ગાંધીનગર : 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાનાર છે. રાજ્ય સહિત સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં આ માટેની તૈયારીઓ પૂરી થઇ ચૂકી છે. જેને લઈને દેશભરમાં ખુશીની લહેર જોવા મળી છે, ત્યારે આ ઉત્સાહને જોતા રાજ્ય સરકાર દ્વારા અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે.
રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને સરકારે લિધો મહત્વનો નિર્ણય, 22 જાન્યુઆરીએ રાજ્યમાં રહેશે અડધી રજા
Published : Jan 19, 2024, 12:52 PM IST
શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે રાજ્યમાં જાહેર રજાની માગ સરકારના વિવિધ વિભાગોમાંથી ઉઠી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા 22 જાન્યુઆરીએ સરકારી કર્મચારીઓને અડધા દિવસની રજા આપવાનો નિર્ણય કર્યો છે. આ શુભ દિવસે અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ત્યારે રાજ્યના લોકોને તેના સાક્ષી બનવા માટે અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે.
રાજ્યમાં અડધી રજા જાહેર કરાઇ : 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજ્યમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઇને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લિધો છે. રાજ્ય સરકારે પણ ગુજરાતમાં અડધા દિવસની રજા જાહેર કરી છે. સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ બપોરના 2:30 વાગ્યા સુધી બંધ રહેશે. 22મીના રોજ મહોત્સવમાં તમામને જોડવા સરકારે આ ખાસ નિર્ણય લેવામાં આવેલ છે.
દેશભરમાં ખુશીની લહેર જોવા મળી : આ દિવસે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. કહેવામાં આવ્યું છે કે આ ભવ્ય સમારોહમાં હજારો લોકો એકત્ર થશે. રામમંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઘણા રાજ્યોએ સરકારી રજા પણ જાહેર કરી છે. જેમાં હવે ગુજરાત પણ સામેલ છે.