ગુજરાત

gujarat

Rajkot News : રાજકોટવાસીઓના સ્વાસ્થ્ય બાબતે કોંગ્રેસ બની ચિંતિત, કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું

By ETV Bharat Gujarati Team

Published : Nov 1, 2023, 7:32 PM IST

ચોમાસુ પૂરું થઇ ગયું છે તેમ છતાં સીઝનલ રોગના પ્રમાણમાં ઘટાડો નથી જોવા મળી રહ્યો. આ મુદ્દાને લઇને રાજકોટ મનપા તંત્રની સુસ્ત કામગીરી પર વરાળ કાઢતાં રાજકોટ કોંગ્રેસ મેદાને આવી છે. રાજકોટ કમિશનરને બેકાબૂ રોગચાળો અટકાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Rajkot News : રાજકોટવાસીઓના સ્વાસ્થ્ય બાબતે કોંગ્રેસ બની ચિંતિત, કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું
Rajkot News : રાજકોટવાસીઓના સ્વાસ્થ્ય બાબતે કોંગ્રેસ બની ચિંતિત, કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું

રાજકોટ કોંગ્રેસ મેદાને આવી

રાજકોટ : સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જ્યારે શહેરમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરીયાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને રાજકોટ મનપા આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે. ત્યારે રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળા મામલે આજે શહેર કોંગ્રેસ દ્વારા મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ શહેરમાં તાત્કાલિક રોગચાળો કાબુમાં આવે તે પ્રકારની કામગીરી કરવામાં આવે તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન રાજકોટ શહેરના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા.

રોગચાળો બેકાબૂ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ : રાજકોટ મનપા કચેરીએ કોંગ્રેસ દ્વારા આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે.

શહેરમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા સહિતના રોગોના કેસનો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો છે. આ પ્રકારના રોગચાળાના કેસ શહેરમાં સતત વધી રહ્યા છે. જેને લઈને રાજકોટ મનપા કમિશનરને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જ્યારે અમે મનપા કમિશનરને રજૂઆત કરી છે કે શહેરના અલગ અલગ વિસ્તારમાં ફોગીંગ મશીન દ્વારા વધુમાં વધુ પ્રમાણમાં ફોગીંગ કરવામાં આવે. આ સાથે જ આરોગ્ય વિભાગના કર્મચારીઓની ટીમમાં પણ વધારો કરવામાં આવે. જેથી રોગચાળો કાબુમાં આવી શકે છે...ગાયત્રીબા વાઘેલા (કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ )

આજીનદીમાંથી ગાંડીવેલ દૂર કરવામાં આવે : ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે જે જે વિસ્તારમાં પાણીજન્ય સમસ્યાઓ આવે તેનો તાત્કાલિક કોર્પોરેશન દ્વારા નિકાલ કરવામાં આવે, આ સાથે જ શહેરના આજી નદીમાં જે ગાંડીવેલ મોટા પ્રમાણમાં આવેલી છે તેના કારણે મચ્છરો વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે. ત્યારે આ ગાંડીવેલ આજી નદીમાંથી તાત્કાલિક દૂર કરવામાં આવે.

દર્દીઓની સંખ્યામાં જબરો ઉછાળો : ઉલ્લેખનીય છે કે શહેરમાં ગયા અઠવાડિયે ડેન્ગ્યુ ચિકનગુનિયા અને મેલેરિયાના કેસમાં જબરો ઉછાળો આવ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની મોટી લાઈન જોવા મળી રહી છે. એવામાં રાજકોટમાં રોગચાળો વકરતા હવે આ મામલે કોંગ્રેસ મેદાને આવી છે અને મનપા કમિશનરને રોગચાળો કાબૂમાં આવે તે માટે રજૂઆત કરી છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં મચ્છરજન્ય રોગચાળાની વાત કરવામાં આવે તો કોર્પોરેશનના આંકડા પ્રમાણે શહેરમાં ડેન્ગ્યુના 9 કેસ જ્યારે ચિકનગુનિયાના 8 કેસ અને મેલેરિયાનો 1 કેસ સામે આવ્યા છે. આ સાથે જ ગયા અઠવાડિયામાં શરદી ઉધરસના 822 કેસ, સામાન્ય તાવના 54 કેસ અને ઝાડા ઉલટીના 180 જેટલા કેસ નોંધાયા છે.

  1. Rajkot: મિશ્ર ઋતુ દરમિયાન રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો
  2. Rajkot police alert : કેરળમાં બોમ્બ બ્લાસ્ટ બાદ રાજકોટ પોલીસ એલર્ટ, ઠેર ઠેર ચેકીંગની કામગીરી શરૂ કરાઇ
  3. Rajkot News : સરદાર જયંતિની જાહેર રજા છતાં રાજકોટમાં ખાનગી સ્કૂલો ખુલ્લી રહેતાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ વીફરી

ABOUT THE AUTHOR

...view details