નવી દિલ્હી/ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા નવી દિલ્હીમાં ગરવી ગુજરાત ભવનમાં સોમનાથ મંદિરની થ્રીડી ગુફા બનાવવામાં આવી છે. દિલ્હીવાસીઓને સોમનાથ મંદિરનો વાસ્તવિક અનુભવ આના થકી કરશે અને ડિજિટલ માધ્યમથી ગુજરાતનો પોતાનો સાંસ્કૃતિક વારસો પણ દર્શાવવાનો આ પ્રયાસ છે.
વીઆર ગોગલ્સથી નિહાળવાનો લહાવો : સોમનાથ મંદિરના સ્થાપત્ય, સંસ્કૃતિ અને ધાર્મિક મહત્વનો પ્રચાર કરવાનો આ વર્ચ્યુઅલ રિયાલિટી પ્રોજેક્ટના માધ્યમથી પ્રયાસ કરવામાં આવ્યો છે. શ્રી સોમનાથ મંદિરને 3-DLiDAR સ્કેનિંગ/ મેપિંગ સિસ્ટમની સાથે સ્કેન કરવામાં આવેલ છે. તે લોકોને વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી મૂળ મંદિર જેવો અનુભવ કરાવશે. ગરવી ગુજરાત આવનારા લોકો આ થ્રીડી ગુફા અને વીઆર ગોગલ્સ (વર્ચ્યુઅલ રિયાલિટી માટેનાં ચશ્માં)ના માધ્યમથી સોમનાથ મંદિરની નાની નાની બારીકાઈનો પણ મૂળ મંદિર જેવો જ અનુભવ કરી શકશે. આ સિસ્ટમના માધ્યમથી અહીં આવનાર પ્રત્યેક વ્યક્તિને એક અનોખો અને અદ્ભૂત અનુભવ મળશે.
આ પણ વાંચો સોમનાથ મંદિર રાજ્યનું પ્રથમ યાત્રાધામ બન્યું, જેનું 5 કરોડ રૂપિયાના ખર્ચે 3D સ્કેનિંગ થશે, મંદિરનો દરેક ખૂણો સ્ક્રિન પર નીહાળી શકાશે
અનોખો અનુભવ : ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવવામાં આવેલ આ થ્રીડી ગુફા સોમનાથ મહાદેવના ભક્તો માટે અનોખો અનુભવ બની રહેનાર છે. ગરવી ગુજરાત ભવનમાં આયોજિત ગુજરાત સ્થાપના દિવસ સમારંભમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અરવિંદ કુમાર અને દિલ્હીના ઉપ-રાજ્યપાલ વિનય કુમાર સક્સેના પણ ઉપસ્થિત રહ્યા હતાં.
ગરવી ગુજરાત ભવનમાં બનાવાઇ ગુફા : નવી દિલ્હીને હવે દેશના મુખ્ય જ્યોતિર્લિગો પૈકી એક એવા ગુજરાતના શાશ્વત તીર્થ સોમનાથ મંદિરનાં દર્શન કરવાનો અવસર મળશે. ગુજરાત સરકારે દિલ્હીના 25બી અકબર રોડ સ્થિત ગરવી ગુજરાત ભવનમાં એક થ્રીડી ગુફા બનાવી છે. આ ગુફાનું ઉદ્ઘાટન ગઈકાલે ગુજરાત સ્થાપના દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ ડો. પી.કે. મિશ્રા, સર્વોચ્ચ અદાલતના જજ એમ. આર. શાહ તેમ જ જજ બેલાબેન ત્રિવેદીના હસ્તે સંપન્ન થયું હતું.
આ પણ વાંચો સોમનાથ મંદિરમાં શિવભક્તો માટે મહત્વની સુવિધા શરૂ, સ્વહસ્તે શિવલિંગ પર જળાભિષેક કર્યો હોય તેવી થશે અનુભૂતિ
સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રોત્સાહન : આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં દેશના ઐતિહાસિક વારસાને સંરક્ષિત કરવા અને તેનો પ્રચાર-પ્રસાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ગુજરાત સરકારે પોતાના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રોત્સાહન આપવા અને સંરક્ષિત કરવા માટે ઘણાં પગલાંભર્યાં છે. આ પ્રોજેક્ટ પણ તેનો જ એક ભાગ છે. દિલ્હીનું ગરવી ગુજરાત ભવન, ગુજરાતનાં કળા અને શિલ્પ, વ્યંજનો અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે અને આ પ્રોજેક્ટના માધ્યમથી ગરવી ગુજરાત ભવનના આ પ્રોજેક્ટના માધ્યમથી એક નવો અધ્યાય જોડવામાં આવ્યો છે. આ ઉદ્ઘાટન સમારંભમાં પર્યટન સચિવ શ્રી હરીત શુક્લા, નિવાસી આયુક્ત શ્રીમતી આરતી કંવર સહિત ગુજરાત અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા