સોમનાથ મંદિરમાં શિવભક્તો માટે મહત્વની સુવિધા શરૂ, સ્વહસ્તે શિવલિંગ પર જળાભિષેક કર્યો હોય તેવી થશે અનુભૂતિ

author img

By

Published : Sep 6, 2021, 3:51 PM IST

સ્વહસ્તે શિવલિંગ પર જળાભિષેક કર્યો હોય તેવી અનુભૂતિ થશે

પવિત્ર શ્રાવણ માસના આજે અંતિમ દિવસ સોમવારથી ભાવિકો સોમનાથ મહાદેવના શિવલિંગને સ્‍વહસ્‍તે જળાભિષેક કરતા હોય તેવી અનુભુતિ કરાવતો વર્ચ્‍યુઅલ 4 ડી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ 4 ડી પ્રોજેક્ટ થકી શિવભકતો વાસ્‍તવિક રીતે મહાદેવને જળ ચડાવતા હોવાની યાદગીરી રૂપે ફોટો ક્લિક કરી શકે તેવી સુવિઘા ઉભી કરવામાં આવી છે.

  • શ્રાવણ માસના અંતિમ દિવસે ભાવિકો માટે સોમનાથ ટ્રસ્‍ટે નવી સુવિધાનો પ્રારંભ કર્યો
  • મંદિર પરિસરમાં કાર્યરત ક્લોકરૂમની બાજુના રૂમમાં ગર્ભગૃહ જેવો સેટ ઉભો કરાયો
  • શિવલિંગ પર જળાભિષેક કર્યો હોય તેવા ફોટોગ્રાફ ભાવિકો ક્લિક કરાવી શકશે

આજથી જગવિખ્‍યાત સોમનાથ મંદિરના સાંનિઘ્‍યે શિવભકતો માટે નવી સુવિઘાનો પ્રાંરભ કરવામાં આવ્યો છે. આ અંગે સોમનાથ ટ્રસ્‍ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં પૂજારીઓ સિવાય કોઇને પણ પ્રવેશ કરવાની પરવાનગી નથી, જેથી સામાન્‍ય ભાવિકો સોમનાથ મહાદેવના શિવલિંગને સ્‍વહસ્‍તે જળાભિષેક કરી શકતા નથી, ત્‍યારે ભાવિકો સ્‍વહસ્‍તે સોમનાથના શિવલિંગ પર જળાભિષેક કરતા હોય તેવી અનુભૂતિ કરી શકે તે માટે ખાસ વર્ચ્‍યુઅલ 4 ડી પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રોજેકટના સાધનોનો સેટ એક રૂમમાં ગોઠવવામાં આવ્યો છે.

નિ:શુલ્‍ક જળાભિષેક કરી શકાશે

ફોટો માટે રૂ.150નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો
ફોટો માટે રૂ.150નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો

આ પ્રોજેકટ મંદિર પરિસરમાં આવેલ ક્લોકરૂમની બાજુના એક રૂમમાં કાર્યરત કરવામાં આવ્યો છે, જયાં જઇ શિવભક્તો વર્ચ્‍યુઅલ રીતે શિવલિંગ પર જળાભિષેક કરતા હોય તેવી અનુભૂતી કરી શકશે. અત્યારે જળાભિષેક કરવાનું નિ:શુલ્‍ક રાખવામાં આવ્યું છે, જ્યારે જળાભિષેક કરતા હોય તેવો ફોટો યાદગીરી રૂપે મેળવવા માટે રૂ.150નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. ફોટો સ્‍થળ પરથી જ ગણતરીના સમયમાં જ ભાવિકોને મળી રહે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. આ 4 ડી પ્રોજેક્ટનું સપનાબેન રાદડીયા અને મનોજભાઇ પરમાર સંચાલન કરશે.

આ રીતે જળાભિષેક કર્યાની અનુભુતિ કરી શકાશે

એક રૂમમાં મંદિરના ગર્ભગૃહ જેવો સેટ ઉભો કરવામાં આવ્યો
એક રૂમમાં મંદિરના ગર્ભગૃહ જેવો સેટ ઉભો કરવામાં આવ્યો

આ પ્રોજેક્ટ વિશે માહિતી આપતા સપનાબેન રાદડીયાએ એક વાતચીતમાં જણાવ્યું કે, સોમનાથ મહાદેવના શિવલિંગ પર ભાવિકો સ્‍વહસ્‍તે જળાભિષેક કરી શકે તે માટે 4 ડી પ્રોજેક્ટ એક હજાર સ્‍કવેર ફીટની જગ્‍યાવાળા રૂમમાં કાર્યરત કરવામાં આવ્યો છે. રૂમમાં 360 ડીગ્રીની સુવિધાવાળો હાઇ રીઝોલયુશન કેમેરો, એક મોટી ટીવી સ્‍ક્રીન અને એક કળશ ગોઠવી મંદિરના ગર્ભગૃહ જેવો સેટ ઉભો કરવામાં આવ્યો છે, જેમાં સામેની દિવાલમાં રખાયેલી ટીવી સ્‍ક્રીનમાં સોમનાથ મંદિરનું ગર્ભગૃહ અને શિવલિંગ દર્શાવતી તસ્વીર હશે, જેની આગળ નીચે જમીનમાં એક કળશ રાખવામાં આવેલ છે. કળશથી સાઇડમાં થોડે દુર અભિભાવકો જળાભિષેક કરશે ત્‍યારે તેમનું જળ નીચે રખાયેલ કળશમાં જશે, પરંતુ 360 ડીગ્રીની સુવિઘાવાળા કેમેરામાં તે ર્દશ્‍ય શિવલીંગ પર જળાભિષેક થતુ હોય તેવું કેદ થશે. આમ, 4 ડી ટેક્નિક થકી શિવભકતો સ્‍વહસ્‍તે સોમનાથના શિવલિંગ પર જળાભિષેક કરતા હોય તેવી અનુભૂતિ કરી શકશે. આ અનુભૂતિને કાયમી યાદગીરી રાખવા માટે શિવભકતો ફોટોગ્રાફ લઇ શકે તેવી સુવિધા રાખવામાં આવી છે.

વધુ વાંચો: Somnath મંદિરે ટૂંક સમયમાં ભાવિકો સ્વહસ્તે જ કરી શકશે ધ્વજારોહણ

વધુ વાંચો: સોમનાથ સમુદ્ર વોકવે આગામી 28 તારીખ અને શનિવારથી સામાન્ય પ્રવાસીઓ માટે ખુલશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.