ગુજરાત

gujarat

Cyber ​​Sanjeevani Abhiyan 2.0 : સુરત પોલીસ શીખવશે સાયબર ક્રાઈમથી બચવાના ફંડા, શું તમે આવો છો ?

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2023, 5:32 PM IST

શહેરમાં લોકો સાયબર ફ્રોડનો શિકાર ન બને અને આ અંગે જાગૃતિ આવે તે માટે સુરત પોલીસ દ્વારા ખાસ આયોજન કર્યું છે. આવતીકાલે 3 સપ્ટેમ્બર રવિવારના રોજ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરની તમામ સ્કૂલ તેમજ કોચિંગ ક્લાસના 7 હજારથી પણ વધારે શિક્ષકો સહિત ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે.

Cyber ​​Sanjeevani Abhiyan 2.0
Cyber ​​Sanjeevani Abhiyan 2.0

સુરત પોલીસ શીખવશે સાયબર ક્રાઈમથી બચવાના ફંડા

સુરત : બદલાતા યુગની સાથે સાથે સાયબર ફ્રોડના બનાવોમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. સાયબર ફ્રોડ કરતા ગુનેગાર યેનકેન પ્રકારે લોકોને પોતાની જાળમાં ફસાવી તેઓની પાસેથી રૂપિયા પડાવી લેતા હોય છે. આવા અનેક ગુના પોલીસ ચોપડે નોંધાયા છે. તો બીજી તરફ સાયબર ફ્રોડનો ભોગ ન બનવું પડે તે માટે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. જેમાં કેટલીક તકેદારી રાખવાની જરૂર છે. ત્યારે સુરત પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવા માટે સાયબર સંજીવની અભિયાન 2.0 શરુ કરવામાં આવ્યું છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારમાં સાયબર સંજીવની રથના માધ્યમથી લોકોને સાયબર ક્રાઈમ અંગે જાગૃત કરવામાં આવશે.

સાયબર સંજીવની અભિયાન 2.0 : સાયબર સંજીવની અભિયાન 2.0 ભાગરૂપે સુરત પોલીસ દ્વારા એક મોટા જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાયબર ફ્રોડ અટકાવવા માટે આવતીકાલ 3 સપ્ટેમ્બર રવિવારના રોજ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સવારે 9:15 કલાકે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાયબર સંજીવની 2.0 ભાગરૂપે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને સુરત એકેડમીક એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે શિક્ષકો માટે સાયબર જાગૃતિ અંગેનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેનું ઉદઘાટન હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને રેલવે-ટેક્ષટાઇલ પ્રધાન દર્શના જરદોશ ઉપસ્થિત રહેશે.

સાયબર ક્રાઈમ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે વર્ષ 2021 માં સાયબર સંજીવની નામથી અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત લોકોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની માહિતી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત આ પ્રકારના અનેક ગુના ડિટેક્ટ કરીને આરોપીઓને પકડી લોકોને તેઓના પૈસા અને મુદામાલ પરત પણ અપાવવામાં આવ્યો છે. -- અજયકુમાર તોમર (સુરત શહેર પોલીસ કમિશનર)

સાયબર જાગૃતિ કાર્યક્રમ : આ કાર્યક્રમ અંગે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, લોકોમાં વધુ જાગૃતિ આવે તે માટે હવે સુરતમાં સાયબર સંજીવની 2.0 અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે 3 સપ્ટેમ્બરના રોજ ઇન્ડોર સ્ટેડિયમમાં 7 હજાર શિક્ષકોને સાયબર ક્રાઈમ અંગે માહિતી આપવામાં આવશે. આ કાર્યક્રમ બાદ શિક્ષકો પણ શાળામાં વિદ્યાર્થીઓને આ બાબતે જાગૃત કરશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ ઘરે જઈને વાલીઓ તેમજ પાડોશીને પણ જાગૃત કરે તેવો હેતુ છે. સાયબર ફ્રોડનો ભોગ બનતા અટકાવવા માટે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે.

જનતા જોગ અપીલ :સુરત શહેરની તમામ શાળા અને 250 જેટલા ટ્યુશન ક્લાસના શિક્ષકોને આ કાર્યક્રમમાં સાયબર ફ્રોડ અંગે માહિતી આપીને જાગૃત કરવામાં આવશે. ત્યારબાદ આ શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને પણ સાયબર ફ્રોડ અવેરનેસ બાબતે તાલીમ આપશે. તે વિદ્યાર્થીઓ પોતાના વાલી અને આજુબાજુના લોકોને પણ જાગૃત કરે તેવો હેતુ આ કાર્યક્રમનો રહેશે. આ કાર્યક્રમ અંતર્ગત શેરી નાટક ભજવીને સાયબર ફ્રોડ કરનારાઓ વીમા પોલીસી, ઓએલએક્ષ, ઓનલાઇન વેચાણ બાબતે ફ્રોડ કરી કેવી રીતે રૂપીયા પડાવે છે. ઉપરાંત તેમનાથી કઈ રીતે બચી શકાય, તે અંગે માહિતી આપવામાં આવશે.

  1. Cyber Fraud : રાજ્યમાં સાયબર ફ્રોડના દૈનિક 300થી વધુ કિસ્સા, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હાલમાં ટોપ મોડસ ઓપરેન્ડી
  2. Surat Crime : કામરેજમાં લિમીટ વધારવા ક્રેડિટ કાર્ડનો ફોટો મંગાવ્યો અને 81,600નો યુવકને ચૂનો લાગી ગયો

ABOUT THE AUTHOR

...view details