ગુજરાત

gujarat

Gujarat Rain News: બનાસકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 4:34 PM IST

બનાસકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદે ખેડૂતોના પાકનો સોથ વાળી દીધો છે. ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે. સતત વરસાદે ઊભા પાક અને કાપીને તૈયાર કરાયેલા ચારાને ધોઈ કાઢ્યો છે. પાક પલળી જવાને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો સરકારને સમયસર પાક નુકસાનનો સર્વે કરી સહાયની માંગણી કરી રહ્યા છે. વાંચો મેઘ મહેર કેવી રીતે બની ખેડૂતો પર કહેર.

વરસાદને લીધે ખેડૂતોના પાકને થયું નુકસાન
વરસાદને લીધે ખેડૂતોના પાકને થયું નુકસાન

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન

ડીસાઃ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસ્યો છે. ડીસા તાલુકા સહિત સમગ્ર જિલ્લાના ખેડૂતો માટે આ મેઘ મહેર કહેર બની છે. ખેડૂતોનો ઊભો પાક અને તૈયાર કરેલા ચારા પલળી ગયા છે. આ વરસાદી પાણીને કારણે ખેડૂતોનો પાક સડી ગયો છે. જેના પરિણામે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ પાક સહાય માટે રાજ્ય સરકાર પાસે માંગણી પણ કરી છે.

ખેતરનો ઊભો પાક પલળીને નાશ પામ્યો

અનેક પાકને નુકસાનઃ હવામાન ખાતાની આગાહી મુજબ જ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, અંબાજી, દાંતા, ડીસા, અમીરગઢ, થરાદ, વાવ, સુઈગામ, ભાભર, ધાનેરા, ભીલડી સહિતના વિસ્તારોમાં ત્રણ દિવસ સતત વરસાદ વરસ્યો છે. આ વિસ્તારોના ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોના બાજરી, જુવાર, મઠ, મગફળી જેવા પાકો સડી ગયા છે. પાણીમાં પલળી જવાથી ખેડૂતોએ તૈયાર કરેલા ચારામાં પણ ઈયળો જેવા જીવડાનો ઉપદ્રવ જોવા મળ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેનાથી બનાસકાંઠા જિલ્લાના અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. જ્યારે વરસાદ રહી જશે ત્યારે અમારા દ્વારા સર્વે કરવામાં આવશે કે કયા ગામમાં કેટલા ખેડૂતને કેટલું નુકસાન થયું છે. સર્વે રિપોર્ટ રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવશે...મહેશભાઈ પ્રજાપતિ(ખેતીવાડી અધિકારી, બનાસકાંઠા)

ખેતરો પાણીમાં ગરકાવઃ બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે. બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના ખેડૂતો ખેતી અને પશુપાલન કરી પોતાનું ગુજરાત ચલાવે છે. ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી. ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક નષ્ટ થઈ રહ્યો હતો અને ત્યારબાદ બે માસ પછી સતત ત્રણ દિવસથી જિલ્લામાં વરસાદ પડયો છે. આવા અનિયમિત વરસાદને પરિણામે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.

  1. ગુજરાતમાં 4000 ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી સર્વે પૂર્ણ, ચુકવાશે સહાય
  2. સાબરકાંઠમાં ખેડૂતો કેડ સમા પાણીમાં ભગવાનની સ્તુતિ કરવા કેમ મજબૂર બન્યા

ABOUT THE AUTHOR

...view details