સુરતઃ "ભૂલો ભલે બીજું બધું પણ મા-બાપને ભૂલશો નહીં..." આ ગીતમાં માતા-પિતાના મહત્વનું વર્ણન કરવામાં આવ્યું છે તેની સાથે તેમને સંતાનો માટે જે કર્યુ તેના બદલામાં સંતાનોએ માતા-પિતા સાથે કેવો વ્યવહાર કરવો તેની શીખ આપવામાં આવી છે. આ ગીતથી તદ્દન વિરુદ્ધ ઘટના સુરતમાં બની છે. જે પિતાએ પુત્રનું ધંધામાં થઈ ગયેલ 40 લાખનું દેવું ઉતાર્યુ તે પુત્રએ વિદેશગમન બાદ માતા-પિતાથી અંતર કરી લીધું હતું. આ ઝુરાપો માવતર સહન ન કરી શક્યા અને આપઘાત કરી લીધો હતો.
સમગ્ર ઘટનાક્રમઃ સુરત શહેરના સરથાણા પોલીસ મથક વિસ્તારમાં વૃદ્ધ દંપત્તિએ મકાનમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.મીરા એવન્યુ નામની બિલ્ડિંગમાં રહેતા 66 વર્ષીય ચીનુ ગેડિયા અને તેમની પત્ની 64 વર્ષિય મુક્તા ગેડિયાએ તેમના ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની વિગત એવી છે કે, ચુનીભાઈના પુત્ર પિયુષે 4 વર્ષ અગાઉ કાપડ બિઝનેસમાં 40 લાખ રુપિયાનું નુકસાન કર્યુ હતું. પિયુષનું દેવું ઉતારવા માટે ચુનીભાઈએ સંબંધીઓ પાસેથી પૈસા લીધા હતા. આ પૈસાથી પિયુષનું દેવું ચૂકતે કર્યુ અને પિયુષને કેનેડા મોકલ્યો હતો. ત્યારબાદ પિયુષના પિતા ચુનીભાઈ દેવાદાર થઈ ગયા હતા. જો કે કેનેડા ગયા બાદ પીયૂષે માતા-પિતા સાથે અંતર રાખી લીધું હતું. તે ન તો ફોન કરતો કે ન તો કોઈ આર્થિક મદદ કરતો હતો. કેનેડાથી એક વખત પિયુષ સુરત પણ આવ્યો હતો પરંતુ માતા-પિતાને મળવા માટે ગયો ન હતો. પિયુષના આ વર્તનને કારણે માતા પિતાને આઘાત લાગ્યો હતો. તેઓ હંમેશા દુઃખી રહેતા હતા. અંતે એક નબળી ક્ષણે તેમણે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેમણે આત્મહત્યા પહેલા 4 પાનાની સ્યુસાઈડ નોટ પણ લખી હતી.
અંતિમસંસ્કાર પાછળ ખર્ચ ન કરવા અપીલઃ જીવનનો અંત આણતા અગાઉ ચુનીભાઈએ તેમના પુત્રના નામે 4 પાનાની સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં વૃધ્ધાએ પોતાની વ્યથા વ્યક્ત કરી કેનેડામાં રહેતા પુત્ર પિયુષ સહિત પુત્ર સંજય અને પુત્રવધૂનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર પર ખર્ચ ન કરવા અપીલ કરી હતી. ચુનીભાઈએ લખ્યું છે કે, "તારા કારણે હું અને મારો પુત્ર સંજય રસ્તા પર આવી ગયા છીએ. તે અમારી સાથે દગો કર્યો છે. ભગવાનને કદાચ આ મંજૂર હશે. જો અમારાથી કોઈ ભૂલ થઈ હોય, તો હું હાથ જોડીને માફી માંગુ છું."
વૃદ્ધ દંપત્તિએ પોતાના મકાનમાં સુસાઈડ કરેલ છે. જે અંગેની તપાસ પીએસઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. અમને એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. આ સુસાઈડ નોટમાં ચુનીભાઈએ પોતાની હકીકત જણાવી છે. તેમનો પિયુષ નામક દીકરો અગાઉ કાપડના ધંધામાં સંકળાયેલો હતો. જેમાં તેને દેવું થતા તેના પિતાએ સગા સંબંધીઓ પાસેથી પૈસા લઈ દેવું ચૂકવ્યું હતું. ત્યાર પછી પિયુષ કેનેડા જતો રહ્યો હતો. કેનેડા ગયા પછી તેના વાણી-વર્તન બદલાઈ જતા અને તે કોઈ પણ રીતે સંપર્કમાં ન રહેતા તેઓ આઘાતમાં આવી ગયા હતા તેના કારણે તેમને આત્મહત્યા કરી લીધી હતી...વી. આર. પટેલ(એસીપી, સુરત)