અમદાવાદ: એક બાજુ પરશોત્તમ રૂપાલા રાજકોટમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે તો બીજી બાજુ ક્ષત્રિય સમાજમાં રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ વધુ ઉગ્ર બની રહી છે. આ દરમિયાન કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતે 9 એપ્રિલે ગાંધીનગર કમલમનો ઘેરાવો કરવાની જાહેરાત કરી છે. રાજ શેખાવતે તમામ ક્ષત્રિયો અને સમર્થકોને કેસરિયા ઝંડા અને ડંડા સાથે ગાંધીનગર પહોંચવા હાકલ કરી છે.
-
કમલમ્ ઘેરાવ 9 એપ્રિલ 2024 બપોરે 2 વાગે, નિર્ણાયક લડત માટે તમામ ક્ષત્રિયો અને અમારા સમર્થકો કેસરિયા ઝંડા અને ડંડા સાથે પહુંચો કમલમ્ ગાંધીનગર. pic.twitter.com/K52lLmXff9
— Dr Raj Shekhawat (@IAMRAJSHEKHAWAT) April 6, 2024
રાજ શેખાવતે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે હવે નિર્ણાયક લડતનો સમય આવી ગયો છે. આપણે ક્ષત્રિયોએ તો ઈતિહાસ રચ્યો છે. આ લોકતંત્રમાં એક વ્યક્તિએ જાણી જોઈને ટિપ્પણી કરી જાય છે. સતત વિરોધ છતાં ભારતીય જનતા પાર્ટી સમાજની માંગને ન્યાય આપતી નથી. આપણે સૌ ભેગા થઈએ. આ આપણા સમાજના માન, સ્વમાન, સ્વાભિમાનની લડત છે. ન્યાય મેળવીને આપણે સૌ આપણા સમાજના માન, સન્માન અને સ્વાભિમાનનું રક્ષણ કરીએ.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં કમલમ ખાતે પહોંચેલા ક્ષત્રિય મહિલાએ જણાવ્યું હતું કે, અમારી માંગ સંતોષાઈ નથી. આવનારા દિવસોમાં આનાથી વધુ ઉગ્ર પ્રદર્શન થશે. તો બીજી તરફ રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા મોટી સંખ્યામાં રેલી કાઢીને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. તો કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા બોપલ ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓને મળવા જતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. સાંજે તેમને મુક્ત કરીને અજ્ઞાત સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા.
એરપોર્ટ પર રુપાલાએ આપ્યું હતું નિવેદન:
રુપાલા દિલ્હીથી પરત ફર્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, ક્ષત્રિય સમાજ સહિત મને તમામ સમાજના લોકોનું પૂરેપૂરું સમર્થન છે. ક્ષત્રિય સમાજ મુદ્દે મારે હવે કંઇ કહેવું નથી. વિવાદને ભડકાવવાનો મારો કોઈ આશય નથી. મારા સમર્થનમાં તમામ સમાજ છે એટલે પાટીદાર અને ક્ષત્રિય કરવું નહીં. જ્યારે ક્ષત્રિય સમાજના આગેવાનોએ મને સમર્થન કર્યું છે. કોઈ ક્ષત્રિય વર્સીસ પાટીદાર નથી. હાલમાં આ મુદ્દે કઈ પણ બોલીને આગ લગાવવા માંગતો નથી. ગઈકાલે બેઠક થઈ તે બાબતે હું કોમેન્ટ કરુ એ યોગ્ય નથી કારણ કે, તેમાં અમારા આગેવાનો હોય તો એમને જ ખ્યાલ હોય.
કેમ થઈ રહ્યો છે વિરોધ:
કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાએ કહ્યું હતું કે, મહારાજાઓએ નમીને રોટી-બેટીના વ્યવહાર કર્યા. રૂખી સમાજ ઝૂક્યો નહોતો, હજાર વર્ષે રામ તેમના ભરોસે આવ્યા છે. જો કે વીડિયો વાયરલ થતાં પરશોત્તમ રુપાલાએ દિલગીરી વ્યક્ત કરી હતી. જો કે રાજપૂત સમાજે રૂપાલાની આ માફી પણ ક્ષત્રિય સમાજને મંજૂર ન હોય તેમ રૂપાલાની ટિકિટ રદ્દ કરી અન્ય કોઈને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.