રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા રાજકોટઃ રાજ્યમાં હાર્ટ એટેકના દર્દીઓ વધી રહ્યા છે. આ દર્દીઓમાં આશ્ચર્યજનક રીતે નાની વયના લોકોની સંખ્યા વધુ નોંધાઈ રહી છે. આગામી દિવસોમાં નવ દિવસનો તહેવાર નવરાત્રિ આવી રહ્યો છે. નવરાત્રિમાં ગરબા કરતા ખેલૈયાઓમાં હાર્ટ એટેકના અનેક કિસ્સા બની શકે છે. આ રોગના દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજકોટ સિવિલ દ્વારા અગમચેતી વાપરીને સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે.
સ્પેશિયલ વોર્ડઃ રાજકોટમાં જ છેલ્લા એક અઠવાડિયામાં નાની વયના 5થી વધુ યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે. જેમાં નવરાત્રિના ગરબાની પ્રેક્ટિસ કરતા યુવાનોને પણ હાર્ટ અટેક આવી રહ્યા છે. એવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં એક 40 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જે પૈકી 20 જેન્ટ્સ અને 20 લેડિઝ પેશન્ટ્સ માટે બેડ રહેશે. વધુ 10 બેડ કાર્ડિયાક આઈસીયુ માટે તૈયાર રાખવામાં આવશે. જ્યાં હાર્ટ એટેક આવનાર દર્દીઓને તાત્કાલિક અને સઘન સારવાર મળી રહેશે.
આગામી દિવસોમાં નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે. તાજેતરમાં 40 વર્ષથી ઓછા વયના લોકોમાં હાર્ટ એટેક આવવાના કેસીસ વધી રહ્યા છે. જેને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા નવરાત્રિ પૂરતો એક સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં કુલ 40 બેડની વ્યવસ્થા હશે. તેમાંથી 20 બેડ મહિલાઓ માટે અને 20 બેડ પુરુષો માટે રિઝર્વ રાખવામાં આવશે. આ સાથે જ 10 જેટલા બેડ કાર્ડિયાક ICU માટેના રાખવામાં આવ્યા છે. જો હાર્ટ અટેક આવે અને તેના એક કલાકમાં જે ગોલ્ડન પીરિયડ છે તેમાં દર્દીને તાત્કાલિક સારવાર મળી જાય છે દર્દીને બચાવી શકાય છે. તેથી સિવિલ હોસ્પિટલે આ જનહિતનો નિર્ણય લીધો છે...ડૉ. આર.એસ. ત્રિવેદી(સુપ્રીન્ટેંડન્ટ, રાજકોટ સિવિલ હોસ્પિટલ)
નવ દિવસ મેડિકલ ટીમ ખડેપગેઃ નવરાત્રિના નવે દિવસ 24×7 નિષ્ણાંત ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, નર્સિસ અને વર્ગ 4ના કર્મચારીઓ ખડે પગે રહેશે. આ ઉપરાંત કાર્ડીઓલોજિસ્ટ દ્વારા આ વોર્ડનું સતત મોનિટરિંગ પણ કરાશે. તેમજ જો કોઈ વધારે મુશ્કેલી જણાય તો રાજકોટ સિવિલ હોસ્પિટલની ટીમ પણ ઉપલબ્ધ રહેશે.
- Heart Disease in Young Age : શા માટે યુવાનોને આવે છે હાર્ટ એટેક, જાણો આ રહ્યું કારણ
- Youth died due to heart attack : અંકલેશ્વર GIDCમાં યુવકનું હાર્ટ એટેકના કારણે મોત, પરિવાર માથે આવી અણધારી આફત