ગુજરાત

gujarat

Rahul Gandhi Case: રાહુલ ગાંધીને દોષી જાહેર કરતા કોર્ટે કહ્યું, સંભાળીને બોલવું જોઈતું હતું આ ગંભીર ગુનો

By

Published : Mar 23, 2023, 6:24 PM IST

Rahul Gandhi Case: રાહુલ ગાંધીને દોષી જાહેર કરતા કોર્ટે કહ્યું, સંભાળીને બોલવું જોઈતું હતું આ ગંભીર ગુનો
Rahul Gandhi Case: રાહુલ ગાંધીને દોષી જાહેર કરતા કોર્ટે કહ્યું, સંભાળીને બોલવું જોઈતું હતું આ ગંભીર ગુનો

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરતની કોર્ટે આજે 2 વર્ષની સજા ફટકારી હતી. વર્ષ 2019માં તેઓ મોદી અટક પર નિવેદન કરીને ફસાઈ ગયા હતા. ત્યારે તેમની સામે માનહાનીનો કેસ થયો હતો. જોકે, કોર્ટે તેમને સજા ફટકરાતા જણાવ્યું હતું કે, તેઓ સાંસદ સભ્ય છે એટલે તેમણે સંભાળીને બોલવું જોઈતું હતું.

સાંસદ બોલે તેની વ્યાપક અસર પડતી હોય છેઃ કોર્ટ

સુરતઃવર્ષ 2019માં કર્ણાટકની એક રેલી દરમિયાન કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી અટકને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ત્યારબાદ તેમની મુશ્કેલીઓ સતત વધી રહી હતી. તેમની સામે સુરતની કોર્ટમાં કેસ પણ ચાલતો હતો. ત્યારે આ મામલે સુનાવણી કરતા સુરતની કોર્ટે તેમને દોષી જાહેર કર્યા છે. સાથે જ 2 વર્ષની સજા ફટકારી છે.

આ પણ વાંચોઃRahul Gandhi convicted: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા, વકીલની વાત અને ટ્વીટનો પ્રહાર

સાંસદ બોલે તેની વ્યાપક અસર પડતી હોય છેઃ કોર્ટઃ કોર્ટે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સજા ફટકારતા જણાવ્યું હતું કે, જ્યારે સાંસદ સભ્ય પ્રજાને સંબોધે ત્યારે પ્રજા પર તેની વ્યાપક અસર પડતી હોય છે જેથી તેમની દ્વારા કરવામાં આવેલા ગુનાની ગંભીરતા વધારે છે. એટલું જ નહીં કોર્ટે કહ્યું હતું કે, રાહુલ ગાંધીને ઉપરોક્ત ગુનાના કામે તકસીરવાન ઠરાવી સજા બાબતે કોર્ટે પુછતા તેમણે જણાવ્યું હતું કે, તેઓએ જે કાંઈ ભાષણ આપ્યું હતું. તે પ્રજાના હિતમાં મારી ફરજના ભાગરૂપે આપ્યું હતું અને મારે પ્રજા સાથે કોઈ ભેદભાવ નથી. તેમ જ હું મારા દેશની તમામ પ્રજાને ખુબ પ્રેમ કરુ છુ અને ચાહું છું.

કોઈ પણ બદનક્ષી કરી શકેઃ કૉંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે, બદનક્ષીના જે હેતુ છે, તે હેતુ સર થશે નહીં અને કોઈ પણ વ્યકિત સહેલાઈથી કોઈ પણ વ્યકિતની બદનક્ષી કરશે. જેથી તમામ હકીકતો ધ્યાને લેતા આરોપીને આ ગુનાના કામે જે બે વર્ષની સજાની જોગવાઈ છે તેટલી સજા કરવી ન્યાયોચિત જણાય છે.

168 પાનાનો ઓર્ડરઃકૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બદનક્ષી કેસમાં સુરત ચીફ જ્યુડિશિયલ કોર્ટના મેજિસ્ટ્રેટ એચ એચ વર્માએ 2 વર્ષની સજા ફટકારી હતી. જોકે, તેમને તરત જામીન પણ મળી ગયા હતા. તેમ છતાં ફાઈનલ ઓર્ડરની વાત કરીએ તો, આ એક 168 પાનાનો ઓર્ડર છે, જેમાં એક સાંસદ તરીકે લોક સેવા આપનારા વ્યક્તિને પોતાના વક્તવ્ય પર કેટલું ધ્યાન આપવું જોઈએ. તે અંગે વિશેષ વાત કરવામાં આવી છે. જજમેન્ટમાં ફર્સ્ટ પણે જણાવવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધીને બે વર્ષની સજા શા માટે ફટકારવામાં આવી છે.

કોર્ટની ટિપ્પણીઃ બંને પક્ષોની રજૂઆતો તેમ જ કેસની હકીકતો તથા આરોપી દ્વારા આપવામાં આવેલા વિવાદિત નિવેદન ધ્યાને લેતા તેમ જ સુપ્રીમ કોર્ટ દ્વારા આરોપીને એલર્ટ રહેવા સૂચન કરવામાં આવી હતી. તેમ છતાં આરોપી દ્વારા તેમના કન્ડક્ટમાં કોઈ ફેર પડેલ હોય તેવું જણાતું નથી. ઉપરાંત આરોપી પોતે સાંસદ સભ્ય છે અને સાંસદ સભ્ય તરીકે તેઓની પ્રજાને સંબોધન કરવાની બાબત ખુબ ગંભીર છે. કારણ કે, જ્યારે સાંસદ સભ્યની હેસીયતથી કોઈ વ્યકિત પ્રજાને સંબોધન કરતો હોય ત્યારે તેની ખૂબ વ્યાપક અસર પ્રજા પર પડતી હોય છે અને તેના કારણે સદર ગુનાની ગંભીરતા વધુ છે.

ફરિયાદીપક્ષે કરી દંડ-વળતરની માગઃ કોર્ટે જણાવ્યું હતું કે, ફરિયાદીપક્ષે જે દંડ અને વળતરની માગણી કરવામાં આવી છે. તે અંગે હાલના કેસના સંજોગો ધ્યાને રાખી વળતર અને દંડનો હુકમ કરવો ન્યાયોચિત જણાતો નથી. જેથી ન્યાયના હિતમાં હુકમ કોર્ટ દ્વારા કરાયો હતો.

કોઈ પણ ગુનાના કામે તકસીરવાન ઠરાવવામાં આવ્યો નથીઃકૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ રજૂઆત કરી હતી કે, આરોપી દ્વારા કોઈ પણ જ્ઞાતિનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહતો. તેમ જ ફરિયાદીને કોઈ પણ પ્રકારની વ્યથા કે નુકસાન થયું નથી. ઉપરાંત આરોપીને આ ગુના અગાઉ ક્યારેય કોઈ પણ ગુનાના કામે તકસીરવાન ઠરાવવામાં આવ્યા નથી. તેમ જ આરોપીપક્ષે કોઈપણ દયા કે માફી માગતા નથી.

આ પણ વાંચોઃRahul Gandhi: શુ છે ચાર વર્ષ જૂનો કેસ? જેમાં રાહુલ ગાંધીને કરાઈ 2 વર્ષની સજા

સમાજમાં ખોટો મેસેજ જાય તેમ છેઃફરિયાદપક્ષના વકીલ કેતન રેશમવાલાએ રજુઆત કરી હતી કે, આરોપીનું કન્ડક્ટ ધ્યાને લેવું ખુબ જરૂરી છે. વધુમાં એસએલપી નં. 46/2018ના કામે સુપ્રીમ કોર્ટમાં પણ આરોપી દ્વારા લેખિતમાં માફી માગવામાં આવી અને સુપ્રીમ કોર્ટે આરોપીને ભવિષ્યમાં એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું હતું. તેમ છતાં આરોપી દ્વારા હાલનો ગુના કરવામાં આવ્યો તેમ જ હાલના આરોપી સાંસદ સભ્ય છે અને જો તેઓને ઓછી સજા કરવામાં આવે તો સમાજમાં ખોટો મેસેજ જાય તેમ છે. તેમ જ આરોપીનું કન્ડક્ટ ધ્યાને લઈ આ ગુનામાં વધુમાં વધુ સજા તથા દંડ કરવા વિનંતી છે ઉપરાંત ફરિયાદીને પણ વળતર ચુકવવાનો હુકમ કરવા વિનંતી છે.

ABOUT THE AUTHOR

...view details