પાલનપુરના આકેસણ રોડ ઉપર થયેલી હત્યાના આરોપીને પકડવા આવેદનપત્ર અપાયું
બનાસકાંઠાઃ જિલ્લામાં પાલનપુરના આકેસણ રોડ ઉપર થયેલી હત્યાના આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફળ છે ત્યારે ગુરૂવારે પ્રજાપતિ સમાજના આગેવાનો અને પરિવારજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આકેસણ રોડ પર પ્રજાપતિ સમાજના યુવકની હત્યાની ચકચારી ઘટનામાં એક આધેડ વેપારીનો સળગી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી હતી. જોકે પ્રાથમિક તપાસમાં આ મૃતદેહ પાલનપુરના વેપારી દલપતભાઈ પ્રજાપતિનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હત્યારાઓ વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે 15 દિવસ વીત્યા જોવા છતાં આરોપીના પકડાતા મૃતકના પરિવારજનો તેમજ સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરી તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર આપી આરોપીઓને ઝડપી પકડવા રજૂઆત કરી હતી. દલપતભાઈની પત્નીએ જણાવ્યું હતું કે જો આરોપી ઝડપી નહી પકડાય અને અમને ન્યાય નહી મળે તો અમારા પરિવાર દ્વારા ધરણાં કરવામાં આવશે.