ETV Bharat / bharat

SC ON ADANI HINDENBURG : અદાણી શેરમાં થયેલા ઘટાડા મામલે સુપ્રીમે સમિતિની રચના કરવાનો આપ્યો આદેશ

author img

By

Published : Mar 2, 2023, 4:16 PM IST

હિંડનબર્ગ રિપોર્ટના લીધે અદાણી ગ્રુપના શેરમાં થયેલા ઘટાડા મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જેમાં શેરબજારો માટે વિવિધ નિયમનકારી પાસાઓની તપાસ કરવા માટે છ સભ્યોની સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે. હિંડનબર્ગ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર છેતરપિંડીના આરોપોને કારણે શેરમાં થયેલા ઘટાડા બાદ સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે.

adani
adani

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રુપના શેરમાં થયેલા ઘટાડા મામલે સુનાવણી કરી હતી. જેમાં કોર્ટે શેરબજારના વિવિધ નિયમનકારી પાસાઓ તેમજ અદાણી જૂથની કંપનીઓના શેરમાં ઘટાડાની તપાસ કરવા સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો હતો.

છ સભ્યોની સમિતિની રચના: અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના અહેવાલ બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો થયો હતો. જે મામલે સુપ્રીમ કોર્ટે મોટું પગલું ભર્યું છે. સુપ્રીમે તપાસ કરવા માટે છ સભ્યોની સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે. કમિટીએ બે મહિનામાં પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ હિંડનબર્ગ કેસ પર સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે સત્યની જીત થશે.

આ પણ વાંચો: One Month After Hindenburg Report : હિંડનબર્ગના અહેવાલના એક મહિના પછી પણ અદાણી જૂથમાં ઘટાડો ચાલુ

સમગ્ર પરિસ્થિતિની થશે તપાસ: ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બેન્ચે જણાવ્યું હતું કે સમિતિ આ મામલે સમગ્ર પરિસ્થિતિની તપાસ કરશે. રોકાણકારોને દરેક બાબતથી વાકેફ કરવા પગલાં લેશે. સ્ટોક એક્સચેન્જના વર્તમાન નિયમનકારી સત્તાને મજબૂત કરશે અને ઉકેલો સૂચવશે. કેન્દ્ર સરકાર તેમજ નાણાકીય વૈધાનિક સંસ્થાઓના અધ્યક્ષ, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાને તપાસ સમિતિને સંપૂર્ણ સહયોગ આપવાનો નિર્દેશ કર્યો છે.

આ પણ વાંચો: Adani Hindenburg case : અદાણી-હિંડનબર્ગ કેસમાં મીડિયા પર પ્રતિબંધ મૂકવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

અદાણી જૂથ પર છેતરપિંડીનો આરોપ: સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ ઓપી ભટ અને જસ્ટિસ જેપી દેવદત્ત પણ છ કમિટીના સભ્યો હશે. સમિતિના અન્ય સભ્યોમાં નંદન નીલેકણી, કેવી કામથ, સોમસેકરન સુંદરેસનને સામેલ કરવામાં આવ્યા છે. અગાઉ સર્વોચ્ચ અદાલતે 17 ફેબ્રુઆરીએ પોતાનો આદેશ અનામત રાખતા નિષ્ણાતોની સૂચિત સમિતિ પર કેન્દ્રના સૂચનો સીલબંધ કવરમાં લેવાનો ઇનકાર કર્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં ચાર જાહેર હિતની અરજીઓ થઈ છે. આ અરજીઓ એડવોકેટ એમએલ શર્મા, વિશાલ તિવારી અને કોંગ્રેસના નેતાઓ જયા ઠાકુર અને મુકેશ કુમાર દ્વારા દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો થયો છે. રિપોર્ટમાં અદાણી જૂથ પર શેરોમાં છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. જો કે અદાણી જૂથે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.