ગુજરાત

gujarat

ભારે વરસાદ અને સરદાર સરોવર ડેમમાંથી છોડાઇ રહેલ પાણી બાબતે બેઠક યોજાઇ, અત્યાર સુધી 120 ટકા સરેરાશ વરસાદ નોંધાયો

By

Published : Aug 31, 2020, 4:47 PM IST

સરદાર સરોવર ડેમ
સરદાર સરોવર ડેમ

રાજ્યમાં થઇ રહેલાં સાર્વત્રિક વરસાદને પરિણામે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને આગોતરા આયોજન માટે મુખ્ય સચિવ ડો. અનિલ મુકીમે આજે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. વરસાદને પગલે રાજ્યના ડેમો-જળાશયોની સ્થિતિની સમીક્ષા કરી સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહીવટી તંત્ર સુસજ્જ છે અને રાજ્યમાં પરિસ્થિતિ હાલ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ હોવાનું જણાવાયું હતું.

ગાંધીનગર: રાહત કમિશનર ડો. હર્ષદ પટેલે સમીક્ષા બેઠક બાદ મીડિયાને વિગતો આપતાં કહ્યું કે, આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે તેવી હવામાન વિભાગની આગાહી છે. હાલ 13 NDRFની ટીમો અને SDRFની બે ટીમો સંબધિત જિલ્લાઓમાં તહેનાત છે. તે ઉપરાંત NDRF-SDRFની અન્ય 11 ટીમો સ્ટેન્ડબાય-રિઝર્વ રાખવામાં આવી છે. પટેલે ઉમેર્યું કે, રાજ્યમાં ડેમ-જળાશયોની સ્થિતિ ઉપર સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. આજે યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ દ્વારા પણ આ સંદર્ભે જરૂરી સમીક્ષા કરીને સંબંધિત વિભાગ તથા સ્થાનિક વહીવટીતંત્રને અગમચેતીના પગલા લેવા તથા જરુર જણાય ત્યાં સ્થળાંતરની કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.

ભારે વરસાદ અને સરદાર સરોવર ડેમમાંથી છોડાઇ રહેલ પાણી બાબતે બેઠક યોજાઇ, અત્યાર સુધી 120 ટકા સરેરાશ વરસાદ નોંધાયો
રાજ્યમાં 94 તાલુકાઓ એવા છે કે જેમાં મોસમનો 1000 મીમીથી વધુ વરસાદ વરસ્યો છે. એ જ રીતે 133 તાલુકાઓમાં 501થી 1000 મીમી સુધી, 24 તાલુકાઓમાં 251થી 500 મીમી સુધી અને250 મીમીથી ઓછો વરસાદ વરસ્યો હોય તેવા એક પણ જિલ્લા નથી. આમ સમગ્ર રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ 119.78 ટકા થઈ ગયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 251.66 ટકા, સૌરાષ્ટ્રમાં 162.64 ટકા, દક્ષિણ ગુજરાતમાં 102.45 ટકા, ઉત્તર ગુજરાતમાં 101.72 ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 87.56 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદ અને સરદાર સરોવર ડેમમાંથી છોડાઇ રહેલ પાણી બાબતે બેઠક યોજાઇ, અત્યાર સુધી 120 ટકા સરેરાશ વરસાદ નોંધાયો

રાજ્યમાં થયેલા સારા વરસાદના પરિણામે સરદાર સરોવર ડેમમાં હાલ 2,77,010 MCFT જળસંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહશક્તિના 79.92 ટકા જેટલો છે. હાલ 138.68 મીટરે જળ સપાટી છે. તે ઉપરાંત રાજ્યના 205 જળાશયો પૈકી 154 જળાશયો હાઇ એલર્ટ પર, 12 જળાશયો એલર્ટ પર અને 12 જળાશયો વોર્નિંગ ઉપર છે. 100 ટકાથી વધુ ભરાયેલા ડેમ 103 છે. રાજ્યમાં કુલ 62 નદીઓ અને 78 મોટા તળાવ ઓવરફલો થયાં છે.

ભારે વરસાદ અને સરદાર સરોવર ડેમમાંથી છોડાઇ રહેલ પાણી બાબતે બેઠક યોજાઇ
પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 13 ઓગસ્ટથી આજ દિન સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 19,523 નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. જે પૈકી હાલ 1286 લોકો આશ્રયસ્થાનોમાં છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં વરસાદને પરિણામે 30 ગામમાં વીજ પુરવઠાની સ્થિતિને અસર થઈ છે જે સત્વરે પૂર્વવત કરવા જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે. એ જ રીતે રાજ્યના એસટી બસની 48 રૂટ પરની 101 ટ્રીપો બંધ કરવામાં આવી છે. ઉપરાંત વરસાદની સ્થિતિના પગલે સ્ટેટ હાઇવેના 33 અને પંચાયત હસ્તકના 232, નેશનલ હાઇવે એક તથા અન્ય 31 મળી કુલ 297 રસ્તાઓ બંધ કરાયાં છે. તેમ જ રાજ્યમાં થયેલા સારા વરસાદને પરિણામે 97.14 ટકા વાવેતર થઇ ગયું છે.

ABOUT THE AUTHOR

...view details