અમદાવાદઃ કોરોના મહામારી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે રથયાત્રા યોજવા પર પહેલીવાર પ્રતિબંધ લાદી દીધો હતો, ત્યારે હવે ગણેશ વિસર્જન તેમજ નવરાત્રીને ઉજવવા મુદ્દે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાં આવી છે. સોશિયલ ડિસ્ટનસિંગના પાલન અને કોરોનાના નિયમો મુજબ નવરાત્રી અને ગણેશ વિસર્જન કરવા દેવામાં આવે તેવી માગ કરાઈ છે. આ મામલે આગામી સપ્તાહ દરમિયાન વધુ સુનાવણી હાથ ધરાઈ શકે છે.
કોરોનાકાળઃ નવરાત્રી ઉજવણીની માગ સાથેની PIL હાઇકોર્ટમાં દાખલ
રક્ષાબંધન બાદ હવે તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે કોરોના મહામારી દરમિયાન સોશિયલ ડિસ્ટનસિંગ સહિતના નિયમોના પાલન સાથે નવરાત્રી અને ગણેશ વિસર્જનની ઉજવણી કરવાની મંજૂરી માંગતી જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, એપાર્ટમેન્ટ અને શેરીઓમાં નવરાત્રી રમવા મુદ્દે મંજૂરી આપવામાં આવે. રાજનૈતિક નેતાઓ રેલી કાઢી શકે તો ગણેશ વિસર્જન કે નવરાત્રી કેમ ના રમી શકાય. વડોદરા સ્થિત યુવાન દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
અરજદારે જાહેર હિતની અરજીમાં રજૂઆત કરી છે કે, પોલીસ રાજનૈતિક રેલીયો માટે મંજૂરી આપી શકે તો ધાર્મિક તહેવારોની ઉજવણી માટે કેમ નહી. આ મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહમાં હાથ ધરવામાં આવશે.