ગુજરાત

gujarat

આજે 4:20 કલાકે યોજાનારી શપથવિધિ એક કલાક પહેલા જ રદ્દ કરાઈ, અનેક પૂર્વ પ્રધાનો નારાજ હોવાની ચર્ચા

By

Published : Sep 15, 2021, 4:57 PM IST

આજે બુધવારે સાંજે 4:20 કલાકે નવનિયુક્ત મુખ્યપ્રધાનની નવી કેબિનેટના પ્રધાનો શપથ લેવાના હતા. જોકે, કાર્યક્રમના એક કલાક અગાઉ જ કોઈ ચોક્કસ કારણ આપ્યા વિના આ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ રદ્દ થવા પાછળ નો રિપીટ થિયરીનો વિરોધ કરી રહેલા પ્રધાનો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

આજે 4:20 કલાકે યોજાનારી શપથવિધિ એક કલાક પહેલા જ રદ્દ કરાઈ
આજે 4:20 કલાકે યોજાનારી શપથવિધિ એક કલાક પહેલા જ રદ્દ કરાઈ

  • શપથવિધિના 1 કલાક પહેલાં કાર્યક્રમ રદ કરવામાં આવ્યો
  • નો રિપીટ ફોર્મ્યુલા હોવાથી વિરોધનો વંટોળ ચડ્યો હોવાની પ્રબળ શક્યતા
  • ધારાસભ્યો અને પૂર્વ પ્રધાનોમાં નારાજગી વધતા અચાનક શપથવિધિ રદ કરાઈ

ગાંધીનગર : રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી 11 સપ્ટેમ્બરે રાજીનામું આપી દીધું છે. જ્યારબાદ 13 સપ્ટેમ્બરના રોજ રાજ્યના 17માં મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. આજે 15 સપ્ટેમ્બરના રોજ ભુપેન્દ્ર પટેલના કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનો 4:20 કલાકે શપથ લેવાના હતા, પરંતુ શપથવિધિ યોજાય તેના એક કલાક પહેલાં જ કાર્યક્રમ અચાનક રદ્દ કરવામાં આવ્યો છે.

આજે 4:20 કલાકે યોજાનારી શપથવિધિ એક કલાક પહેલા જ રદ્દ કરાઈ

નો રિપીટ ફોર્મ્યુલાથી પૂર્વ પ્રધાનો નારાજ

ગુજરાતમાં ભાજપમાંથી જે પણ ધારાસભ્ય પહેલા પ્રધાનપદ તરીકે નિમણૂંક થયા હોય તેમને ભુપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્યકક્ષાના કે કેબિનેટ કક્ષાના પ્રધાન પદ નહીં આપવામાં આવે એટલે કે નો-રિપીટ થિયરી પર જ ભુપેન્દ્ર પટેલની નવી સરકાર રચાશે. જેમાં તમામ નવા ચહેરાઓને કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનપદ આપવામાં આવશે. જેથી વિજય રૂપાણી સરકારમાં રહેલા કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનો નારાજ થયા હતા અને નારાજગીનો સૂર સતત વધવાના કારણે શપથવિધિના એક કલાક પહેલાં જ કાર્યક્રમ રદ્દ કરવાની પરિસ્થિતિ ઉભી થઈ હતી.

જયેશ રાદડિયાને મનાવવા ભાજપ માટે અઘરું

વિજય રૂપાણીની સરકારમાં કેબિનેટ કક્ષાના પ્રધાન જયેશ રાદડિયાએ પણ નો રિપીટ ફોર્મ્યુલાનો વિરોધ કર્યો હતો. આ સાથે જ જયેશ રાદડિયાની લોબી જાહેરમાં આવીને સરકારનો વિરોધ કરે તેવી પણ શક્યતાઓ હતી. જો તેમને પડતાં મૂકાય તો તેની અસર રાજકોટ જિલ્લામાં થઈ શકે તેમ હોવાથી ભાજપ પક્ષે અંતિમ સમયે કાર્યક્રમ રદ્દ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ધોરાજી અને જામકંડોરણામાં સમર્થકોને આ બાબતે બેઠક પણ થઈ હતી. જેથી સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લાઓમાં ભાજપ તરફી વિરોધી સૂર ન ઉપડે તેને ધ્યાનમાં લઈને શપથવિધિ રદ્દ કરાઇ હોવાનું પણ સામે આવી રહ્યું છે.

હવે 16 સપ્ટેમ્બર 1.30 કલાકે યોજાશે શપથવિધિ કાર્યક્રમ

બુધવારે સાંજે 4:20 કલાકે યોજાનારો શપથવિધિ કાર્યક્રમ અચાનક રદ્દ કરવામાં આવ્યો છે. ત્યારે મુખ્યપ્રધાન કાર્યાલય (CMO) એ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, 16 સપ્ટેમ્બરના રોજ બપોરે 1:30 કલાકે નવનિયુક્ત પ્રધાનોની શપથવિધિ યોજવામાં આવશે. આમ, સત્તાવાર રીતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના કાર્યાલયમાંથી ટ્વિટ કરીને નવા શપથવિધિના કાર્યક્રમની જાહેરાત કરવામાં હતી.

શપથવિધિ રદ થતા પોસ્ટર ફાડીને દૂર કરવામાં આવ્યા

રાજભવન ખાતે ભુપેન્દ્ર પટેલના નવા કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનોની શપથવિધિ યોજાવા જઈ રહી હતી, પરંતુ શપથવિધિ યોજાય તેના એક કલાક પહેલાં જ શપથવિધિ રદ્દ થતા રાજભવનની બહાર તૈયારી કરી રહેલા ડેકોરેટર્સના વ્યક્તિઓએ અચાનક જ તૈયારીઓ બંધ કરી દીધી હતી અને રાજભવનની ખાતે ઉભા કરેલા પોસ્ટર પણ દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે પોસ્ટરમાં અમુક સમય બાદ ડેકોરેટર્સના વ્યક્તિઓ દ્વારા પોસ્ટરને ફાડીને દૂર કરવામાં આવ્યા હતા.

ક્યાં પ્રધાનો છે નારાજ ?

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, વિજય રૂપાણી સરકારમાં સત્તા ભોગવી ચૂકેલા અનેક પ્રધાનો નારાજ છે. જેમાં ભુપેન્દ્ર પટેલની સરકારમાં નો-રિપીટ ફોર્મ્યુલાને ધ્યાનમાં લઈને જયેશ રાદડિયા, કુંવરજી બાવળીયા, વાસણ આહિર તેમજ વિભાવરીબેન દવે જેવા પ્રધાનો નારાજ હોવાનું સામે આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details