અમદાવાદમાં ગમે તે સંજોગોમાં રથયાત્રા યોજાવી જ જોઇએ તેવી માગણી સાથે AHPએ નોંધાવ્યો વિરોધ
જગન્નાથ મંદિરથી 143મી રથયાત્રા ન યોજવાના ગુજરાત હાઈકોર્ટનાં હુકમ બાદ પણ રથયાત્રા થવી જોઇએ તેવી માગણી જોરશોરથી થઈ રહી છે. આ માગણી સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળના પ્રદેશ મંત્રી નિકુંજ પારેખ સહિતના કાર્યકરોએ આવી માગણી કરી છે.
અમદાવાદઃ આજે જગન્નાથ મંદિર ખાતે સવારે 10.30 વાગ્યે દિલીપદાસજી મહારાજને રથયાત્રા યોજાવી જ જોઇએ તેવી રજૂઆત કરવા એએચપીના કાર્યકરો જવાના હતાં. જો કે પોલીસે ગત રાતથી આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના પ્રદેશ મંત્રી સહિત 6 લોકોને ડિટેઈન કર્યા હતાં તેમ જ સવારથી અર્જુન આશ્રમ ખાતે 200 જેટલી પોલીસની ફોજ ખડકી દેવાઈ છે.નિકુંજ પારેખે એવો દાવો કર્યો છે કે, ભલે પોલીસે અમને ડિટેઇન કર્યા પણ અમારી બીજી ટીમો આજનો કાર્યક્રમ પર પાડશે અને આવતીકાલે રથયાત્રા પણ નીકળશે. પોલીસે આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સાથે જોડાયેલા કાર્યકરોને ડિટેઈન કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ચાંદલોડિયા અર્જુન આશ્રમ ખાતે કેટલાંક કાર્યકરો એકત્ર થયાની વિગત મળતા પોલીસ કાફલો આશ્રમ પર ખડકી દેવાયો છે.