ગુજરાત

gujarat

Lok Sabha Elections : ભાવનગર લોકસભા બેઠક પર ખરાખરીનો જંગ જામશે, જુઓ જ્ઞાતીનું રાજકારણ અને ડમી ઉમેદવારની ચાલ

By ETV Bharat Gujarati Team

Published : Mar 15, 2024, 8:20 PM IST

Updated : Mar 18, 2024, 7:07 AM IST

ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ કોળી સમાજના નેતાને ટિકિટ આપ્યા બાદ ભાજપે પણ કોળી સમાજના મહિલાને મેદાને ઉતાર્યા છે. ભાવનગર બેઠક પર ખરાખરીનો જંગ જામે તેવી પૂરી શક્યતા છે, જેને કોંગ્રેસ પાર્ટી કિનારે બેસી નીહાળશે. ભાવનગર બેઠક પર મુખ્ય મતદારો કોણ અને જ્ઞાતિનું સમીકરણ ETV Bharat આ ખાસ અહેવાલમાં...

ભાવનગર લોકસભા બેઠક પર ખરાખરીનો જંગ જામશે
ભાવનગર લોકસભા બેઠક પર ખરાખરીનો જંગ જામશે

Lok Sabha Elections

ભાવનગર :ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને ભાજપના ઉમેદવારની જાહેરાત થઈ ચૂકી છે. બંને પક્ષે કોળી સમાજના ઉમેદવાર મેદાને ઉતારતા હવે ખરાખરીનો જંગ જામશે. ભાવનગર બેઠક પર કયા સમાજના કેટલા મતદારો છે અને જ્ઞાતિને લઈને દરેક પક્ષનું ગણિત શું હશે તે અંગે ETV Bharat દ્વારા પીઢ પત્રકારો પાસેથી જ્ઞાતિ સમીકરણ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

કોળી સમાજ પર કોનો કેટલો રુતબો :ભાવનગરના પીઢ પત્રકાર મહેન્દ્ર ઝવેરીએ જણાવ્યું કે, કોળી જ્ઞાતિમાં પરસોતમભાઈનું નામ એક વખત મોખરે છે, એની પછી બીજું નામ સુરેન્દ્રન વાળાનું છે. હવે જ્યારે ભાવનગરની બેઠક પર કોળી સમાજના 3 લાખ જેટલા મતો છે, એવા સંજોગોમાં આ બે નેતાઓ શું ભાગ ભજવે છે, એની પર મતદારોનો આધાર રહેશે. બીજી તરફ નિમુબેન વ્યક્તિગત રીતે એક કોરી પાટી છે. બીજા ઉમેદવાર ઉમેશભાઈ બોટાદથી ચૂંટણી જીતેલા છે. હવે જ્યારે આપની વાત આવે તો તે માત્રને માત્ર મતનું વિભાજન કરી શકે, પણ જીતની કોઈ શક્યતા રહેતી નથી. કારણ કે ઉમેદવારોની પસંદગીમાં પણ ભાજપે ખૂબ સંશોધન કર્યું. ભારતીબેનને સફળ કેન્ડિડેટ તરીકે 10 વર્ષ પછી પડતા મૂકવામાં આવ્યા હતા. હવે આ પરિબળોમાં કયા સમાજનો કેટલો વિરોધ થશે, એની અસર મતદાન પર થશે અને તેની અસર કોળી સમાજ પર પણ પડી શકે છે.

ભાવનગરમાં જ્ઞાતિઓનું સમીકરણ

ભાવનગરમાં જ્ઞાતિઓનું સમીકરણ :મહેન્દ્ર ઝવેરીએ જણાવ્યું હતું કે, બાકીની જ્ઞાતિઓની જો વાત કરીએ તો બીજા નંબર પર બ્રાહ્મણ, ત્રીજા નંબરે ક્ષત્રિય અને ચોથા નંબર પર પટેલ આવે છે. રાજકીય ભૂગોળ અને ઈતિહાસ જોઈએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં પટેલ લોબીએ તમામ ક્ષેત્ર પર પ્રસાર કર્યો છે. એટલે પટેલ લોબીના મતો કદાચ વિભાજન થાય તો પણ મોટાભાગનો હિસ્સો ભાજપને મળશે. બીજી તરફ બ્રહ્મ સમાજના ઉમેદવાર આપણને કદી મળ્યા નથી. એટલે એક બાયપ્રોડકટ વર્ગ બની જાય છે. ક્ષત્રિય સમાજની વાત કરીએ તો રાજુભાઈ રાણા સતત પાંચ ટર્મ સુધી સંસદ સભ્ય રહ્યા છે. પરંતુ હવે એવું લાગે છે કે ક્ષત્રિય સમાજનું વલણ વેર વિખેર થઈ ગયું છે અને અસંતોષ હોવા છતાં પણ એની એકતા છે. એટલે આમાં મહત્વનો જે કંઈ મુદ્દો આવશે એ ભાજપના પક્ષે રહેશે.

કોળી સમાજના મતદાર કેટલા ?ભાવનગરના પીઢ પત્રકાર અરવિંદ સ્વામીએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લાને લોકસભાની બેઠક જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી ભાવનગરમાં કોળી સમાજના મતદારોનો વધુ પ્રભાવ છે. એની સંખ્યા વધારે છે એટલા માટે જ આપ પાર્ટીએ જે ઉમેદવાર મૂકયા તે પણ કોળી સમાજમાંથી છે. ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા પણ કોળી સમાજમાંથી આવે છે. કુલ મતદારોમાથી 40 થી 45 ટકા હિસ્સો કોળી સમાજના મતદારોનો છે. એટલે સ્વાભાવિક છે કે એમનું એ સમાજમાંથી જેટલું મતદાન વધારે થશે એ એટલું બંને પાર્ટીઓ એના માટે થઈને જોર કરશે.

ડમી ઉમેદવાર માટેનું ગણિત :અરવિંદ સ્વામીએ જણાવ્યું કે, માનો કે આમ આદમી પાર્ટીના ઉમેદવારનો ગઢ ગઢડા અને બોટાદ છે. ત્યાં કઈ રીતે ગાબડું પડે એ માટે ભાજપ પણ ત્યાં ડમી ઉમેદવાર ઉભી રાખી શકે છે. એ જ રીતે આમ આદમી પાર્ટી ભાજપના જે વિસ્તાર છે તેમાં કેવી રીતે ગાબડું પાડી શકાય તેને લઈને ઉમેદવાર ઉભા રાખી શકે છે. આ એક રાજકીય પ્રક્રિયા છે, જે વર્ષોથી થતી આવી છે. એટલે આમ ચૂંટણી સમય એકબીજાના મતો કઈ રીતે કાપી શકાય એને લઈને પણ આગામી દિવસોમાં સમીકરણો ઊભા થઈ શકે છે.

  1. Bhavnagar Lok Sabha Seat: ભાજપે પીઢ પૂર્વ મેયર અને કોળી સમાજના મહિલા અગ્રણી નિમુબેન બાંભણીયાને આપી ટિકિટ
  2. Bhavnagar News : ભાવનગરમાં સત્તા ભલે ન મળી પણ સીપીએમના નેતા અરુણ મહેતાનો દબદબો રહ્યો, આજનું રાજકારણ જાણો
Last Updated :Mar 18, 2024, 7:07 AM IST

ABOUT THE AUTHOR

...view details