અમદાવાદ:જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા કાઢવામાં આવી હતી. તેમાં દરિયાપુર વિસ્તારના અગ્રણી મુસ્લીમ ભાઈઓએ કોમી એકતાની મિશાલ રજૂ કરી હતી અને મહંતનું સ્વાગત કર્યું હતું. ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજના દિવસે તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે શહેરની મુલાકાતે આવે છે. આ પ્રસંગે અમદાવાદના દરિયાપુરમાં કબૂતર ઉડાવીને રાષ્ટ્રીય એકતાનો સંદેશો આપ્યો હતો. આ પ્રસંગે જમાલપુરા, ખાડીયા, દરિયાપુરમાં મુસ્લિમ સમાજના લોકોએ રથયાત્રાનું વિવિધ માર્ગો પર સ્વાગત કરી મહંત દિલિપદાસજીને પુષ્પોના હાર પહેરાવી અને પાઘડી આપી અભિવાદન કર્યું હતું. મુસ્લિમ સમાજના લોકોએ સ્વાગત કરી રાષ્ટ્રીય એકતાનો સંદેશો આપ્યો હતો. રથયાત્રા નિહાળવા મોટી સંખ્યામાં મુસ્લિમ ઘરના બાળકો અને યુવાનો ઉમટી પડ્યા હતા.અને કોંગ્રેસ નેતા નિરવ બક્ષીએ પણ રથયાત્રા નિમિત્તે શાંતિ અને ભાઈચારાનો સંદેશો આપ્યો હતો અને જૂની રથયાત્રાને પણ યાદ કરી હતી. રથયાત્રા પ્રસંગે અમદાવાદની તાજીયા કમિટીના અધ્યક્ષ રફીક નગરીએ જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષથી અમે રથયાત્રામાં કબૂતર ઉડાડીને શાંતિ અને ભાઈચારાનુ સંદેશ આપીએ છીએ.