અમદાવાદઃ લોકસભા ચૂંટણી સામે છે ત્યારે ટિકિટ મળી હોય તેવા ઉમેદવારો ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરી પડ્યા છે. ચૂંટણી પ્રચારમાં દેશના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ જોડાઈ ગયા છે. તેમણે લોકસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ અમદાવાદ ખાતે એ જ હનુમાન મંદિરથી કર્યા છે જ્યાંથી તેમણે 30 વર્ષ અગાઉ ચૂંટણી પ્રચાર કર્યો હતો.
ગાંધીનગર બેઠકના ઉમેદવારઃ 18મી લોકસભા ચૂંટણીમાં ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર બેઠક પર ઉમેદવાર તરીકે અમિત શાહ પર પસંદગી ઉતારી છે. આ બદલ અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનો આભાર માન્યો હતો. તેમણે પોતાને એક અદના કાર્યકરને ભાજપ કેવી મહત્વની જવાબદારી સોંપે છે તેનું સાક્ષાત ઉદાહરણ ગણાવ્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે,પાર્ટીની સભાઓમાં રસ્તા પર પડદા લગાડનાર અને પત્રિકા વહેંચનાર કાર્યકર્તાને પાર્ટીએ દેશનો ગૃહ પ્રધાન બનાવ્યો છે. બૂથ અધ્યક્ષથી પાર્ટી અધ્યક્ષ સુધી સુધીની સફર મેં ભાજપમાં ખેડી છે. ભાજપે ચા વેચનાર, ગરીબ ઘરના દીકરાને દેશના વડાપ્રધાન અને વિશ્વનેતા બનાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક લોકતંત્ર છે. આ સફર ભારતીય જનતા પાર્ટી સિવાય શક્ય નથી.
ભાજપની સિદ્ધિઓ વર્ણવીઃ અમિત શાહે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપની સિદ્ધિઓ વર્ણવી હતી. તેમણે ભાજપ અને નરેન્દ્ર મોદી દ્વારા દેશનો વિકાસ, ગરીબોના જીવન ધોરણમાં ઉત્થાન, મહિલા આરક્ષણ વગેરે સિદ્ધિઓની રજૂઆત કરી હતી. અમિત શાહે કહ્યું કે, મોદી સરકારના 10 વર્ષના શાસનમાં દેશ સમૃદ્ધ થયો છે. 60 કરોડથી વધુ ગરીબોના જીવનમાં ઉજાસ ફેલાયો છે. દેશની માતા- બહેનોને 33% આરક્ષણ આપ્યું છે.
ડોકલામમાં ચીને પીછેહઠ કરીઃ અમિત શાહે ભાજપ સરકારે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સુરક્ષા કેવી રીતે મજબૂત કરી તે વર્ણવતા કહ્યું કે, મોદી સરકારે દેશને સુરક્ષિત કર્યો છે. કાશ્મીરમાંથી સરકારે 370ની કલમ દૂર કરી છે. ભાજપ સરકારે ઉરી અને પુલવામાં આતંકવાદી હુમલા બાદ સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનમાં ઘુસીને આંતકવાદીઓનો સફાયો કર્યો હતો. ડોકલામમાં જ્યારે ચીને ધુસપેંઠ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વડાપ્રધાન મોદીએ લાલ આંખ કરી ત્યારે ચીને પોતાના જવાનો પરત ખેંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સુરક્ષિત બન્યુ છે.