ગુજરાત

gujarat

Gujarat Public Universities Act : રાજ્યપાલ દ્વારા ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ બિલને મંજૂરી, જાણો શું છે આ એક્ટ અને તેની જોગવાઈ

By ETV Bharat Gujarati Team

Published : Oct 5, 2023, 10:34 PM IST

રાજ્યપાલ દ્વારા ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, ચોમાસું સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રજૂ થયેલ આ બિલ બહુમતીના જોરે ગૃહમાં પસાર થયું હતું. ત્યારે ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ અને તેની જોગવાઈઓ અંગે સરકાર દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી હતી.

Gujarat Public Universities Act
Gujarat Public Universities Act

ગાંધીનગર : ચોમાસું સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જે બહુમતીના જોરે ગૃહમાં પસાર થયું હતું. ત્યારે હવે રાજ્યપાલ દ્વારા આ બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. જેથી હવે ગુજરાતમાં પબ્લિક યુનિવર્સિટીઝ બિલ 9 ઓક્ટોબરથી લાગુ કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં હવે 5 વર્ષ સુધીની કુલપતિની ટર્મ રાખવામાં આવી છે.

ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ બિલ :આ બિલના અમલ બાબતે રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણEducation Minister Rishikesh Patelપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ બિલ લાગુ થવાના કારણે યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પાંચ વર્ષની રહેશે. એક ટર્મ પૂર્ણ થયા બાદ અન્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકે પાંચ વર્ષ ફરી વખત નિમણૂક કરી શકાશે. જેનાથી યુનિવર્સિટીને કૌશલ્યવાન, ડાયનેમિક કુલપતિ પ્રાપ્ત થશે અને યુનિવર્સિટી સિસ્ટમને સ્થાપિત હિતો માટે ઉપયોગ કરવાના મુદ્દાઓનો પણ અંત આવશે. આ વિધેયકની જોગવાઈના પાલનથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 માં થયેલ સૂચનોનું અમલીકરણ વધુ સારી રીતે થઈ શકાશે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ : સુયોગ્ય સંકલનથી યુનિવર્સિટીઓ દ્વારા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટેની સુવિધાઓનો યોગ્ય ઉપયોગ થઈ શકાશે. સુગઠિત નાણાકીય અંકુશ આવશે. વિવિધ ક્ષેત્રોમાં પરિવર્તનાત્મક સંશોધનોને વેગ મળશે અને યુનિવર્સિટીને વધુ ઓટોનોમી પ્રાપ્ત થશે. આ એક્ટ અંતર્ગત યુનિવર્સિટીમાં વિવિધ ઓથોરિટીઝની પણ જોગવાઈ કરાઈ છે. જે અંતર્ગત બોર્ડ ઓફ મેનેજમેન્ટ યુનિવર્સિટીની મુખ્ય નિર્ણયકર્તા અને પોલિસી મેકિંગ ઓથોરિટી હશે. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ બોર્ડ ઓફ મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ રોજિંદા વહીવટ અને જરૂરી ફરજ નિભાવશે.

બિલની મહત્વની જોગવાઈ : ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ બિલની જોગવાઈ અનુસાર યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પાંચ વર્ષની રહેશે, એક ટર્મ પૂર્ણ થયા બાદ અન્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકે પાંચ વર્ષ ફરી વખત નિમણૂક કરી શકાશે. યુનિવર્સિટીના સંચાલન અને વ્યવસ્થાપન માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડેમિક કાઉન્સિલ મહત્વની ભૂમિકા ભજવશે. આ એક્ટ દ્વારા 11 યુનિવર્સિટીમાં પ્રવેશ, અભ્યાસ અને પરીક્ષા પદ્ધતિમાં એકસુત્રતા આવશે. રાજ્યની 10 પબ્લિક યુનિવર્સિટીઓમાં ચાન્સેલર પદે રાજ્યપાલ રહેશે, વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના ચાન્સેલર અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરપર્સન પદે શુભાંગીની રાજે ગાયકવાડ રહેશે.

33 % મહિલા અનામત ? અધ્યાપક, આચાર્ય, યુનિવર્સિટીના પ્રોફેસર, અધ્યક્ષોની નિમણૂકમાં 33 % મહિલા સભ્યોની જોગવાઈ કરવામાં આવી છે. યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડિકેટના સ્થાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ કાર્યરત બનશે. યુનિવર્સિટીના પોતાના સક્ષમ સત્તામંડળની મંજૂરીથી નવા પ્રોગ્રામ, નવા કોર્સ શરૂ કરવા માટે સ્વાયત રહેશે. યુનિવર્સિટી એક્સટર્નલ તરીકે વિદ્યાર્થીઓને ડીગ્રી આપી શકશે. ઓનલાઈન કોર્સિસ તૈયાર કરી શકશે. દૂરવર્તી પાઠ્યક્રમ પણ ચલાવી શકશે.

ગુજરાતની 11 યુનિવર્સિટીમાં બિલ લાગુ : આ એક્ટ અંતર્ગત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી, આણંદ સરદાર પટેલ યુનિવર્સિટી, સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી, જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ગોધરા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીને સમાવિષ્ટ કરવામાં આવી છે. આ એક્ટની જોગવાઈઓથી 11 પબ્લિક યુનિવર્સિટીની સ્વાયત્તા, ગુણવત્તા અને સંચાલન શક્તિમાં વધારો થશે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

  1. Veer Narmad University : VNSGU વિદ્યાર્થીઓને હવે 100 માર્કની પરીક્ષા આપવી પડશે, જાણો અન્ય શું ફેરફાર આવ્યા ?
  2. VNSGU employees protest : કર્મચારીઓને આગામી 16 તારીખે છૂટા કરવામાં આવશે જેને લઈને કર્મચારીઓ દ્વારા વિરોધ

ABOUT THE AUTHOR

...view details