ગુજરાત

gujarat

Ajwa Sarovar Vadodara : "આજવા સરોવર" 130 વર્ષનો અડીખમ ઇતિહાસ જાણો આ ખાસ અહેવાલમાં...

By

Published : Jul 5, 2023, 5:22 PM IST

આજવા સરોવરના નિર્માણને 130 વર્ષ થયા છતાં આજે પણ અડીખમ છે. આજવા સરોવરની કામગીરી વર્ષ 1885 માં શરૂ કરવામાં આવી હતી. ત્યારે આજે પણ કોઈપણ પ્રકારના પંપિંગ વગર વડોદરાની જનતાને પાણી મળી રહે છે. ત્યારે આવો જાણીએ આજવા સરોવરની અણજાણી વાતો...

Ajawa Sarovar Vodadara : 130 વર્ષથી અડીખમ "આજવા સરોવર"
Ajawa Sarovar Vodadara : 130 વર્ષથી અડીખમ "આજવા સરોવર"

130 વર્ષથી અડીખમ "આજવા સરોવર", જાણો સંપૂર્ણ ઈતિહાસ આ ખાસ અહેવાલમાં...

વડોદરા :શહેરના જીવાદોરી સમાન આજવા સરોવરના નિર્માણને 130 વર્ષ થયા છતાં આજે પણ અડીખમ છે. આ સરોવરનું નિર્માણ વર્ષ 1892 માં કરવામાં આવ્યું હતું. ત્યારે શહેરની વસ્તી 1 લાખ હતી. સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ આજવા સરોવરનું નિર્માણ કર્યું હતું. આ સરોવરના નિર્માણ સમયે 3 લાખની વસ્તીને ધ્યાનમાં રાખીને નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. પરંતુ આજે શહેરની વસ્તી 20 લાખને પાર પહોંચી છે. છતાં પણ આજે આ સરોવર 10 લાખ વસ્તીને પાણી પૂરું પાડી રહ્યા છે.

આજવા સરોવરનું નિર્માણ : આજવા સરોવરની કામગીરી વર્ષ 1885 માં શરૂ કરવામાં આવી હતી. વર્ષ 1892 માં સરોવરનું સંપૂર્ણ બનીને તૈયાર થયું હતું. આ સરોવર બનાવવા માટે જે તે સમયે ઈજનેર તરીકે સદાશિવ જગન્નાથ હતા. આ સરોવરની કામગીરી 7 વર્ષ સુધી ચાલી હતી. આ સરોવરની ફરતે પાંચ કિલોમીટર લાંબી માટીની બનેલી પાળ છે. જે આજે પણ આટલા વર્ષે અડીખમ જોવા મળી રહી છે. આ સરોવરનો ઘેરાવો 195 ચોરસ કિલોમીટરનો છે અને તેનું ગ્રાઉન્ડ લેવલ 196 ફિટ છે. આજવા સરોવરમાં 62 દરવાજા આવેલા છે જેમાં 212 ફૂટ સુધી પાણી ભરી રાખવામાં આવે છે. તેનું હાઈ લેવલ 214 ફૂટ અને લો લેવલ 183 ફૂટ છે. હાલમાં આજવા સરોવરની જળ સપાટી 209 ફૂટ સુધી જોવા મળી રહી છે.

વડોદરાવાસીઓ માટે પાણીનો સ્ત્રોત : વડોદરાની જનતાને કોર્પોરેશન દ્વારા જરૂરિયાતનું પાણી પૂરું પાડવામાં આવે છે. જેના માટે પ્રતિદિન આજવા સરોવરમાંથી 14.50 કરોડ લિટર પાણી લેવામાં આવે છે. હાલમાં વડોદરાની વસ્તી 20 લાખથી વધુ છે. જેની સામે પ્રતિદિન 52.50 કરોડ લીટર પાણીની જરૂરિયાત રહેતી હોય છે. આજવા સરોવર બાદ અન્ય પાણીનો પુરવઠો મહી નદીમાંથી લેવામાં આવે છે.

130 વર્ષથી અડીખમ "આજવા સરોવર"

આજવા સરોવરનો ઇતિહાસ :આ અંગે ઇતિહાસકાર ચંદ્રશેખર પાટીલે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, આજવા ડેમ પૂર્વે મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) ઇ.સ.1883 ની આસપાસ વઢવાણા તળાવ એશિયાનું સૌથી મોટું ડેમનું નિર્માણ કાર્ય કર્યું હતું. આજવા ડેમને બનાવવાની શરૂઆત મહારાજા ખંડેરાવ ગાયકવાડે કરી હતી. જે વડોદરા સ્ટેટના રાજા હતા અને સયાજીરાવને એડોપ કરેલા હતા. ત્યારે ઓછો વરસાદ થતો હતો અને પાણી વહી જતું હતું. સયાજીરાવે વડોદરાના નગરજનો માટે વિચાર્યું અને પાણીની જરૂરિયાતને ધ્યાનમાં લઈને ક્યાંક સંગ્રહ થાય તેવી વિચારણા હેઠળ વર્ષ 1892માં આજવા સરોવરનું નિર્માણ થયું હતું.

સયાજીરાવની દૂરદર્શિતા : આજવા સરોવર પર અર્ધન ડેમ આવેલો છે. આ ડેમમાં તેની જ માટીને લઈ ત્યાં પાળિયો બનાવવામાં આવે અને તેમાં પાણી સંગ્રહ થાય. ફરી એ જ માટી ખોદીને પછી તેના પર માટી નાખવામાં આવે તેવી પદ્ધતિ હતી. તે સમયમાં વડોદરાની અંદાજીત વસ્તી 80 હજારની આસપાસ હતી. પરંતુ સયાજીરાવ ગાયકવાડે આવનાર 200-300 વર્ષ સુધી કોઈપણ તફલીફ ન પડે તે પ્રકારે આયોજન કર્યું હતું.

આજે પણ આ ડેમ અડીખમ છે. અત્યારે વડોદરાની વસ્તી 20 લાખથી વધુ છે. આ વસ્તી સામે યોગ્ય પ્રમાણમાં પાણી મળે તેવું આયોજન કર્યું હતું. 18મી સદીમાં શહેરમાં કોઈ પણ પ્રકારના પંપિંગ વગર પાણી આવતું હતું. આજે પણ તે જ રીતે પાણી આવે એવા પ્રકારની ડિઝાઇન કરવામાં આવી હતી.-- ચંદ્રશેખર પાટીલ (ઇતિહાસકાર)

યોગ્ય માવજતની જરૂરિયાત :વડોદરામાં સરોવરમાંથી આવતું પાણી પાણીગેટ વિસ્તારમાં વિવિધ તળાવોમાં પંપિંગ વગર આવતું હતું. આ સરોવર વડોદરા માટે જીવાદોરી સમાન છે. આ સરોવરની સમયસર સાફ સફાઈ કરવામાં આવે તે જરૂરી છે. ઉપરાંત માટીને ફરી પાળી ઉપર નાખવામાં આવે તો ફરી પાછું વધારે પાણી સંગ્રહ થઈ શકે અને ઉપયોગમાં લઈ શકાય છે. આ અંગે કોર્પોરેશન યોગ્ય વ્યવસ્થા કરે તો આ સરોવરની યોગ્ય જાળવણી અને યોગ્ય પાણીનો ઉપયોગ થઈ શકે છે.

  1. Vadodara News: મહાદેવ તળાવમાં 150ફૂટ ઊંચાઈ પર 31 ફૂટ હનુમાનજીની મૂર્તિ પ્રસ્થાપિત, 4 km સુધી ઘંટ સંભળાશે
  2. Vadodara News : વડોદરાની MS યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટી રાજ્યની શ્રેષ્ઠ કોલેજમાં પ્રથમ સ્થાન

ABOUT THE AUTHOR

...view details