ગુજરાત

gujarat

Bharat Sankalp Yatra : રાજ્યવ્યાપી ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ, 14,620 ગામોમાં 129 રથ ફરીને ફેલાવશે યોજનાઓની જાણકારી

By ETV Bharat Gujarati Team

Published : Nov 15, 2023, 6:17 PM IST

યાત્રાધામ અંબાજીથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિકસિત રાજ્યવ્યાપી ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના 14,620 ગામોમાં 129 રથ સતત બે મહિના સુધી પરિભ્રમણ કરી સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડશે.

Bharat Sankalp Yatra : રાજ્યવ્યાપી ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ, 14,620 ગામોમાં 129 રથ ફરીને ફેલાવશે યોજનાઓની જાણકારી
Bharat Sankalp Yatra : રાજ્યવ્યાપી ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ, 14,620 ગામોમાં 129 રથ ફરીને ફેલાવશે યોજનાઓની જાણકારી

બનાસકાંઠા : વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે ભાઈબીજના પવિત્ર દિવસે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિ મા અંબાના દર્શન કરી અંબાજી નજીક ચીખલા ખાતેથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાને પુષ્પાજંલિ અર્પણ કરી જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો અને વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કર્યું હતું.

વનબંધુઓને લાભ મળશે : સમગ્ર રાજ્યના 14,620 ગામોમાં 129 રથો બે મહિના સુધી પરિભ્રમણ કરી સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડશે. જેનો લાભ રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં વસતા વનબંધુઓને મળશે. આ પ્રસંગે ગુલામીની માનસિકતાને ત્યજી વર્ષ-2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતાં.

શુભકામનાઓ પાઠવી : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત સૌને દિવાળીના પ્રકાશ પર્વ અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી નવા વર્ષનો પહેલો જાહેર કાર્યક્રમ મા અંબાજીના ધામ અને આદિજાતિ વિસ્તાર દાંતા, બનાસકાંઠાથી કરી રહ્યાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજીથી ઉમરગામ, વલસાડથી ઝારખંડ અને છેક નોર્થ-ઇસ્ટ સુધીના તમામ આદિવાસી સમુદાયના કલ્યાણ તેમજ જનજાતિય વિસ્તારના વિકાસ માટે દેશને આગવી દિશા આપી છે.

ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવીને આદિવાસીઓના સર્વાંગી વિકાસનો પાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાંખ્યો છે જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલા આદિવાસી બાંધવોની રહેણીકહેણી, પ્રથાઓ અને પ્રકૃતિ સાથેના અનુકૂલનને અતૂટ રાખીને તેમને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની પરિપાટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે. આદિવાસી વિસ્તારના ગ્રીન ગ્રોથ, હોલિસ્ટિક ડેવલોપમેન્ટ કરી આદિવાસી સમુદાયનો ઇતિહાસ, અસ્મિતા અને વિરાસતો વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું અને સૌ તેનું ગૌરવગાન કરે તેવા આયામો વડાપ્રધાનશ્રીએ કર્યા છે. તો ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવી વડાપ્રધાનશ્રીએ સમગ્ર આદિજાતિ સમુદાયને ગૌરવ અપાવ્યું છે....ભૂપેન્દ્ર પટેલ (મુખ્યપ્રધાન)

વિકસિત ભારતનો સંકલ્પ : આદિવાસી સમુદાયના ઉત્કર્ષ અને ઉન્નતિ માટે સતત કાર્યશીલ એવા વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ આપણને આપ્યો છે જેને પરિપૂર્ણ કરવા સીએમે સૌને આહવાન કરી આદિવાસીઓ યોગદાન આપવા આગળ આવ્યા તેમ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આગળ આવવા અનુરોધ કર્યો હતો. તેમજ આદિવાસી સમાજના સાથ, વિશ્વાસ અને સહિયારા પ્રયાસથી જ વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થઇ શકશે એવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રાષ્ટ્રનો વિકાસ : આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું કે, આદિવાસીઓના ભૂલાયેલા ઇતિહાસને ઉજાગર કરવા તથા આદિજાતિઓના ગૌરવ અને સ્વાભિમાનને પુન: સ્થાપિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાના જન્મ સ્થળથી જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત યાત્રાનો શુભારંભ કરાવ્યો છે. જો માનવ શરીરનું પ્રત્યેક અંગ સારુ હોય તો જ માણસ સારી રીતે જીવન જીવી શકે એવી જ રીતે સમાજના તમામ લોકો શિક્ષિત હોય, સમૃદ્ધ હોય તો જ રાષ્ટ્રનો વિકાસ થઇ શકે છે.

આદિવાસીઓના જીવનમાંથી પ્રેરણા : દેશમાં પ્રથમવાર ભારતના સર્વોચ્ચ પદ પર આદિવાસી મહિલા શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવી આદિવાસીઓનું ગૌરવ વધાર્યુ છે એવી જ રીતે સમગ્ર વિશ્વમાં ભારતના ગૌરવને વધારવાનું કામ થયું છે. આદિવાસી લોકોની સરળતા, સજન્નતામાંથી પ્રેરણા લેવાની વાત કરતા કહ્યું કે વિશ્વમાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યા છે ત્યારે પ્રકૃતિમય જીવન જીવતા આદિવાસીઓના જીવનમાંથી પ્રેરણા મેળવી સુખ- શાંતિ મેળવી શકાય છે.

યોજનાઓ ઘર ઘર સુધી પહોંચશે : રાજ્યપાલે આદિવાસી ભાઈઓએ આઝાદીના સંગ્રામમાં મહત્વનું યોગદાન આપ્યું છે. પંજાબના જલિયાવાલા બાગ હત્યાકાંડ જેવો જ નરસંહાર ગુજરાતના આદિજાતિ વિસ્તારમાં થયો હતો જેમાં 1200 જેટલાં આદિવાસી ભાઈબહેનો શહીદ થયા હતા એને ઉજાગર કરી તેમના યોગદાનને બિરદાવવાનું કામ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ હતું. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત તમામ ક્ષેત્રોમાં વિકાસની નવી ઉડાન ભરી રહ્યો છે જેના લીધે આદિવાસી ભાઈઓનો પણ વિકાસ થયો છે. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સરકારની તમામ યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં સરસ રસ્તાઓનું નિર્માણ થયું છે.

કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ :રાજ્યપાલે ઉમેર્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં વિદેશોમાં ભારતનું માન-સન્માન વધ્યું છે અને ભારતના લોકોને દુનિયા ખૂબ માન આપે છે. આજે દેશમાં શિક્ષણ, કૃષિ, ઉધોગ અને પ્રાચીન વિરાસત સહિત ચોતરફ વિકાસ થઇ રહ્યો છે. આખી દુનિયામાં શાંતિ સ્થાપવાનું કામ માત્ર ભારત જ કરી શકે એમ છે જણાવી તેમણે ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

  1. Gir Somnath News : સોમનાથમાં રામ મંદિરમાં રામ નામ લેખન મહાયજ્ઞમાં શ્રદ્ધાળુઓ ઉત્સાહ સાથે જોડાયાં, સીએમ ભૂપેન્દ્ર પટેલે લખ્યું રામ નામ
  2. Police Loan Tennis Championship : અમદાવાદમાં 24મી ઓલ ઈન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપ 2023 સંપન્ન, સીએમે સમજાવ્યું મહત્ત્વ

ABOUT THE AUTHOR

...view details