Navratri 2023: હિંગળાચાચર ચોક ખાતે યુવતીઓનો તલવાર રાસ જોઈ શ્રદ્ધાળુઓ બન્યા મંત્રમુગ્ધ
Published : Oct 21, 2023, 6:37 AM IST
પાટણ: શહેરના હિંગળાચાચર ચોકમાં વર્ષોથી પરંપરાગત રીતે પ્રાચીન ગરબા યોજાય છે. જેમાં શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ સાથે નવ દિવસ સુધી મા દુર્ગાની આરાધના કરવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં શહેરીજનો મુક્ત મને માતાજીના ચાર ચાર ચોકમાં રાસ ગરબાની રમઝટ જમાવે છે. ત્યારે આ વર્ષે પણ હિંગળાચાચર નવરાત્રી યુવક મંડળ દ્વારા ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબા મહોત્સવમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની દુર્ગાવવાહીનીની યુવતીઓએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વસ્ત્ર પરિધાન સાથે માથે હાથમાં તલવાર ધારણ કરી તલવાર રાસ રમી મા આરાસુરી આરાધના કરી હતી. દુર્ગાવાહિનીની આ યુવતીઓએ સનાતન ધર્મની પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરી હતી અને સાથે સાથે સ્વરક્ષણના ભાવ પેચ અને વિવિધ કરતબો કર્યા હતા. આ પ્રસંગે ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ યુવતીઓનો તલવાર રાસ જોઈને મંત્રમુગ્ધ બન્યા હતા. શહેરનું નાક ગણાતા હિંગળાચાચર ચોકમાં યુવતીઓના તલવાર રસ દરમિયાન અલૌકિક વાતાવરણ સર્જાયું હતું અને જાણે મા કાલી અને દુર્ગા સાક્ષાત ચાચર ચોકમાં ગરબે રમવા આવ્યા હોય તેવી અનુભૂતિ થઈ હતી.
TAGGED:
Navratri 2023