ષણની જવાબદારી શિક્ષકોના સીરે છે. તેમણે રાષ્ટ્રના ઉન્નતિના પાયામાં ઇનોવેશન રહેલો છે અને આ ઇનોવેશન માટે આપણે પ્રાથમિક શિક્ષણનો પાયો મજબૂત કરવો પડે. શિક્ષકમાં નિર્માણ અને પ્રલય બન્નેની તાકાત રહેલી છે.

નવી શિક્ષણ નીતિને લઈ વડાપ્રધાનનો માન્યો આભાર

મુખ્યપ્રધાન રૂપાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજ્યનો દરેક બાળક શિક્ષણ પ્રાપ્ત કરે એ જ અમારું લક્ષ્ય રહ્યું છે. તેમણે આ અવસરે નવી શિક્ષણ નીતિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં શિક્ષણના ક્ષેત્રમાં થયેલી કામગીરીની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, કુશળ માનવબળ માટે આપણા રાજ્યમાં સેકટોરીઅલ યુનિવર્સિટીનું નિર્માણ કર્યું છે. જેના પગલે વૈશ્વિક કંપનીઓને કુશળ માનવબળ પ્રાપ્ત થશે અને યુવાનોને રોજગારી પણ પ્રાપ્ત થશે. તેમણે વૈશ્વિક સ્પર્ધા માટેનું માનવબળ તૈયાર કરવા માટે શિક્ષકોને સજ્જ થવા અપીલ કરી હતી. તેમણે સૌને દેશ માટે જીવવા સંકલ્પબદ્ધ અને નમ્રતા કેળવવાનો અનુરોધ કર્યો છે. જેમ તાડનું વૃક્ષ ગમે તેટલું ઉચું થાય પણ છાયો આપતું નથી, પણ વટવૃક્ષ ઝાઝી ઊંચાઈના ધરાવતું હોવા છતાં લોકોને શાંતિ અને છાયડો આપે છે.

શિક્ષકોને હવે 8 કલાક કરવું પડશે કામ

શિક્ષક દિવસે ગુજરાત સરકારના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તમામ શિક્ષકોને શુભેચ્છા પાઠવ્યા બાદ જણાવ્યું કે, પ્રાથમિક શિક્ષકોએ ફરજિયાત આઠ કલાક સ્કૂલમાં હાજરી આપવી પડશે. જેથી શિક્ષકોએ અઠવાડિયાના 45 કલાક કામ કરવાનું રહેશે. આરટીઆઈના નિયમ મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકોએ સ્કૂલમાં આઠ કલાકની હાજરી આપવાની હોય છે. જેના કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આરટીઆઇના નિયમોનું અલગ-અલગ અર્થઘટન કરીને અલગ-અલગ સમય પ્રમાણે શિક્ષકોને શાળાએ હાજરી માટે પરિપત્ર કરવામાં આવ્યો છે. જો કે આ અંગે થઈને શિક્ષકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.