ગુજરાત

gujarat

દાદરા નગર હવેલી સહિત વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો, કેરી ઉત્પાદન કરતા ખેડૂતોમાં ચિંતા

By

Published : Apr 27, 2021, 8:09 AM IST

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી સહિત વલસાડ જિલ્લાના વાતાવરણમાં છેલ્લા 2 દિવસથી પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે કરાનો કમોસમી વરસાદ વરસ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વાતાવરણમાં પલટો આવતા આંબા પર ઝૂલતી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં પ્રસરી છે.

વાતાવરણમાં આવ્યો પલટો, ભારે પવન સાથે વરસાદ
વાતાવરણમાં આવ્યો પલટો, ભારે પવન સાથે વરસાદ

  • વાતાવરણમાં આવ્યો પલટો, ભારે પવન સાથે વરસાદ
  • કેરીના પાકા ફળ ખરી પડતા ખેડૂતોમાં ચિંતા
  • કેટલાંક વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો

સેલવાસ:દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસથી 60 કિલોમીટર દૂર આવેલા સરહદી વિસ્તાર કૌંચા, બીલધરી, દૂધની અને પાડોશી વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુર તાલુકાના ગામોમાં રવિવારે ભારે પવન સાથે વરસાદી કરા પડ્યા હતાં. જેને લઈને કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોમાં ચિંતા વધી છે.

કેટલાંક વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો

કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ

રવિવારે વલસાડ જિલ્લાના કપરાડા અને રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં જાણે ઉનાળામાં અષાઢી માહોલ જામ્યો હતો. રવિવારે સાંજના સમયે કપરાડા, ધરમપુરના તાલુકામાં અને દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારોમાં તોફાની વાતાવરણ સર્જાયું હતું. તોફાની વાતાવરણ સાથે ઝડપી પવનના સૂસવાટા સાથે અનેક વિસ્તારોમાં કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.

કરા સાથે વરસાદ વરસ્યો

દાદરા નગર હવેલીના સેલવાસમાં વાવાઝોડા જેવા માહોલમાં પવન ફૂંકાયો હતો. રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી હતી. તો, અંતરિયાળ છેવાડાના કેટલાક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લાના છેવાડાના અને દાદરા નગર હવેલીના છેવાડાના વિસ્તારોમાં સર્જાયેલા અષાઢી માહોલને કારણે આંબા પર હાલ તૈયાર થઈ રહેલી કેરીઓમાં કેટલાક ફળ ખરી પડતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી.

આ પણ વાંચો: ધાનેરામાં કમોસમી વરસાદ પડતા લોકોમાં ચિંતા

સરેરાશ પાંચેક ટકા કેરી ખરી પડી

આ અંગે વલસાડ જિલ્લા બાગાયત અધિકારી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારી, સ્થાનિક ખેડૂતો, દાદરા નગર હવેલીના ખેતીવાડી અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું. વલસાડના ધરમપુર, કપરાડા વિસ્તારમાં કેટલીક આંબાવાડીઓમાં પાકા ફળ ખરી પડ્યા છે. દાદરા નગર હવેલીના રાંધા, રખોલી વિસ્તારની કેટલીક વાડીઓમાં પણ કેરીના ફળ ખરી પડ્યા છે પરંતુ કોઈ મોટું નુકસાન થયું નથી. સરેરાશ પાંચેક ટકા જેટલા તૈયાર ફળ ખરી પડ્યા છે.

આ પણ વાંચો: નવસારીમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી, પાકોમાં ભારે નુકસાનની ભિતિ

વાતાવરણનો પલટો કેટલાક વિસ્તારમાં નુકસાનકારક

મોટેભાગે પવનના તેજ સુસવાટામાં ઝાડ પર સુકાયેલા પાંદડા ઉડ્યા હતાં. સૂકા વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી હતી પરંતુ જો આવું વાતાવરણ વધુ સમય રહ્યું હોત, અથવા તો હજુ આગામી દિવસોમાં પલટો આવશે તો કેરીના ઉત્પાદનમાં ખેડૂતોને મોટું નુકસાન થશે. જોકે બદલાયેલા વાતાવરણને કારણે વાપી, ઉમરગામ તાલુકાના ખેડૂતો માટે કોઈ ચિંતા ઉભી થઇ નહોતી. ઉલટાનું આ વિસ્તારમાં બદલાયેલા વાતાવરણ કેરીના ફળને પકવવામાં વધુ અનુકૂળ રહેશે તેવી આશા ખેડૂતોએ સેવી હતી.

કાજુના પાક માટે આશીર્વાદરૂપ

વાતાવરણના પલટા કૃષિ નિષ્ણાંતોએ વધુમાં જણાવ્યું હતું કે, ભારે પવનને લઇ આંબાના ઝાડ ઉપર કેરીઓ ખરી પડતાં ખેડૂતોને નુકસાન થયું છે. જ્યારે કાજુના પાક માટે આ વરસાદ ખેડૂતો માટે આર્શીવાદરૂપ બની શકે એમ છે. ઘાસચારામાં પણ ફાયદો કરી શકે છે.

30થી વધુ ઝાડ તૂટી પડ્યા

ઉલ્લેખનીય છે કે, ભારે પવનને કારણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ખાનવેલ અને આજુબાજુના વિસ્તારમાં ઝાડ પડવાની, લાઈટના થાંભલા તૂટવાની ઘટના બની હતી. રાંધા અને બોન્ટા ગામે રસ્તાઓ પર ત્રીસથી વધુ જુના ઝાડ તુટી પડયા હતા. જેને ફાયર વિભાગની ટીમ દ્વારા હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details