ગુજરાત

gujarat

કૃષિ પેદાશોનું મહત્તમ વળતર મેળવવા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીએ: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

By

Published : Aug 30, 2020, 7:39 PM IST

રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ખેડૂતોએ પોતાના કૃષિ ઉત્પાદનનો મહત્તમ ભાવ મેળવવા માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવી એ સમયની માગ છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે, ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં અન્ય પદ્ધતિની તુલનામાં ઘણો ઓછો ખર્ચ આવતો હોવાથી ખેડૂત ઓછા ખર્ચે મહત્તમ ઉત્પાદન મેળવીને પોતાની કૃષિ પેદાશના ખુબ જ સારા ભાવ મેળવી શકે છે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

અમદાવાદ: જિલ્લાના ધંધુકા અને માંડલ ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માર્ગદર્શન અંગે યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતોના વિશાળ સમુદાયને સંબોધતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ઘર આંગણે એક ગાય વસાવીશું તો ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન મળશે. ખેડૂત સફળતાપૂર્વક ખૂબ જ સારા ભાવ મેળવીને પોતાની આર્થિક સ્થિતિ વધુ સારી બનાવી શકશે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત અને ઘન જીવામૃત બનાવી રાસાયણિક ખાતરના વિકલ્પે ખાતર તૈયાર કરી જમીનને ફળદ્રુપ પણ બનાવી શકાય છે. જેના કારણે કોઈપણ કૃષિ પેદાશની ઉત્પાદકતામાં ધરખમ વધારો થઇ રહ્યો હોવાના કારણે કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતા રાસાયણિક ખાતરની તુલનામાં વધી રહી હોવાના તારણો હવે જ્યારે બહાર આવી રહ્યા છે. ત્યારે ખેડૂત રસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ચક્રમાંથી બહાર આવીને પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધે તો જ તે આર્થિક દૃષ્ટિએ સંપન્ન થઇ શકશે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉમેર્યું હતું કે,કૃષિ પેદાશના ભાવના સંદર્ભે હવે જાગ્યા ત્યાંથી સવાર એમ માનીને આપણે જો પ્રાકૃતિક ખેતી અપનાવીશું તો પર્યાવરણ પણ સુધરશે અને ધરતી માતાનું આરોગ્ય પણ સુધરશે અને આખરે તેનો લાભ ધરતીપુત્રોને જ મળવાનો છે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, ખેતીના વધતા જતા ખર્ચના કારણમાં મુખ્યત્વે રાસાયણિક ખાતરના જરૂર કરતા વધારે ઉપયોગ અને બિયારણના ઉપયોગ, બિન જરૂરી ખાતર અને બિયારણ વાપરીને ખેડૂત વધુ પડતો ખર્ચ કરતો હોવાથી ખેતી ખર્ચ બિનજરૂરી રીતે વધી જાય છે અને તેનાથી જ કૃષિ પેદાશના ભાવના પ્રશ્નો સર્જાય છે.તેમણે કહ્યું કે આ સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો કુદરતી ખાતર અને બિયારણનો ઉપયોગ એ જ શ્રેષ્ઠ ઉપાય છે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગે ખેડૂતોને માર્ગદર્શન આપતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ખેડૂતો માટે રાજ્ય સરકારે અત્યાર સુધી અનેક પ્રકારની વીમા યોજનાઓ અમલી બનાવી છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે હમણા જ જાહેર કરવામાં આવી છે, તેનો લાભ રાજ્યના અસરગ્રસ્ત તમામ ખેડૂતોને મળવાનો હોવાથી આ યોજના સાચા અર્થમાં ખેડૂતો માટે સંજીવની સહાય યોજના સાબિત થશે. તેમાં કોઈ જ શંકા નથી, કારણ કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અનુસાર ખરીફ ઋતુમાં અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે રાજ્ય સરકારના બજેટમાંથી 33 ટકા થી 60 ટકા સુધીના નુકસાનના કિસ્સામાં 4 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટરે રૂપિયા 2000 અને 60 ટકાથી વધુનું નુકસાનના કિસ્સામાં રૂપિયા 25000 પ્રતિ હેકટર એટલે કે ખેડૂતોને નુકસાની અને જમીન ધારકતાના પ્રમાણમાં રૂપિયા 85 હજારથી રૂપિયા એક લાખ સુધીની સહાય કુદરતી આપત્તિના કિસ્સામાં મળી શકશે . આ યોજનામાં મહત્તમ ચાર હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર હોવાથી અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ અથવા તો કમોસમી વરસાદના કારણે અસર પામનાર રાજ્યના કોઇપણ ખેડૂત આ સહાય યોજનાના લાભથી વંચિત નહીં રહે. એ દૃષ્ટિએ જોઈએ તો અત્યાર સુધીની પાક વીમા યોજનાની સરખામણીએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો વ્યાપ ખૂબ જ વધુ છે, જેનો મહત્તમ ખેડૂતોને લાભ મળવાનો છે.ધંધુકા અને માંડલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કૃષિ વિભાગના જિલ્લા કક્ષાના અધિકારીઓ ઉપરાંત જિલ્લા પંચાયતના અધિકારીઓ તથા અન્ય પદાધિકારીઓ અને ખેડૂત સમુદાય વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details