ગુજરાત

gujarat

Chintan Shibir : એકતાનગરમાં ચિંતન શિબિરના જૂથ ચર્ચાસત્રો સહિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી દર્શન યોજાયું, વોક વે વીથ કૅનોપી વિશે જાણો

By

Published : May 20, 2023, 10:05 PM IST

શનિવારે નર્મદાના એકતાનગરમાં રાજ્ય સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ હતો. ત્યારે મુખ્યપ્રધાન ભૂરેન્દ્ર પટેલ સહિતના વિવિધ વિભાગોના પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓના અલગ અલગ વિષયો મુદ્દે જૂથ ચર્ચાસત્ર યોજાયાં હતાં. આ સાથે વોક વે વીથ કૅનોપી અને ફ્રિસ્કિંગ બૂથનું નિર્માણ થવા જઇ રહ્યું છે તે વિશે જાણો.

Chintan Shibir : એકતાનગરમાં ચિંતન શિબિરના જૂથ ચર્ચાસત્રો સહિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી દર્શન યોજાયું, વોક વે વીથ કૅનોપી વિશે જાણો
Chintan Shibir : એકતાનગરમાં ચિંતન શિબિરના જૂથ ચર્ચાસત્રો સહિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી દર્શન યોજાયું, વોક વે વીથ કૅનોપી વિશે જાણો

રાજપીપળા/ગાંધીનગર : વિશ્વખ્યાત સ્મારક સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતાનગરમાં રાજ્ય સરકારની દસમી ચિંતન શિબિર 2023ના બીજા દિવસે જે મુદ્દાઓનેે લઇને ઘનિષ્ઠ ચર્ચાસત્ર યોજાયાં હતાં. તેમાં શિક્ષણ, આરોગ્ય અને પોષણ તથા સરકાર અને સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ, શહેરીકરણ અને માળખાગત સુવિધાઓ, ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ અને ક્ષમતાવર્ધન વિષયક યોજાયા ચર્ચાસત્ર યોજાયાં હતાં. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત વિવિધ વિભાગોના પ્રધાન અને અને વરિષ્ઠ સચિવોએ ભાગ લીધો હતો.

પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન : જૂથ 1 ના ચર્ચા સત્રમાં આરોગ્ય અને પોષણને લગતા જનહિતલક્ષી મુદ્દાઓ, વિવિધ ક્ષેત્રે રહેલી તકો અને પડકારો તથા અન્ય રાજ્યો- રાષ્ટ્રોના સફળ મોડેલ પર ચર્ચા અને વિષય નિષ્ણાતો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ સાથે વરિષ્ઠ સચિવો અને સનદી અધિકારીઓ દ્વારા શહેરીકરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિષયે જૂથ ચર્ચા યોજાઈ હતી. જેમાં મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનના કમિશનર અને સ્માર્ટ સિટી એન્ડ અર્બન મિશનના ડાયરેક્ટરશ્રી રાજકુમાર બેનીવાલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.

ગામડાંઓના સર્વાંગી વિકાસ અંગેનો ચિતાર :રાજયના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ અને ક્ષમતાવર્ધન વિષય પર જૂથ ચર્ચા યોજાઈ હતી. આ ચર્ચા સત્રમાં યુનિસેફ ઇન્ડિયાના સામાજિક નીતિ વિભાગના વડા હ્યુન હી બાને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સર્વસમાવેશક ગ્રામ વિકાસ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુજરાતના ગામડાઓના સર્વાંગી વિકાસ અંગેનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શિક્ષણ અને તથા સરકાર અને તમામ સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ વિષયક સત્રોમાં ચર્ચા થઇ હતી.

પ્રેઝન્ટેશન્સ નિહાળ્યાં :પ્રધાનોએ શિબિરાર્થી બની રસપૂર્વક રજૂ કરાયેલા પ્રેઝન્ટેશન્સ નિહાળ્યાં હતાં અને તેને લગતી બાબતોમાં વધુ જાણકારી મેળવવા પ્રશ્નોત્તરીમાં પણ ભાગ લીધો હતો. આ જૂથ ચર્ચામાં આવેલા નિષ્કર્ષને લઇને આવતીકાલે રવિવારે અલગ અલગ વિભાગના વડાઓ દ્વારા પ્રેઝન્ટેશન પણ રજૂ કરાશે.

પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણ્યો : આ ચિંતન શિબિર એકતાનગરમાં યોજાઇ છે ત્યારે દસમી ચિંતન શિબિરના બીજા દિવસે બપોર બાદ વિશ્વખ્યાત એવી સરદાર પટેલની પ્રતિમા સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત પણ લેવામાં આવી હતી. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રધાનમંડળના સભ્યો સચિવો તેમ જ સનદી અધિકારીઓએ મુલાકાત લઈ સરદાર પટેલ સાહેબની વિરાટ પ્રતિમાને પ્રણામ કર્યાં હતાં. સાથે સાહેબના હૃદય સમાન સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યૂઈંગ ગેલેરીથી નર્મદા નદી તથા વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાના પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણ્યો હતો.

સમૂહ તસવીર ખેંચાવી :સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના વીવીઆઈપીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવી પહોંચતાં તેઓનું એસઓયુ ઓથોરિટી તરફથી મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ સાથે આ સૌએ સરદાર સાહેબના જીવનકવનની ઝાંખી કરાવતા તસ્વીરી પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું. આ સાથે સરદાર પટેલની પ્રતિમાના નિર્માણના ટેકનિકલ પાસાંઓ સહિતની મહત્ત્વની વિગતો ટુરિસ્ટ ગાઈડ્સ દ્વારા સૌને રસપ્રદ શૈલીમાં જણાવવામાં આવી હતી. ત્યારે એસઓયુ મુલાકાતના અંતેસીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સૌએ દસમી ચિંતન શિબિરની સ્મૃતિ રૂપે સમૂહ તસવીર પણ ખેંચાવી હતી.

ઈ બસના ચાર્જિંગ સ્ટેશન માટે એમઓયુ : સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ન્યૂ વોક વે વીથ કૅનોપી અને ફ્રિસ્કિંગ બૂથનું ખાતમુહૂર્ત અને ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસનો પ્રારંભ પણ કરાયો હતો. તો GSRTC અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી વચ્ચે ઈ-બસના ચાર્જિંગ સ્ટેશન માટે એમઓયુ કરાયાં હતાં.

મુખ્યપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત

વોક વે વીથ કૅનોપી શું છે : સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતાં પ્રવાસીઓને તાપ, વરસાદ ઇત્યાદીથી રાહત મળે અને ચાલીને કાપવા પડતા અંતરમાં ઘટાડો થાય તેવા આશયથી વોક વે વીથ કૅનોપીનું નિર્માણ કરવામાં થશે. લગભગ 4.50 કરોડના ખર્ચે બનનારા વોક વેથી પ્રવાસીઓને એસઓયુના આકા કેમ્પસના બસ બે (BUS BAY) થી ગેટ નંબર - ૫ સુધી આવવામાં સરળતા રહેશે. આ વોક વે 124 મીટર લંબાઈ અને 9 મીટર પહોળાઈનો હશે.

ચાર ફ્રિસ્કિંગ બૂથનું નિર્માણ થશે : જ્યારે મુલાકાતીઓને લાંબી લાઇનમાં ઉભા ન રહેવું પડે તે માટે અલગ અલગ ચાર ફ્રિસ્કિંગ બૂથનું નિર્માણ 40.11 લાખના ખર્ચે થશે. જેનાથી પ્રવાસીઓનું ઝડપી અને સરળતાથી નિયમન થઇ શકશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની સફર વધુ રસપ્રદ અને જ્ઞાનવર્ધક બનાવવા ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસ શરુ થઇ છે. તેમાં ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસ SOU ના શ્રેષ્ઠ ભારત ભવન અને બસ બે (BUS BAY) ખાતેથી ઉપલબ્ધ થશે. તાલીમ પ્રાપ્ત ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ કિફાયતી દરે પ્રવાસીઓની સાથે રહી એકતાનગરના નિર્માણથી લઇ તેની વિશેષતાઓ સુધીની માહિતી પ્રવાસીઓને પૂરી પાડશે.

  1. Chintan Shivir : રાજ્ય સરકારની 10મી ચિંતન શિબિરનો એકતાનગરમાં પ્રારંભ કરાવતાં મુખ્યપ્રધાન
  2. Narmada News : નર્મદાના એકતાનગરમાં ચિંતન શિબિરમાં યોગાભ્યાસ સાથે બીજા દિવસની શરુઆત, પાંચ મુદ્દા ચર્ચાશે
  3. Narmada Chintan Shibir: ગુજરાત સરકારની ચિંતન શિબિરના ફાયદા શું? જાણો નિષ્ણાતોનો મત

ABOUT THE AUTHOR

...view details