Cyclone Biparjoy Landfall Impact: જામનગરમાં અનેક વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી, સીએમ લઇ શકે છે મુલાકાત
જામનગર: વાવાઝોડાની અસરના પગલે જામનગરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જિલ્લા પંચાયતના પાછળના રસ્તામાં ત્રણથી ચાર જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. આ ઉપરાંત ત્રણ જેટલા વીજપોલ પણ ધરાશાયી થયા હતા. જોકે આ દરમિયાન કોઈ જાનહાની થઇ ન હતી. જમનાગરના પ્રભારી પ્રધાને માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યના સીએમ જામનગર આવી શકે છે. સીએમ જામનગર, દ્વારકા અને કચ્છની મુલાકાત લેશે. હવાઈ નિરીક્ષણ તથા સમીક્ષા બેઠક કરી શકે છે. સમગ્ર જિલ્લામાં 200 જેટલા વૃક્ષો થયા ધરાશાયી છે અને 1200 જેટલા વિજપોલ થયા ધરાશાયી છે. પીજીવીસીએલની અનેક ટીમો કામગીરીમાં જોડાઈ છે અને 200 જેટલા વીજ પોલ ફરીથી ઊભા કરી દેવામાં આવ્યા છે. જેના કારણે વીજળીનો પુરવઠો ફરીથી શરૂ થયો છે. જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે કંટ્રોલરૂમમાં રાત્રે 3 વાગ્યા સુધી પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ સતત સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ ટીમોને સૂચનાઓ આપી હતી. જામનગર જિલ્લાના વિવિધ બંદરો પરથી 10 નંબરનું સિગ્નલ ઉતારી લેવામાં આવ્યું છે અને ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જેના કારણે લોકોએ હાશકારો અનુભવ્યો છે.