નવી દિલ્હીઃ લોકસભાની સદસ્યતા રદ થતા જ ટીએમસી નેતા મહુઆ મોઈત્રાએ કકળાટ મચાવી દીધો છે. તેણીએ કેન્દ્ર સરકાર પર વાકપ્રહાર કર્યા છે. મહુઆએ કહ્યું કે, આ બધુ પહેલેથી જ નક્કી હતું. એથિક્સ કમિટીનો દુરુપયોગ થયો છે. એથિક્સ કમિટીને નૈતિકતાના માપદંડના ઉદ્દેશ્યથી બનાવવામાં આવી હતી તે ઉદ્દેશ્યથી વિરુદ્ધ થઈ રહ્યું છે. હવે તેનો ઉપયોગ વિરોધ પક્ષ પર હુમલો કરવા માટે થઈ રહ્યો છે. કમિટીએ જે રિપોર્ટ તૈયાર કર્યો તે માત્ર બે લોકોના લેખિત નિવેદન પર આધારિત છે.
ટીએમસી નેતા મહુઆ મોઈત્રાને કેશ ફોર ક્વેરી મામલે લોકસભાની સદસ્યતા ગુમાવી પડી છે. તેમના પર પૈસા લઈને સવાલ પુછવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. ત્યારબાદ એથિક્સ કમિટીએ આ આરોપો પર વિચાર વિમર્શ કર્યો હતો. સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ મહુઆ મોઈત્રાની સંસદ સદસ્યતાને રદ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારબાદ સદનમાં આ પ્રસ્તાવને ધ્વનિમતથી સ્વીકાર કરી લેવામાં આવ્યો. આ સમયે દરેક વિપક્ષે વોકઆઉટ પણ કરી દીધું હતું.
એથિક્સ કમિટીની રિપોર્ટ સદન પટલ પર આવતા જ જોરદાર ચર્ચાઓ શરુ થઈ ગઈ હતી. ટીએમસી સાંસદોએ મહુઆ મોઈત્રાને પોતાનો પક્ષ રજૂ કરવા માટે પરવાનગી અપાય તેવી માંગણી કરી હતી. જો કે સ્પીકરે આ માંગણી ફગાવી દીધી હતી. સંસદીય કાર્ય પ્રધાને જણાવ્યું કે, કમિટી સમક્ષ મહુઆ મોઈત્રાને પોતાનો પક્ષ રાખવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો.
સ્પીકર ઓમ બિરલાએ પહેલાની પરંપરાનો પણ ઉલ્લેખ કર્યો. એથિક્સ કમિટીની અધ્યક્ષતા ભાજપા સાંસદ વિનોદ સોનકર કરી રહ્યા હતા. કમિટીએ નવ નવેમ્બરે મહુઆને સાંસદ પદેથી હકાલપટ્ટીનો રિપોર્ટ સ્વીકાર્યો હતો. પક્ષમાં છ સાંસદોએ મત આપ્યો જ્યારે 4 સાંસદોએ અસહમતિ દર્શાવી હતી.
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પોતાના પક્ષની નેતા મોઈત્રાનો સાથ આપ્યો હતો. મમતાએ કહ્યું કે, સ્પીકરે ઉતાવળીયો નિર્ણય લીધો છે. બેનર્જીએ બંધારણની હત્યા થઈ હોવાનો આરોપ પણ લગાડ્યો હતો. મોઈત્રાની સાંસદ સદસ્યતા રદ થઈ તેને મમતાએ સંસદીય લોકતંત્ર સાથેનો વિશ્વાસઘાત ગણાવ્યો હતો.
મમતા બેનર્જીએ કહ્યું કે આપણા સંસદીય લોકતંત્ર માટે આ શરમજનક બાબત છે, જે રીતે મહુઆ મોઈત્રાને લોકસભામાંથી બહાર કાઢવામાં આવી તે યોગ્ય નથી. અમારી આખી પાર્ટી મોઈત્રાની સાથે છે. મમતાએ ભાજપ પર વાકપ્રહાર કરતા કહ્યું કે, ભાજપ અમને હરાવી શકતી નથી તેથી બદલો લઈ રહી છે. મમતાએ મોઈત્રા ફરીથી વધુ જનમત સાથે સંસદમાં જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જો કે જે પાર્ટીઓ આવા બદલા લે છે તેને યાદ રાખવું જોઈએ કે એક દિવસ તેઓ પણ સત્તામાં નહીં રહે.
ભાજપ કોઈ પણ મહિલાને શક્તિશાળી થતા જોઈ શકતો નથી...શશી પાંજા(નેતા, ટીએમસી)
ભાજપ દરેક સાંસદ માટે અલગ અલગ નિયમ અપનાવે છે...રજની પાટિલ(નેતા, કૉંગ્રેસ)
- આખરે મહુઆ મોઈત્રાનું સાંસદ પદ ગયું, લોકસભામાંથી બરતરફ કરાયા મોઈત્રા, તૃણમુલ કોંગ્રેસને મોટો ફટકો
- મહુઆ મોઇત્રા પર લોકસભાની એથિક્સ કમિટિનો રિપોર્ટ આજે રજૂ થવાની અપેક્ષા