World Tribal Day 2023 : વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિતે આદિવાસી સમાજે આક્રોશ ઠાલવ્યો

By

Published : Aug 9, 2023, 9:58 PM IST

thumbnail

નવસારી : વાંસદા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે આદિવાસી સમાજે સરકાર સામે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. હનુમાનબારી સર્કલ ખાતે વાંસદાના ગામે ગામથી આવેલા લોકો એક જૂથ બની હાઇવે ઉપર બેસી ગયા હતા. આદિવાસી સમાજના હજારો લોકોએ લગભગ એક કલાક સુધી મહારાષ્ટ્રને જોડતા માર્ગ અને વાપી-શામળાજી નેશનલ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. જેના કારણે કલાકો સુધી વાહનવ્યવહાર ખોરવાયો હતો. આ તકે ધારાસભ્ય અનંત પટેલે લોકોને સંબોધન કરતા સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

વિશ્વ આદિવાસી દિવસ : 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેના આજે 29 વર્ષ પૂર્ણ થયા છે. જેને લઈને ગુજરાતના તમામ આદિવાસી જિલ્લાઓમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વાંસદાના કુકણા સમાજ ભવનથી આદિવાસી પરંપરાગત વેશભૂષા અને સાંસ્કૃતિક વાજિંત્રોના નાદ અને તાલે નૃત્ય કરતા કરતા વાંસદાના રાજમાર્ગો પરથી ભવ્ય રેલી કાઢવામાં આવી હતી.

આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સાથે અમે સરકાર પ્રત્યે અમારો આક્રોશ અને વિરોધ નોંધાવીએ છીએ. કારણ કે, મણીપુરમાં થયેલી ઘટના તથા જંગલ જમીન 2023 નું સંશોધન બિલ અને UCC લાગુ કરવા જેવા મુદ્દાઓ પર વિરોધ છે. અમારો આક્રોશ અને વિરોધ દર્શાવી વાંસદાના હનુમાનબારી સર્કલ ખાતે નેશનલ હાઇવે નંબર 56 પર ચક્કાજામ કર્યો હતો.-- અનંત પટેલ (ધારાસભ્ય, વાંસદા)

આદિવાસી સમાજનો આક્રોશ : જ્યારે આ રેલી વાંસદાના  હનુમાનબારી સર્કલ પાસે પહોંચી ત્યારે હજારોની સંખ્યામાં આસપાસના ગામોના આદિવાસી સમાજની જનમેદની ઉમટી હતી. તેઓ પણ હનુમાનબારી સર્કલથી રેલીમાં જોડાયા હતા. ત્યારબાદ હજારો લોકો એક જૂથ બની હાઇવે ઉપર બેસી ગયા હતા. તેઓએ સરકારના વિરુદ્ધ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. લગભગ એક કલાક સુધી લોકો રસ્તા ઉપર બેસી રહ્યા હતા.

નેશનલ હાઇવે પર ચક્કાજામ : આદિવાસી સમાજના લોકોએ ચક્કાજામ કરતા મહારાષ્ટ્રને જોડતો અને વાપી શામળાજી નેશનલ હાઇવે નંબર 56 ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. તો બીજી તરફ ધારાસભ્ય અનંત પટેલે રેલીમાં લોકોને સંબોધતા સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. મણીપુર ઘટનાને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત સરકારે જંગલ જમીન માટે 2023 નું સંશોધન બિલ રજુ કર્યું તથા UCC લાગુ કરવાના મુદ્દાઓ પર સરકાર સામે વિરોધ કર્યો હતો. આદિવાસી સમાજની જનમેદનીએ આક્રોશ વ્યક્ત કરતા હનુમાનબારી ખાતે નેશનલ હાઇવે નંબર 56 પર ચક્કાજામ કર્યો હતો.

  1. World Tribal Day 2023: બે રોટલી ઓછી ખાજો પણ તમારા દીકરા-દીકરીઓને ભણાવજો - MLA ચૈતર વસાવા
  2. Surat News : વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં રેલીનું આયોજન, યુવાઓને શિક્ષિત બનવા હાકલ

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.