ETV Bharat / bharat

કોરોના સંકટ પછી કેરળના પ્રવાસનને બેઠું કરવાના પ્રયત્નો

author img

By

Published : Jan 16, 2021, 8:48 PM IST

ડિસેમ્બર 2020ના અંત ભાગમાં વર્ષ વિદાય લેવાની તૈયારીમાં હતું ત્યારે કેરળના મન્નારમાં ઠંડી વધવા લાગી હતી. કેરળના પર્યટક સ્થળ તરીકે સૌથી લોકપ્રિય મન્નારમાં કાશ્મીરની યાદ આવી જાય તેવી ઠંડી અને આહ્લાદક ધૂમ્મસ વચ્ચે મુન્નાર જાણે ફરી ખીલી ઊઠ્યું હતું. મન્નારના જાણીતા ટુરિસ્ટ સ્પોટ પર વાહનોની કતાર લાગી ગઈ હતી. લોકોને ઘણા વખતે રાહતનો અનુભવ થઈ રહ્યો હતો અને એન્ટ્રી ટિકિટ મેળવવા માટે કતારમાં લાગી ગયા હતા.

કેરળ પ્રવાસન
કેરળ પ્રવાસન

ન્યૂઝ ડેસ્ક: ડિસેમ્બર 2020ના અંત ભાગમાં વર્ષ વિદાય લેવાની તૈયારીમાં હતું ત્યારે કેરળના મન્નારમાં ઠંડી વધવા લાગી હતી. કેરળના પર્યટક સ્થળ તરીકે સૌથી લોકપ્રિય મન્નારમાં કાશ્મીરની યાદ આવી જાય તેવી ઠંડી અને આહ્લાદક ધૂમ્મસ વચ્ચે મુન્નાર જાણે ફરી ખીલી ઊઠ્યું હતું. મન્નારના જાણીતા ટુરિસ્ટ સ્પોટ પર વાહનોની કતાર લાગી ગઈ હતી. લોકોને ઘણા વખતે રાહતનો અનુભવ થઈ રહ્યો હતો અને એન્ટ્રી ટિકિટ મેળવવા માટે કતારમાં લાગી ગયા હતા.

તેની સાથે જ સ્થાનિક લોકોના ચહેરા પર પણ રોનક દેખાઈ, કેમ કે ઘણા વખત પછી સ્થિતિ રાબેતા મુજબની લાગી હતી. કપલ્સ સેલ્ફીઓ લેવામાં વ્યસ્ત હતા, જ્યારે અન્ય લોકો ઝાકળ જેવા માહોલ વચ્ચે છુપાયેલી હરિયાળીને માણી રહ્યા હતા. જોકે હજી સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પૂરી રીતે શરૂ થઈ નથી એટલે વિદેશી પ્રવાસીઓ જોવા મળ્યા નહોતા.

કેરળના પર્યટન વિભાગે આ સંકટના સમયે સ્થાનિકને વધારે મહત્ત્વન આપવાનું નક્કી કર્યું છે. સ્થાનિક પર્યટકો વધારે આવે અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રી ફરી બેઠી થાય તે માટે પ્રયાસો થઈ રહ્યા છે. આ પ્રયાસો સફળ થતાં લાગ્યા છે અને એવા અણસાર છે કે કેરળનો પ્રવાસન ઉદ્યોગ ફરી પાટે ચડી જશે. રસીકરણનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો છે અને તે સાથે ઝડપથી સ્થિતિ થાળે પડશે તે સાથે જ કેરળ ફરીથી પ્રવાસીઓથી ધમધમવા લાગશે તેવી આશા છે.

“અમે નવી ટુરિઝમ કેમ્પેઇન શરૂ કરી છે જેનું નામ છે “ચેન્જ ઑફ એર'. બદલાતી હવા એવી થીમ સાથે અખબારો, ટીવી, રેડીયો અને સોશ્યલ મીડિયામાં કેરળમાં પ્રવાસ માટે આમંત્રણની જાહેરખબરો આપવાનું શરૂ થયું છે. તેના કારણે પ્રવાસીઓ આકર્ષાયા પણ છે,” એમ કેરળ ટુરિઝમના ડિરેક્ટર પી. બાલાકિરણ કહે છે.

છેલ્લા કેટલાય મહિનાથી પોતાના ઘરમાં જ પુરાઈને રહેલા સ્થાનિક પ્રવાસીઓ હવે બહાર નીકળવા લાગ્યા છે. તેઓ મોકળાશ માટે વધારે જોશથી નવા નવા સ્થળે ફરવા નીકળવા લાગ્યા છે એમ તેઓ વધુમાં જણાવે છે.

ભારતમાં પ્રવાસનો વિચાર આવે ત્યારે એમાં એક નામ કેરળનું ચોક્કસ આવે છે. લોકો ઘરમાં રહીને કંટાળ્યા હતા અને આ રીતે બમણા ઉત્સાહથી ફરવા નીકળવાના છે ત્યારે કેરળનો તેને લાભ મળશે તેમ માનવામાં આવે છે.

પ્રથમ નવેમ્બરથી રાજ્યના મહત્ત્વના પ્રવાસન સ્થળોને ખોલી દેવાયા છે. તે પછી અત્યાર સુધીમાં કેટલા પ્રવાસીઓ આવ્યા તેના આંકડાં હજી એકઠાં થયા નથી, પરંતુ પ્રાદેશિક પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવ્યા છે તેવો અંદાજ છે.

દાખલા તરીકે, ઇડુકીમાં આવેલા ઇરાવિકુલમ નેશનલ પાર્કમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધતી જણાય છે. અહીં પહાડીઓ પર ચરતા ઘેટાબકરા જોવા લહાવો હોય છે. ઓક્ટોબરમાં અહીં પ્રવાસીઓને છુટ આપવામાં આવી હતી. તે પછી એક મહિનામાં 6104 મુલાકાતીઓ આવ્યા હતા અને પછીના નવેમ્બર મહિનામાં તેની સંખ્યા વધીને 21766 થઈ હતી. તે પછી ડિસેમ્બરમાં તો પ્રવાસીઓની સંખ્યા બમણી થઈને ડિસેમ્બરમાં 43,509ની થઈ ગઈ હતી. ડિસ્ટ્રિક્ટ ટુરિઝમ પ્રમોશન કાઉન્સિલ હેઠળ ઇડુકીના 9 પ્રવાસન સ્થળો આવેલા છે. તેમાં ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 1,41,396 મુલાકાતીઓ આવી ચૂક્યા છે.

ટુર ઓપરેટર્સ અને હોટેલ માલિકો પણ જણાવી રહ્યા છે કે સમગ્ર રાજ્યમાં પ્રવાસીઓની અવરજવર ફરી શરૂ થઈ ગઈ છે. સમગ્ર દેશમાંથી પ્રવાસીઓ કેરળ આવી રહ્યા છે. ખાસ કરીને આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તામિલનાડુ જેવા પડોશી દેશોમાંથી મોટી સંખ્યામાં યાત્રીઓ આવી રહ્યા છે.

“ડિસેમ્બરના બીજા અઠવાડિયા પછી ઉત્તર ભારતના પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં કેરળ આવી રહ્યા છે. તેઓ હાઉસ બોટનો લહાવો લેવા આવી રહ્યા છે. તેના કારણે પ્રવાસન ક્ષેત્રને ઘણી રાહત થઈ છે. અમે હાઉસ બોટનો લહાવો લેવા આવનારા પ્રવાસીઓની યાદી તૈયાર કરીને ટુરિસ્ટ વિભાગને આપીએ છીએ. તે વિભાગ તરફથી માહિતી આરોગ્ય વિભાગને પહોંચાડવામાં આવે છે. અમે કોવીડ પ્રોટોકોલનું પાલન થાય તેના માટે પણ કાળજી લઈએ છીએ. હાઉસ બોટમાં અને પ્રવાસીઓના મનોરંજન વખતે પણ બધી કાળજી લેવામાં આવે છે,” એમ હાઉસ બોટ ઓનર્સ સોસાયટીના હની ગોપાલ કૈલાસમ જણાવે છે.

સરકારી વિભાગ હસ્તકના ટુરિસ્ટ સેન્ટરમાં હજીય 60થી મોટી ઉંમરના અને 10 વર્ષથી નાના બાળકોને પ્રવેશ આપવા સામે પ્રતિબંધો છે. સ્થાનિક લોકો માને છે કે આ પ્રતિબંધો દૂર થાય તે પછી કેરળ આવનારા પ્રવાસીઓ વધવા લાગશે.

કેરળ સરકાર અને પ્રવાસન વિભાગના પ્રયાસોને કારણે પ્રવાસન ઉદ્યોગ પર નભતા અનેક લોકોને રાહત થઈ છે. પ્રવાસન પ્રધાને સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રવાસ ઉદ્યોગ માટે 4500 કરોડ રૂપિયાનું રાહત પેકેજ તૈયાર કર્યું છે. ટુર ગાઇડ્સને તેમને થયેલા નુકસાન સામે 10,000 રૂપિયાની રાહત અપાઈ છે. કેરળ સરકારે પ્રાદેશિક પ્રવાસીઓને આકર્ષવા માટે વધુ 26 નવા ટુરિઝમ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. 59.51 કરોડ રૂપિયાના ખર્ચે 14 જિલ્લાઓમાં આ કેન્દ્રો વિકસાવાયા છે.

કોરોના સંકટના કારણે જાન્યુઆરીથી જ કેરળ પ્રવાસન ઉદ્યોગને અસર થવા લાગી હતી અને આ સમયગાળા દરમિયાન 35000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. 2019ના વર્ષમાં કેરળમાં 11,89,771 વિદેશી પ્રવાસીઓ અને 1,83,84,233 સ્થાનિક પ્રવાસીઓ આવ્યા હતા. આગલા વર્ષ કરતાં પ્રવાસીઓની સંખ્યામાં અનુક્રમે આ 8.5 ટકાનો અને 11.81 ટકાનો વધારો થયો હતો. કેરળની કુલ આવકમાં પ્રવાસન ઉદ્યોગનો ફાળો અંદાજે 40 ટકા જેટલો છે.

-કે. પ્રવીણ કુમાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.