Junagadh Uparkot Fort: વિનામૂલ્યે પ્રવેશને કારણે ઉપરકોટમાં ઉમટી લોકોની ભારે ભીડ
Published : Oct 2, 2023, 7:08 AM IST
જૂનાગઢ: ઉપરકોટનો કિલ્લો રીનોવેશન બાદ ચાર વર્ષ પછી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. ત્યારે રવિવારની રજા અને તમામ પ્રવાસીઓને વિનામૂલ્ય પ્રવેશ આપવાને લઈને ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ ઉપરકોટના કિલ્લામાં જોવા મળી હતી. જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. એક સાથે 20થી 30 હજાર જેટલા પ્રવાસીઓ ઉપરકોટ કિલ્લામાં સ્થાપત્યને જોવા માટે એક સમયે એકઠા થઈ ગયા હતા. ખૂબ જ અફરાતફરીના માહોલની વચ્ચે પોલીસે સમગ્ર મામલામાં બાજી સંભાળી હતી. બપોરે 12:00 વાગ્યા બાદ તમામ પ્રવાસીઓ માટે ઉપરકોટના કિલ્લામાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સાંજના 4:00 વાગ્યા સુધી પ્રવાસીઓ ધીરે ધીરે ઓછા થયા હતા. ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ એકઠા થતા પોલીસ અને ઉપરકોટના સંચાલકો પણ મુંઝવણમાં મુકાયા હતા. પરંતુ સદનસીબે આટલી મોટી સંખ્યામાં માનવ મહેરામણ એકઠું થયું હોવા છતાં પણ એક પણ પ્રકારની સામાન્ય દુર્ઘટના ઘટી ન હતી. હજુ પણ ત્રીજી તારીખ સુધી ઉપરકોટનો કિલો તમામ પ્રવાસીઓ માટે વિનામૂલ્યે ખુલ્લો રાખવામાં આવશે.