Ambarish Der : કોંગ્રેસના અંબરીષ ડેર ભાજપમાં જશે નહીં, ETV BHARAT ભારતને આપી ખાતરી

By ETV Bharat Gujarati Team

Published : Nov 8, 2023, 10:49 PM IST

Updated : Nov 9, 2023, 5:38 PM IST

thumbnail

અમદાવાદ : તાજેતરમાં જ ગીર સોમનાથ ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે રાજુલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ઉપાધ્યક્ષની સાથે જૂનાગઢ લોકસભા બેઠકના ઇન્ચાર્જ અંબરીષ ડેર અંગે નિવેદન કરીને રાજકીય ચર્ચાને જોર આપ્યું છે. સોમનાથ નજીક હાસ્ય કલાકાર માયાભાઈ આહીર દ્વારા બનાવવામાં આવેલી ખાનગી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે સી. આર. પાટીલે અંબરીષ ડેરને ફરી પાછા ભાજપમાં જોડાવા અંગે મીઠી ટકોર કરી હતી.

CR પાટીલનું નિવેદન સી આર પાટીલે જાહેર મંચ પરથી અંબરીષ ડેરને આવકારતા કહ્યું હતું કે, થોડા સમય પૂર્વે બસમાં ખાલી સીટ પર તેમનો રૂમાલ રાખ્યો હતો. પરંતુ અંબરીષ ડેર ચુકી ગયા હવે હું તેને હાથ પકડીને ભાજપમાં ખેંચી લાવીશ, અંબરીષ ડેર મારા મિત્ર છે. સી.આર. પાટીલના આ નિવેદન બાદ અમરીશ ડેરના ભાજપમાં જોવાડાની અટકળોએ ભારે જોર પકડ્યું હતું. ત્યારે ETV BHARAT દ્વારા અંબરીષ ડેર સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહીશ જોકે, ભાજપમાં જોડાવાને લઈને અંબરીષ ડેર સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહીશ. જે કાર્યક્રમમાં સી.આર. પાટીલનું નિવેદન સામે આવ્યું છે તે ફક્ત હળવી વાત હતી. આ વાતને આપણે સૌ પણ હળવાશથી જ લઈએ. સી.આર. પાટીલે જે પ્રેમ દર્શાવ્યો છે તેને માથે ચડાવું છું.

અંબરીષ ડેરને ભાજપમાં જોડાવા આમંત્રણ છેલ્લાં બે વર્ષથી કોંગ્રેસના આહીર અગ્રણી નેતા અંબરીષ ડેરને ભાજપમાં લાવવા માટે અનેક વિઘ્નો થયા છે, અનેક પ્રયાસો થયા છે. પણ રાજૂલાના પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર કોંગ્રેસને વફાદાર રહ્યા છે. 2022 ની ચૂંટણી પૂર્વે પણ ભાજપે અંબરીષ ડેરને કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કરાવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. અલબત્ત 2022 ની વિધાનસભા ચૂંટણીમાં અંબરીષ ડેરનો પરાજય થયો હતો. પણ અમરેલીના દરિયા કિનારા અને તળના વિસ્તારોમાં અંબરીષ ડેરનું વર્ચસ્વ રહ્યું છે.

પક્ષ પલટો કરેલા લોકોની સ્થિતિ જાણું છું અંબરીષ ડેરે કહ્યું કે, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા લોકોની સ્થિતિ કેવી છે એ સૌ જાણે છે. કુંવરજી બાવળીયા અને અલ્પેશ ઠાકોર હોય કે હાર્કિદ પટેલ સૌને ભાજપે ખૂણામાં મુક્યા છે. આ સ્થિતિને હું જાણું છે. હાલ કોંગ્રેસમાં છું અને રાજસ્થાન ખાતેની ચૂંટણીની મારી જવાબદારી નિભાવવા ગુરુવારે જવાનો છું. 2024 ની ચૂંટણીમાં પણ કોંગ્રેસને જીતાડવા માટે અત્યારથી જ સક્રિય છું.

અંબરીષ ડેરનો જનતાને વળતો પ્રશ્ન આ સમગ્ર મામલે સામે પ્રશ્ન કરતા અંબરીષ ડેરે કહ્યું કે, મારે તમને પ્રશ્ન પૂછવો છે કે આ જે હળવા મૂડમાં ચર્ચા ચાલી રહી છે, તેને ક્યા એંગલથી સમજવી જોઈએ તમે મને કહેશો તો ખુદને એનાલીસીસ કરવામાં મદદ મળશે. વધુમાં તેઓએ કહ્યું કે, મારી ટર્મ દરમિયાન મેં વિધાનસભા વિસ્તારમાં લોકસેવાના કાર્ય કર્યા છે અને જનતાનો પ્રેમ મેળવ્યો છે. ત્યારે જો આ પ્રશ્ન પણ પૂર્ણ થશે તો મને લાગશે કે લોકોની લાગણી અને પ્રેમ હજુ પણ વધશે.

  1. Gir Somnath News : લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ કોંગ્રેસમાં પાડશે ભંગાણ, સોમનાથમાં સી.આર. પાટીલનું ચોકાવનારૂ નિવેદન
  2. Hirabhai Jotva Exclusive interview : ધર્મની રાજનીતિને લઈ પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ હીરાભાઈ દ્વારા ભાજપ પર આકરા આક્ષેપ
Last Updated : Nov 9, 2023, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.