કચ્છ :આગામી સમયમાં રજૂ થનાર કેન્દ્રીય બજેટને લઇ ભુજના ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓમાં નવી ઉમ્મીદ જાગી છે. વેપારીઓની અપેક્ષા છે કે, આગામી સમયમાં કચ્છને અધતન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, AIIMS, વંદે ભારત ટ્રેન અને એર કાર્ગો મળે. નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થનાર કેન્દ્રીય બજેટ 2024- 25 પર શું છે આશા -અપેક્ષા જાણો ETV BHARAT ના વિશેષ અહેવાલમાં...
કેન્દ્રીય બજેટ 2024-25 :આગામી સમયમાં કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ થવા જઈ રહ્યું છે. ત્યારે ભુજના ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના મંત્રી અશોક વોરાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય નાણાંપ્રધાન વર્ષ 2024-25 માટે બજેટની જાહેરાત કરે તેમાં ભુજના ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓને પણ ખાસ આશા અને અપેક્ષાઓ છે. કચ્છની અંદર વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ છે, લાઇટની સુવિધા, રોડ રસ્તાઓ અને બે મોટા મહાબંદરો છે. ઉપરાંત વિસ્તારની દૃષ્ટિએ પણ સૌથી મોટો જિલ્લો હોવાથી જમીન પણ છે, ત્યારે હજુ પણ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ આવે તો તેમના માટે પણ ખૂબ સારો અવકાશ છે.
કચ્છના વેપારીઓની અપેક્ષા :અશોક વોરાએ જણાવ્યું હતું કે, અગાઉના વર્ષોમાં સેન્ટ્રલ બજેટ સમયે વેરામાં રાહત અને ટ્રાન્સપોર્ટેશન માટે ટ્રેનની માંગણી કરવામાં આવતી હતી. આ બંને વસ્તુ મહત્વની હતી, પરંતુ હવે કંઈ માંગવા જેવું રહ્યું નથી. કારણ કે વેરામાં રાહતનો નિર્ણય જીએસટી વિભાગ હેઠળ આવી ગયો અને ટ્રેનની સવલતો માટેનો વિભાગ કેન્દ્રીય સરકારે બંધ કરીને જવાબદારી નાણાં વિભાગને સોંપી દીધું છે. કચ્છની પ્રજા મુંબઈમાં અને વિદેશમાં મોટા પાયે વસે છે, ત્યારે તેમનું કચ્છની અંદર પણ યોગદાન રહેલું છે. ભુજથી મુંબઇની ફલાઇટના ભાડા વિદેશની ફ્લાઇટ કરતા પણ મોંઘા છે અને તેની ક્ષમતા પણ ઓછી છે, ત્યારે આગામી સમયમાં નવી ફ્લાઇટ મળે તેવી અપેક્ષા છે.
આંતરરાષ્ટ્રીય એરપોર્ટની માંગ :અશોક વોરાએ વધુમાં જણાવ્યું કે, આ ઉપરાંત નવી ફલાઇટમાં પણ જે ભાડા છે તેના દર નક્કી કરવા જોઈએ જેથી કરીને ભુજથી મુંબઈ જવા માટે મુસાફરોને સારી સગવડ મળી રહે. ઉપરાંત કચ્છને એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આપવામાં આવે તો ગલ્ફ દેશોના લોકો સરળતાપૂર્વક કચ્છ આવી શકે અને વાહનવ્યવહાર પણ સરળ બની શકે તેમ છે. કારણે કે તેમને અમદાવાદ અથવા મુંબઈ આવું પડે છે, ત્યારબાદ તેઓ કચ્છ આવતા હોય છે. માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે માન્યતા મળે જેથી કરીને કચ્છને ડાયરેક્ટ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળે તેવી આશા છે.