ગુજરાત

gujarat

રાજકોટની સિવિલમાં 4 વર્ષના કોરોના પોઝિટિવ બાળકના આંતરડાનું સફળ ઓપરેશન

By

Published : Apr 23, 2021, 8:36 PM IST

કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલની સૌથી મહત્વની ભુમિકા ભજવનાર પિડીયાટ્રીક વિભાગ કોવિડ-19ના બાળ દર્દીઓ તથા અન્ય દર્દીઓને જરૂરી અને અગત્યની સારવાર આપીને રાત દિવસ ફરજ બજાવી રહ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અનેક બાળ દર્દીઓ પિડીયાટ્રીક વિભાગના ડોક્ટરની શ્રેષ્ઠ સારવાર મેળવી રહ્યા છે. ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન મનાતા બાળકો જ્યારે કોઈ મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે કોઈનું પણ હ્રદય વલોવાઈ છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 4 વર્ષના કોરોના પોઝિટિવ બાળકનું આંતરડાનું ઓપરેશન કર્યા બાદ મળ્યુ નવજીવન
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 4 વર્ષના કોરોના પોઝિટિવ બાળકનું આંતરડાનું ઓપરેશન કર્યા બાદ મળ્યુ નવજીવન

  • ભરતને છેલ્લા ૩ દિવસથી તાવ, શરદી, ઉધરસ જેવી અસર થતા ડોક્ટરની દવા લીધી હતી
  • બાળકનું ઓપરેશન સફળ થતા હોસ્પિટલ સ્ટાફ અને પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાયો
  • સિવિલમાં જરૂરી રીપોર્ટ કરીને સારવાર કરવામાં આવી હતી

રાજકોટઃ ધોરાજી તાલુકાના મોટીમારડ ગામે રહેતા 4 વર્ષના બાળક ભરતને છેલ્લા ૩ દિવસથી તાવ, શરદી, ઉધરસ જેવી અસર થતા ડોક્ટરની દવા લીધી હતી. પરંતુ તેનાથી ફેર ના પડતા તેનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવતા પરિવારજનો પર આફત વરસી પડી હતી. બાળકને ઘરમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, બાળકનું પેટ ફુલી રહ્યું હતું અને વારંવાર ઉલટી થવાના કારણે ડૉક્ટરનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. ડૉક્ટરના અભિપ્રાય મુજબ બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે રીફર કરવામાં આવ્યો. ઉપરાંત, તેને આંતરડામાં સૌથી નીચે આવેલી આંત્રપુચ્છ એટલે કે એપેન્ડિક્સમાં ઈન્ફેક્શન વધતુ હતું. જેને કારણે પેટ ફુલવાની પણ સમસ્યા અને ઉલટી પણ વારંવાર થતી હતી. રાજકોટ સિવિલના કે.ટી.ચિલ્ડ્રન વિભાગમાં દાખલ કરીને જરૂરી સારવાર આપીને તેના જરૂરી રીપોર્ટ કરવામાં આવ્યા.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 4 વર્ષના કોરોના પોઝિટિવ બાળકનું આંતરડાનું ઓપરેશન કર્યા બાદ મળ્યુ નવજીવન

આ પણ વાંચોઃરાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ડાંગના મોટી દબાસ ગામના બાળકને નવજીવન મળ્યું

કોવિડ પોઝિટિવ બાળકનું કરાયું ઓપરેશન

ડોક્ટરે ભરતના એક્સ-રે સોનોગ્રાફીના રિપોર્ટની ગંભીરતા જોઈને, તરત જ ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો હતો. એપેન્ડિક્સમાં લાગેલું ઇન્ફેક્શન સમગ્ર શરીરમાં ના ફેલાય એ વાતને ધ્યાને રાખીને લેપ્રોટોમી (પેટ ખોલીને કરવામાં આવતું ઓપરેશન) પદ્ધતિ વડે રાત્રિના દસ વાગ્યે એક કલાકની ભારે જહેમતબાદ બાળકનું ઓપરેશન કરીને ડોક્ટર ધર્મેન્દ્રસિંહ ગોહિલે એક પરિવારના જીવનદીપને નવજીવન આપ્યું. આ ઓપરેશનમાં ડોક્ટર અંજના તથા ડો.રવિના વીંછી સહિત તમામ સ્ટાફે ખુબ જ મહત્વનું યોગદાન આપ્યું છે. જ્યારે બાળકનું ઓપરેશન સફળ થતા હોસ્પિટલ સ્ટાફ અને પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો.

પરિવારજનોએ સિવિલ સ્ટાફનો માન્યો આભાર

ચાર વર્ષિય બાળક ભરતના પિતા દેવાયત કારોતરાએ જણાવતા કહ્યુ હતું કે, મારો દિકરો કોરોના સંક્રમિત થયો, ત્યારે અમે ગભરાઈ ગયા હતા તેમજ તેને પેટમાં દુખાવો અને ઉલ્ટી થતી હતી એટલે ધોરાજીમાં ડોકટરને બતાવતા તેમણે રાજકોટ સિવિલ હોસ્પિટલ રીફર કરી. સિવિલમાં જરૂરી રીપોર્ટ કરીને સારવાર કરવામાં આવી હતી. ઓપરેશનની વાત કરી ત્યારે અમે ખુબ જ ડરી ગયા હતા. ડોક્ટરે બધુ સમજાવ્યું અને અમારી બીક દૂર કરીને ઓપરેશન કરી અમારા છોકરાને નવી જીંદગી આપી છે. ડોક્ટરનો આભાર માનીએ એટલો ઓછો છે. અહીંયા અમને ખુબ જ સારી સારવાર અને સેવા આપવામાં આવે છે, આટલી સારી સારવાર આપવા બદલ સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફનો ખુબ આભાર.

આ પણ વાંચોઃઘાતક સર્પદંશમાં તાત્કાલિક સારવાર વડે બાળકને મળ્યું નવજીવન

બાળકોનો ટેસ્ટ પોઝિટિવ હોવાથી તેની પ્રોટોકોલ મુજબ સારવાર કરાય છે

કોવિડ -19 દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગમાં નવજાત શીશુથી લઈને 12 વર્ષની ઉંમર સુધીના ઘણા બાળકો જેને શ્વાસની તકલીફ હોય તેવા અને ખાનગી હોસ્પિટલમાંથી રીફર થઈને આવતા બાળકોનો કોવિડ ટેસ્ટ કરવામાં આવે છે. જે બાળકોનો ટેસ્ટ પોઝિટિવ આવે તેની પ્રોટોકોલ મુજબ સારવાર કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details