- ટાગોર હોલમાં 31 જાન્યુઆરીથી રસીકરણ કેન્દ્રની શરૂઆત થઈ
- 9 હજારથી વધુ પોલીસકર્મીઓને રસી આપવામાં આવી
- પ્રતિદિન 1500 લોકોને રસી અપાય છે
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ વૈશ્વિક મહામારી સામે રસીની શોધ અને સંશોધન માટે ભારત સહિત બધા દેશના ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકો સતત પ્રયત્નશીલ બન્યા હતા અને એક વર્ષ પૂર્ણ થાય એ પહેલાં જ કોરોના વાયરસની રસી આપવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું, જેમાં હેલ્થ વર્કર્સ, પોલીસકર્મીઓ અને અન્ય ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવાની ઝુંબેશ સમગ્ર દેશમાં શરૂ થઈ છે.
ટાગોર હોલમાં 31 જાન્યુઆરીથી રસીકરણ કેન્દ્રની શરૂઆત થઈ
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ સહિતની અનેક જગ્યાએ રસીકરણ કેન્દ્રની શરૂઆત થઇ જેમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ ટાગોર હોલ ખાતે 31 જાન્યુઆરીથી રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે જ 800થી વધુ શિક્ષકોની રસી અપાઈ હતી. પહેલી ફેબ્રુઆરીથી સળંગ દસ દિવસ સુધી 9 હજારથી વધુ પોલીસકર્મીઓને રસી અપાઇ હતી. ત્યારબાદ દરરોજ 1500 જેટલા લાભાર્થીઓ ટાગોર હોલમાં રસીનો ડોઝ મુકાવવા આવી રહ્યા છે. જેને કોરોના ગાઇડલાઇન મુજબ રસી આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો :દાંતા તાલુકા મથકે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના રસીકરણ શરૂ