ગુજરાત

gujarat

શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની થશે આજે ઉજવણી, જાણો કાનાને સજાવવાની અનોખી રીત

By

Published : Aug 29, 2021, 10:17 PM IST

Updated : Aug 30, 2021, 6:17 AM IST

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી

આજે 30 ઓગસ્ટ 2020ના રોજ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવામાં આવશે. જન્માષ્ટમીના પાવન અવસરે સમગ્ર દેશ ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જાય છે. ત્યારે તમામ ઘરોમાં પણ આ ઉત્સવને ખૂબ જ ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે. ગયા વર્ષે કોરોનાના કારણે જન્માષ્ટમી પર્વની ઉજવણી થઇ શકી ન હતી, ત્યારે આ વર્ષે છૂટ મળતા કાનાને સજાવવા માટેની ખરીદી શરૂ થઇ છે, તો આવો જાણીએ આ વર્ષે કાનાને સજાવવાની અનોખી રીત.

રાજકોટ: હજુ પણ દેશમાંથી સંપૂર્ણ રીતે કોરોના ગયો નથી, ત્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં ખૂબ જ સાવધાનીપૂર્વક તહેવારો ઉજવવા જરૂરી બને છે. ત્યારે તમારે નિરાશ થવાની જરૂર નથી. કોરોનાની મહામારી વચ્ચે તમે જન્માષ્ટમીની ઉજવણી પોતાના ઘરમાં જ કરી શકો છો. જેમાં જરૂરી એ છે કે તમે કાનાને જન્માષ્ટમીના દિવસે કેવી રીતે તૈયાર કરો છો. જન્માષ્ટમી નિમિત્તે ખાસ ઘરના પૂજા રૂમને સજાવવાનું ખૂબ જ મહત્ત્વનું હોય છે, જ્યારે જન્માષ્ટમીને હજુ ગણતરીની કલાકો બાકી છે. એવામાં તમે કાનાને સજાવવા માટે તેનો ઝુલો ખરીદીને તેને સમજાવીને જન્માષ્ટમીની કંઈક અનોખી ઉજવણી કરી શકો છો.

કેવી રીતે તૈયાર કરશો કાનાનો ઝુલો

1) કોરોનાને લઈને મોંઘવારીમાં પણ સતત વધારો થયો છે. એવામાં જો તમે સોના અથવા ચાંદીનીનો ઝુલો ખરીદી ન શકતા હોય તો તમારે નિરાશ થવાની જરૂર નથી. હાલ બજારમાં ઘણા નવી ડિઝાઇનના ઝુલાઓ આવ્યા છે. તેમાં લાકડાના ઝુલાની પણ તમે ખરીદી કરી શકો છો, તેનું ચલણ હાલમાં ખૂબ જ વધ્યું છે. તમે આ ઝુલાઓ ખરીદીને આ વખતની તમારી જન્માષ્ટમીને વધુ યાદગાર બનાવી શકો છો.

2) આ સિવાય બજારમાં મેટલ હેન્ડીક્રાફ્ટ ઝુલા, વુડનના ઝુલા તેમજ આર્ટિફિશિયલ ફૂલોથી તૈયાર કરવામાં આવેલા ફૂલોના ઝુલા પણ બજારમાં જોવા મળી રહ્યા છે. જે તમને તમારા બજેટમાં મળી શકે છે. આ ઝૂલાઓ ખરીદીને પણ તમે જન્માષ્ટમીને વધુ યાદગાર બનાવી શકો છો.

3) જન્માષ્ટમી પર ઝુલો સજાવવા માટે સૌથી પહેલા ભગવાનને રાખવાની જગ્યા વ્યવસ્થિત રીતે સાફ કરી લો, ત્યારબાદ ઝુલો રાખો અને તેમાં ભગવાન શ્રીકૃષ્ણનો ફોટો અથવા મૂર્તિને બેસાડો, સૌથી પહેલું કામ આ કરો.

4) હવે બાળગોપાલને તેમના આભૂષણ પહેરાવો, ત્યારબાદ કાનાના ઝુલાને પણ સજાવો અને તેની આસપાસમાં સારા ફૂલો પણ તમે મુકી શકો છો, જ્યારે તેમાં સજાવવામાં તમે આર્ટિફિશિયલ ફૂલોનો ઉપયોગ કરી શકો છો. તમે પૂજાના સ્થળને સજાવવા માટે ત્યાં સારા નાના વૃક્ષોના છોડ પણ રાખી શકો છો.

5) રંગોળીનું પૂજાપાઠ વ્રત અને તહેવારમાં ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. એવામાં રંગોળી વગર તહેવારોની ઉજવણી પણ ફિક્કી લાગે છે. તમે ભગવાનના સ્થળની સામે અથવા પોતાના ઘરના આંગણામાં સારામાં સારી રંગોળી પણ બનાવો.

6) જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન તમે પોતાના ઘરમાં દહીંહાંડીને પણ લગાડવાનું ભુલતા નહિ. પૂજાનું સ્થળ અને કાનાના ઝુલાની સજાવટ દહીંહાંડી વિના શક્ય નથી. જેને લઈને તમે દહીંહાંડી કરીને પણ તેને સજાવી શકો છો.

7) તમે હાંડીને સજાવવા માટે ફૂલ અથવા પાનને તેના પર ચોંટાડી શકો છો. જેથી તમારી હાંડી ખૂબ જ આકર્ષક લાગી શકે.

8) પૂજાના સ્થળને તમે રંગબેરંગી ઝાલર સાથે સજાવી શકો છો. જેના કારણે તમારા પૂજાનું સ્થળ ઝગમગી ઉઠશે.

9) જન્માષ્ટમીનો કાર્યક્રમ રાત્રે હોય છે, જેના કારણે તમારા પૂજા સ્થળ પર લાઈટો અને દીવાનો પ્રકાશ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર રહેશે. એવામાં તમે પૂજા સ્થળની સામે બનાવેલી રંગોળી પર પણ દીવા લગાવી શકો છો. જેના કારણે તે ખુબ જ સરસ લાગશે. આમ પૂજા સ્થળની આસપાસ પણ દીવો મૂકીને તમે તેને વધુ સુંદર બનાવી શકો છો.

10) ભગવાન શ્રીકૃષ્ણના વસ્ત્રો તેમજ ઝુલો અને ભગવાનના આભૂષણ સહિતની વસ્તુઓ સાથે તમે જન્માષ્ટમીની વધુ સારી રીતે ઉજવણી કરી શકો છો. આ સાથે જ તમે ભગવાન શ્રીકૃષ્ણને ભાવતી વસ્તુઓ જેવી કે પંજરી, લાડુ, માખણ, મિસરી સહિતની વસ્તુઓ પણ જરૂર બનાવો તેમજ આ પર્વ દરમિયાન તમે શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન થવા માટે ભગવાન શ્રીકૃષ્ણની આરાધના, મંત્રો, પૂજા, આરતી, જાપ કરીને આ દિવસને પણ સાર્થક બનાવી શકો છો.

Last Updated :Aug 30, 2021, 6:17 AM IST

ABOUT THE AUTHOR

...view details