ગુજરાત

gujarat

પુત્રની પાછળ માતા-પિતાએ પણ ફાંસો ખાઈ આપઘાત કર્યો

By

Published : Sep 2, 2021, 2:00 PM IST

પુત્રની પાછળ માતા-પિતાએ પણ ફાંસો ખાઈ આપઘાત કર્યો
પુત્રની પાછળ માતા-પિતાએ પણ ફાંસો ખાઈ આપઘાત કર્યો

નવસારીના વાંસદામાં તાવની બિમારી પછી એક યુવકની માનસિક સ્થિતી લથડી હતી જેથી તેણે આત્મહત્યા કરી લીધી હતી. માતા-પિતા પોતાના દિકરાના મૃત્યુનો આઘાત સહન ન કરી શક્યા અને તેઓએ પણ આત્મહત્યા કરી લીધી હતી.

  • વાંસદાના મોળાઆંબા ગામે આંબાના ઝાડ પર ઘાટળ પરિવારની સામુહિક આત્મહત્યા
  • એકી સાથે ત્રણ લોકોએ આત્મહત્યા કરતા ગામમાં શોકનો માહોલ
  • વાંસદા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસને વેગ આપ્યો

નવસારી : તાવની બીમારી બાદ માનસિક સંતુલન ખોઈ બેઠેલા વાંસદાના મોળાઆંબા ગામના યુવાને બે દિવસ અગાઉ પોતાના ઘરની નજીક આંબાના ઝાડ સાથે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. ગત રોજ સવારે માતા-પિતાએ પુત્રને મૃત સ્થિતિમાં જોતા પોતે પણ એજ ઝાડ પર ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા માપી છે. સમગ્ર મુદ્દે સ્થાનિક પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પુત્રે અગાઉ પણ ત્રણવાર કર્યો હતો આત્મહતાનો પ્રયાસ

વાંસદા તાલુકાના છેવાડાના ડુંગર નજીકના મોળાઆંબા ગામે રહેતા યોગેશ જતરભાઈ ઘાટળ (28) ખેતી કામ કરતો હતો. યોગેશ ગત વર્ષે તાવમાં પટકાયો હતો અને લાંબો સમય તાવ રહ્યો હતો. જેમાંથી સારા થયા બાદ યોગેશને માનસિક અસર થતા અસ્થિર મગજના વ્યક્તિ જેવી હરકતો કરતો હતો. યોગેશની પત્ની અને માતા-પિતા તેને સાચવતા હતા, તેમ છતાં માનસિક અસ્વસ્થ યોગેશ ડુંગર પર જઈ આત્મહત્યાના પ્રયાસો કરી ચુક્યો હતો અને તેને પત્ની તથા પિતા જતરભાઈએ બચાવ્યો હતો.

માતા-પિતાએ પણ કરી આત્મહત્યા

યોગેશની પત્ની 4 વર્ષની દીકરીને લઈ, પોતના પિયર રાક્ષાબંધન કરવા ગઈ હતી. એ અરસામાં ગત 30 ઓગષ્ટની રાતે યોગેશ ઘરની બહાર નીકળી ગયો હતો અને ઘર નજીક આવેલા આંબાના ઝાડ સાથે નાયલોનની દોરી બાંધી આત્મહત્યા કરી લીધી હતી. બીજા દિવસે સવારે જ્યારે માતા મનકીબેન અને પિતા જતરભાઇએ દિકરાને ઝાડ પર ફાંસીએ લટકેલો જોયો તો એમના પગ તળિયેથી જમીન સરકી ગઈ હતી અને પુત્ર વિયોગમાં માતા-પિતાએ પણ એજ ઝાડ પર આત્મહત્યા કરી લીધી હતી.

ગામમા ગમનો મહોલ

ઘટનાની જાણ થતા જ ઘરે પહોંચેલી યોગેશની પત્નીના કલ્પાંતે સમગ્ર વાતાવરણ ગમગીન બનાવી મૂક્યુ હતું. જ્યારે ગ્રામજનોમાં પણ ઘટનાને પગલે સોપો પડી ગયો હતો. ઘટના સ્થળે પહોંચેલી વાંસદા પોલીસે ત્રણેય મૃતકોના મૃતદેહો નીચે ઉતારી પીએમ અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સાથે જ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details