રાજકોટઃ રાજકોટના ગોંડલ ચોકડી ખાતે ઓવરબ્રિજ બનવાની કામગીરી શરૂ છે. એવામાં આ નિર્માણ કાર્ય દરમિયાન બ્રિજ ઉપરથી અચાનક ક્રેઇન નીચે ખાબકી હતી. જેના કારણે રસ્તા પર થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જ્યારે ક્રેઇન નીચે ખાબકતા થોડા સમય માટે ગોંડલ ચોકડી ખાતે મોટા પ્રમાણમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જો કે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી. પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારી સામે આંગળી ચીંધાઇ રહી છે.
આ પણ વાંચો અમેરિકામાં ક્રેઇન નીચે દબાતા મુળ નવસારીના સિવિલ એન્જીનીયરનું મોત
રાજકોટ બાયપાસ રોડ પર બની રહ્યો છે બ્રિજ : રાજકોટના ગોંડલ ચોકડી ખાતે જે બ્રિજ નિર્માણની કામગીરી શરૂ છે. તે રસ્તા પરથી રાજકોટ બાયપાસ જઈ શકાય છે, એટલે કે રાજકોટથી અમદાવાદ તરફ જઈ શહેરમાં આવ્યા વગર બરોબાર જઈ શકાય છે. જ્યારે અમદાવાદ તરફથી આવતા વાહનો સીધા ગોંડલ અને જૂનાગઢ તરફ જઈ શકાય છે. એમાં આ રાજકોટ બાયપાસ રસ્તા ઉપર દુર્ઘટના સર્જાઇ છે. જ્યાં છેલ્લા ત્રણ વર્ષ કરતાં વધારે સમયથી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં દરરોજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. એવામાં આજે આ દુર્ઘટના સર્જાતા વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ છવાયો છે.