ગુજરાત

gujarat

Surat Crime : ઓલપાડના જમીન દલાલ હત્યા પ્રકરણમાં મોટો ખુલાસો, મિત્રએ જ સોપારી આપી હતી, 4 આરોપીની ધરપકડ

By ETV Bharat Gujarati Team

Published : Jan 31, 2024, 2:19 PM IST

ઓલપાડના જમીન દલાલ હત્યા પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે જમીન દલાલ અંજર મલેકના મિત્ર એ જ હત્યાની સોપારી આપી હતી. પૈસાની લેતીદેતી અને જમીનના હિસાબ મામલે સોપારી આપી હત્યા કરાવાઈ હતી. પોલીસે એક સગીર સહિત ચાર આરોપીની કરી ધરપકડ, સોપારી આપનાર મુખ્ય સૂત્રધાર ફરાર છે.

Surat Crime : ઓલપાડના જમીન દલાલ હત્યા પ્રકરણમાં મોટો ખુલાસો, મિત્રએ જ સોપારી આપી હતી, 4 આરોપીની ધરપકડ
Surat Crime : ઓલપાડના જમીન દલાલ હત્યા પ્રકરણમાં મોટો ખુલાસો, મિત્રએ જ સોપારી આપી હતી, 4 આરોપીની ધરપકડ

ચાર આરોપીની કરી ધરપકડ

સુરત : ગત 25 જાન્યુઆરીના રોજ વહેલી સવારે સુરત જિલ્લાના ઓલપાડના પરા વિસ્તારમાં અંજર મલેક નામના જમીન દલાલની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યારાઓએ 28 જેટલા શરીર પર ચાકુના ઘા ઝીકયા હતાં. મૃતદેહની આસપાસ જાણે લોહીના ખાબોચિયા ભરાઈ ગયાં હતાં. ઘર નજીક લાગેલા સીસીટીવીમાં હત્યારાઓ મોપેડ લઈ જતા હોય એવા દ્રશ્યો કેદ થયાં હતાં.

સીસીટીવી ફૂટેજથી તપાસ : અંજર મલેક જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. સીસીટીવીમાં કેદ દ્રશ્યો પ્રમાણે હત્યાના દિવસે રાત્રીના આશરે 3 વાગ્યા આસપાસ અંજર મલેક પોતાના ઘરે આવ્યો હતો અને ઘર બહાર મોટર સાયકલ પાર્ક કરેલી જોઈ બાજુમાં આવેલ પોતાના જ અન્ય ઘરે ત્રીજા માળે ગયો હતો. અંજર મલેકના ઉપર ગયાના થોડી વારમાં જ ચાર યુવકો બે મોપેડ પર ભાગતા નજરે પડે છે. જોકે વહેલી સવારે પરિવારના સભ્યો ઉપર જતા મોઢામાંથી ચીસો નીકળી ગઈ હતી. અંજર મલેકની લોહીલુહાણ હાલતમાં લાશ પડી હતી અને હાથ પાસે એક પિસ્તોલ પણ મળી આવી હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ઓલપાડ પોલીસ તેમજ જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમો ઘટના સ્થળ પર પહોંચી જરૂરી પુરાવાઓ તેમજ સીસીટીવી એકત્રિત કરી સીસીટીવી ફૂટેજમાં દેખાતા ચાર લોકો કોણ હતાં તેની તપાસ શરૂ કરી હતી.

હત્યા પૂર્વનિયોજિત : અંજર માલિકે પોતાના ઘરની બાજુમાં જ પોતાના અન્ય ઘરના ત્રીજા માળે ચાર લોકોને આશરો આપ્યો હતો. જેમાં રાકેશ એકનાથ મોઇતે ઉર્ફે બાલો, પંકજ મછીન્દ્ર સેદાને ઉર્ફે પકીયો, સાહિલ પટેલ તેમજ એક સગીર હતાં. અંજર મલેકને ખબર ન હતી કે જે લોકોને શરણ આપ્યું છે એ લોકો જ એને મોતને ઘાટ ઉતારી દેશે. ઘટનાની રાત્રે આ ચારેય આરોપીઓ અંજર મલેકની રાહ જોઈને બેઠા હતાં. અંજર મલેક સુરત પોતાના મિત્ર સાથે કામ અર્થે ગયો હતો. અંજર મલેક ઘરે પહોંચ્યો ત્યારે કાર પાર્કિંગમાં બાઇક જોઈ ઉપર ત્રીજા માળે જોવા ગયો હતો. જ્યાં રાહ જોઈ બેઠેલા ચારેય ઈસમોએ અંજર મલેક પર તૂટી પડ્યા હતાં. અંજર મલેક પિસ્તોલ કાઢી પ્રતિકાર કરે એ પહેલાં 28 જેટલા ચાકુના ઘા શરીરમાં ઝીકી દીધા હતાં. જોકે અંજર મલેકની હત્યા કેમ કરવામાં આવી એ પણ પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો.

જમીન દલાલીનો વ્યવસાય સાથે કરતા હતાં :ઇસ્માઇલ શેખ ઉર્ફે ઇસ્માઇલ ઘોડા અને અંજર મલેક બંને મિત્રો હતાં અને બંને જમીન દલાલીનો વ્યવસાય સાથે કરતા હતાં. 2020માં બંને પાસેથી ગેરકાયદે હથિયાર રાખવાનો પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો. બંને વચ્ચે ઓલપાડ વિસ્તારમાં કોઈ જમીનને લઈ તેમજ પૈસાની લેતીદેતીને લઈ છેલ્લાં કેટલાક સમયથી ખટરાગ ચાલી રહ્યો હતો. જેને લઈ ઇસ્માઇલ શેખે બાલાને અંજર મલેકને મારી નાખવા સોપારી આપી હતી. બાલો સુરતના કોઈ કેસમાં પોલીસ ચોપડે વોન્ટેડ હતો અને સંતાવા માટે જગ્યા પણ શોધતો હતો. જેથી અંજર મલેકના વાત કરતા અંજર મલેકે તેને પોતાના એક ઘરમાં રહેવા માટે જગ્યા આપી હતી. જોકે હત્યા બાદ બાલો અને તેના મિત્રો ભાગી ગયા બાદ પરત આવ્યા હતાં અને હત્યામાં વાપરવામાં આવેલું ચાકુ તેમજ સાફસફાઈ કરીને ફરાર થઈ ગયા હતાં.

અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા : સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે હત્યાના કેસમાં ઝડપાયેલા સગીર સિવાયના ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગાર છે અને ત્રણેય વિરુદ્ધ હત્યા, રાયોટિંગ, આર્મ્સ એક્ટ સહિતના 7 થી 8 જેટલા ગુનાઓ અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા છે. હાલ મુખ્ય આરોપી ઇસ્માઇલ શેખ પોલીસ પકડથી દૂર છે ત્યારે હવે મુખ્ય આરોપીના ઝડપાયા બાદ હજુ અનેક રાઝ ખુલી શકે એમ છે.

  1. Surat Crime : ઓલપાડ પરા વિસ્તારના ગુનાહિત ભૂતકાળ ધરાવતાં યુવકની હત્યા, આશરો આપેલા ઇસમોએ જ કર્યું ષડયંત્ર
  2. Surat Crime : સુરતના પૂર્વ કોર્પોરેટર સહિત પરિવારજનો સામે મારામારી અને છેડતીની ફરિયાદ

ABOUT THE AUTHOR

...view details