Dwarkadhish Temple : દ્વારકાધીશના દ્વાર ફરી ખૂલતા ભક્તો ઢોલ-શરણાઈના તાલે ઝૂમી ઉઠ્યા, જુઓ વિડિયો...
દેવભૂમિ દ્વારકા : તા.15 ગુરુવારના રોજ બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાવાનું હતું. આકસ્મિક પરિસ્થિતિ અને વાવાઝોડાથી નુકશાનની શક્યતાના પગલે વહીવટી તંત્ર દ્વારા દ્વારકાધીશ મંદિર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે સ્થિતિ સામાન્ય બનતા હવે આ મંદિર ભક્તો માટે ફરી શરુ કરવામાં આવ્યા છે.
52 ગજની ધ્વજા : બિપરજોય વાવાઝોડાના પગલે 24 કલાક માટે મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે દેવભૂમિ દ્વારકામાં આવેલું દ્વારકાધીશ મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. દ્વારકાધીશ મંદિરના કપાટ ખુલ્તા જ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સૌપ્રથમ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ દ્વારકાધિશના દર્શન કર્યા હતા. ઉપરાંત મંદિર પર 52 ગજની ધ્વજાજી ચડાવવામાં આવી હતી. હર્ષ સંઘવીએ આ ધજા માથે લઇને મંદિરની પ્રદક્ષિણા કરી હતી.
ભક્તો ઝૂમી ઉઠ્યા : દ્વારકાધીશ મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવતા જ ભક્તો આનંદમાં આવી ગયા હતા. ભક્તોએ બિપરજોય વાવાઝોડું ગુજરાતમાંથી ઓછી અસર સાથે પસાર થઈ જતા ઈશ્વરનો આભાર માન્યો હતો. અમુક દર્શનાર્થીઓ ઉત્સાહમાં આવી ઝૂમી ઉઠ્યા હતા. આનંદમાં આવી ભક્તોએ ઢોલ-શરણાઈના તાલે મન મૂકીને નાચ્યા હતા.
ભક્તોની પાંખી હાજરી : મંદિર ખુલતા ભાવિકો દર્શન કરવા પહોંચ્યા હતા. ભક્તોએ દ્વારકાધીશને ધ્વજા ચડાવી હતી. ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાના કારણે વિવિધ વિસ્તારોમાં માઠી અસર થઈ છે. શનિવાર-રવિવાર રજાનો દિવસ હોવા છતા મંદિર પરિસરમાં ભક્તોની પાંખી હાજરી રહી હતી. આવતા અઠવાડિયાથી ફરી ભીડ જામે તેવી શક્યતા છે. દ્વારકામાં હવે નિયમિત રૂપથી ધ્વજા ચડાવવામાં આવશે.